Amreli Rain: અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો, ધારી અને સાવરકુંડલામાં ગાજવીજ સાથે વરસાદ
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.

અમરેલી: અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ધારી પંથક અને સાવરકુંડલા તાલુકામાં વરસાદ વરસ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા સાત દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ધારી ગીરના છતડીયા મોરજર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ વરસી રહ્યો છે. અનેક તાલુકામાં વરસાદ નોંધાયો છે.
સતત વરસાદ પડવાને કારણે બાગાયતી પાક કેરી, તલ, બાજરી સહિતના પાકોને મોટાપાયે નુકશાન થયું છે. વરસાદ વરસતા રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા હતા. સતત પડી રહેલા કમોસમી વરસાદને લઈ ખેડૂતો પણ ચિંતિત છે.
એક સપ્તાહથી અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ
સાવરકુંડલા શહેર બાદ આસપાસના વિસ્તારોમા કમોસમી વરસાદ શરૂ થયો છે. સાવરકુંડલાના કાનાતળાવ, હાથસણી, ચરખડીયા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. વરસાદને લઈ ખેતરોમા વરસાદી પાણી વહેતા થયા છે. વિજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ વરસ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત સાતમા દિવસે કમોસમી વરસાદ વરસ્યો છે.
આગામી ત્રણ દિવસ કરાઈ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, જૂનાગઢ, રાજકોટ , અમરેલી , ગીર સોમનાથ , દિવ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદ વરસશે.
અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી પાંચ દિવસમાં તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી વધશે. આજે અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર તરફથી એક ટ્રફ પસાર થતું હોવાથી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે દ્વારા કરવામાં આવી છે.
26 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો
સૌરાષ્ટ્રમાં સતત ચોથા દિવસે માવઠાનો માર યથાવત છે. રવિવારે સવારે છ વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધીમાં 26 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકા, જુનાગઢ અને જામનગર જિલ્લામાં દોઢથી અઢી ઈંચ સુધીનો આફતનો વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં
કમોસમી વરસાદના કારણે રાજ્યમાં કેરીના પાકમાં 50 અને તલના પાકમાં 40 ટકાનું નુકસાન થયાનો અંદાજ છે. પપૈયામાં 20, કેળામાં 15 અને ડાંગરના પાકને 15 ટકા નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે. વરસાદ બંધ થયા બાદ સર્વેની કામગીરી શરૂ કરાશે. હાલ તો સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.





















