Monsoon: હવામાન વિભાગની ચેતવણી, આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ
Gujarat Monsoon News: દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં પણ ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે

- ઉત્તર-મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની ઓરેન્જ એલર્ટ.
- ૧૬ અન્ય જિલ્લાઓમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે.
- તોફાની પવનથી નુકસાનની ભીતિ, નાગરિકોને સલામત રહેવા સૂચના.
- કાપણીના પાકને નુકસાનની ચિંતામાં ખેડૂતો, તંત્ર સતર્ક.
Gujarat Monsoon News: હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે સમગ્ર ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની ગંભીર ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લાઓમાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
રાજ્યમાં બદલાયેલા હવામાનના મિજાજને પગલે તંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે. હવામાન વિભાગ અનુસાર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળોના ઘેરાવા સાથે તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, જેના લીધે અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. ઓરેન્જ એલર્ટ વાળા 6 મુખ્ય જિલ્લાઓ ઉપરાંત, રાજ્યના અન્ય 16 જિલ્લાઓમાં હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે હળવો થી મધ્યમ વરસાદ પડવાની પૂરી શક્યતા દર્શાવાઈ છે. કાળઝાળ ગરમી અને બફારા બાદ અચાનક આવેલી આ મોસમી આફતે લોકોને ગરમીમાંથી રાહત ચોક્કસ આપી છે, પરંતુ ચોમાસા પૂર્વેના આ તોફાની વાતાવરણ અને ભારે પવનના કારણે વૃક્ષો, સાઈન બોર્ડ અને વીજ પોલ ધરાશાયી થવાની ઘટનાઓની શક્યતા પણ વધી ગઈ છે.
Leopard Attack: છોટાઉદેપુરના બોડેલીમાં દીપડાનો આતંક, ઘરઆંગણે રમતી 4 વર્ષની બાળકીને ફાડી ખાધી
આગામી કલાકો દરમિયાન ભારે પવન અને વીજળીના કડાકા સાથે પડનારા વરસાદને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્રે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપી છે. દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં પણ ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આ અણધારી આગાહીથી ખેડૂતોમાં પણ ચિંતાની લાગણી જન્મી છે, કારણ કે કાપણીના પાકને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.






















