Gujarat Rain: શિયાળામાં ચોમાસા જેવો માહોલ, ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે.

ગીર સોમનાથ: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કોડીનાર તાલુકાના સિંધાજ, દેવલપુર સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટા પડ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કોડીનાર તાલુકામાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ હતું. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે. કોડીનાર તાલુકામાં વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
આ જિલ્લાઓમાં વરસાદની હવામાન વિભાગની આગાહી
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગામી મુજબ 24 કલાક રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે આગામી 24 કલાક અરવલ્લી, દાહોદ, મહીસાગર અને પંચમહાલ જિલ્લા માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે વડોદરા, ભરૂચ, ખેડા, આણંદમાં પણ છુટોછવાયો કમોસમી વરસાદ વરસી શકે છે.
આજે સવારે મહિસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે સવારે મહિસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. મહિસાગર જિલ્લાના સંતરામપુર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા.
મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ અચાનક સંતરામપુર શહેર તેમજ આસપાસના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. કમોસમી વરસાદ અને વાતાવરણમાં પલટાએ ખેડૂતોની ચિંતા વધારી દિધી છે. કમોસમી વરસાદના કારણે વાવેતર કરેલ પાક તેમજ ઘાસચારાની નુકસાનની ભીતિ છે.
વહેલી સવારથી જ મહીસાગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે
મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. આકાશમાં કાળા વાદળો સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. સતત છેલ્લા કેટલાક દિવસોથી મહીસાગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણના કારણે વાવેતર કરેલ શિયાળુ પાકમાં જીવાત પડવાની શક્યતાને લઇ ખેડૂતો ચિંતિત છે. ઠંડા પવનો ફુંકાવાની સાથે વાદળછાયા વાતાવરણના કારણે રોગચાળો વધે તેવી પણ શક્યતા છે. બેવડી ઋતુ વચ્ચે લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર પડી રહી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર, સંતરામપુર, વિરપુર, ખાનપુર, કડાણા, ગોધર, કોઠંબા સહિતના તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ છે. વાદળછાયા વાતાવરણના કારણે ઠંડા પવન ફૂંકાતા ઠંડીનું જોર પણ વધ્યું.























