ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભય વચ્ચે મોટો નિર્ણય: ગુજરાતના મુન્દ્રા પોર્ટ બંધ કરાયું, તમામ કામકાજ બંધ કરાયા
પાકિસ્તાન સાથેના સરહદી તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષાના કારણોસર મહત્વપૂર્ણ પોર્ટ બંધ કરવાનો નિર્ણય લેવાયો.

Mundra port operations stopped: પાકિસ્તાન દ્વારા ભારતના સરહદી વિસ્તારોમાં ડ્રોન હુમલો કરતાં ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતની એર ડિફેન્સ સિસ્ટમે તમામ મીસાઈલને તોડી પાડી હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સુરક્ષાના કારણોસર ગુજરાતના એક મહત્વપૂર્ણ બંદર પર તમામ કામકાજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ છે અને બંને દેશો વચ્ચે યુદ્ધની શક્યતાને નકારી શકાય તેમ નથી. આ પરિસ્થિતિની અસર હવે ભારતના પશ્ચિમ કિનારે, ખાસ કરીને ગુજરાતના બંદરો પર પણ જોવા મળી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા મુન્દ્રા અદાણી પોર્ટ પર તમામ કામકાજ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે. ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના ભયને ધ્યાનમાં રાખીને અને સુરક્ષાના કારણોસર આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુન્દ્રા પોર્ટ ભારતનું એક વ્યસ્ત અને વ્યૂહાત્મક રીતે મહત્વનું બંદર છે. પાકિસ્તાન સાથેના તણાવને જોતા, દરિયાઈ સીમા પર અને બંદરોની સુરક્ષા વધારવામાં આવી છે. આ નિર્ણય દરિયાઈ માર્ગે કોઈપણ સંભવિત ઘૂસણખોરી કે હુમલાના પ્રયાસને રોકવા માટે લેવાયેલા સાવચેતીના પગલાનો એક ભાગ છે. પોર્ટ પર તમામ પ્રકારના લોડિંગ અને અનલોડિંગ સહિતના કામકાજ હાલ પૂરતા બંધ કરી દેવાયા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખા (LOC) અને આંતરરાષ્ટ્રીય સરહદ પર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. પાકિસ્તાન દ્વારા ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી અને હુમલાના પ્રયાસો સતત ચાલુ છે, પરંતુ ભારતીય સેના અને વાયુ સંરક્ષણ પ્રણાલી તેનો જડબાતોડ જવાબ આપી રહી છે. તાજેતરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના ફાઈટર જેટ અને મિસાઈલોને તોડી પાડીને પાકિસ્તાનના હુમલાના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.
ભારતીય સેના દ્વારા લેવાયેલા કડક પગલાંમાં, બે પાકિસ્તાની JF 17 ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત, એક F 16 ફાઇટર જેટ સહિત પાકિસ્તાનના કુલ ત્રણ ફાઈટર જેટ ભારતીય સેના દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. ભારતે પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલી આઠ મિસાઇલોને પણ સફળતાપૂર્વક તોડી પાડી છે. ભારતીય સેનાની આ કાર્યવાહીએ પાકિસ્તાનના ભારતીય ક્ષેત્રમાં હુમલો કરવાના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.
પાકિસ્તાને ભારતના અનેક સંવેદનશીલ સ્થળોને ડ્રોન અને અન્ય માધ્યમો દ્વારા નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. જમ્મુ એરપોર્ટ, જમ્મુ રેલ્વે સ્ટેશન, ચન્ની હિંમત અને જમ્મુને અડીને આવેલા સરહદી વિસ્તાર આરએસપુરા જેવા સ્થળોએ પાકિસ્તાને ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યો. પાકિસ્તાની સેનાએ જમ્મુમાં ચન્ની હિંમત, આરએસપુરા અને રેલ્વે સ્ટેશન પર હુમલો કરવાનો પણ નિષ્ફળ પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ આ તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા. જમ્મુ યુનિવર્સિટી નજીક બે પાકિસ્તાની ડ્રોન મળી આવ્યા હતા, જેને ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. ભારતની અત્યાધુનિક વાયુ સંરક્ષણ પ્રણાલી S 400 એ પાકિસ્તાનના આ હુમલાના પ્રયાસોને સફળતાપૂર્વક રોક્યા.





















