રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓના શિક્ષકોના વહીવટી અને સેવાકીય પ્રશ્નોના ઝડપી, પારદર્શી અને સમયબદ્ધ ઉકેલ માટે શિક્ષણ વિભાગે ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ કર્યું છે.

- શિક્ષકોના પ્રશ્નો માટે 'સેવા સમાધાન પોર્ટલ' શરૂ કરાયું.
- ત્રણ લાખથી વધુ શિક્ષકોના સેવાકીય પ્રશ્નો ઓનલાઈન ઉકેલાશે.
- ઓગસ્ટથી અરજીઓ સ્વીકારાશે; રાજ્ય સ્તરે મોનિટરિંગ થશે.
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓના શિક્ષકોના વહીવટી અને સેવાકીય પ્રશ્નોના ઝડપી, પારદર્શી અને સમયબદ્ધ ઉકેલ માટે શિક્ષણ વિભાગે ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ કર્યું છે. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના હસ્તે પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પોર્ટલથી રાજ્યભરના 3 લાખથી વધુ શિક્ષકોને સીધો લાભ મળશે.
હવે શિક્ષકોને કચેરીઓના ધક્કા નહીં
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે રાજ્ય સરકારનો મુખ્ય અભિગમ 'Classroom-First' છે. તમામ સેવાકીય પ્રક્રિયાઓ ઓનલાઈન થતા શિક્ષકો પરનો વહીવટી બોજ ઘટશે અને તેઓ શિક્ષણની ગુણવત્તા સુધારવા પર વધુ ધ્યાન આપી શકશે. ઉપરાંત હવે શિક્ષકોને પોતાની રજૂઆતો માટે તાલુકા કે જિલ્લા કચેરીઓના ચક્કર કાપવાની જરૂર રહેશે નહીં.
અનેક સેવાકીય પ્રશ્નોનો મળશે ઓનલાઈન ઉકેલ
આ પોર્ટલ દ્વારા ફિક્સ પગારમાંથી કાયમી નિમણૂક, ઉચ્ચતર પગાર ધોરણ, CPF/GPF, રજા મંજૂરી, પેન્શન, એરિયર્સ સહિતના વિવિધ સેવાકીય પ્રશ્નોનું ઓનલાઈન અને સમયબદ્ધ નિરાકરણ શક્ય બનશે. સરકારના જણાવ્યા મુજબ આ પહેલ શિક્ષક-કેન્દ્રિત વહીવટ અને સુશાસનની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
પ્રથમ તબક્કામાં 5થી 31 ઓગસ્ટ સુધી અરજીઓ
શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું કે પોર્ટલના પ્રથમ તબક્કામાં 5 ઓગસ્ટથી 31 ઓગસ્ટ, 2026 સુધી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે. હાલમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ લાંબા સમયથી પડતર રહેલી અરજીઓ જ આ પોર્ટલ મારફતે રજૂ કરી શકાશે. દર મહિને જિલ્લાવાર ફરિયાદોના સમયબદ્ધ નિકાલ માટે સમીક્ષા બેઠક પણ યોજાશે.
3 મિનિટમાં અરજી, SMS દ્વારા મળશે અપડેટ
પોર્ટલમાં Teacher Code અને OTP દ્વારા સુરક્ષિત લોગિન, માત્ર 3 મિનિટમાં અરજી નોંધણી, રિયલ-ટાઇમ સ્ટેટસ ટ્રેકિંગ અને દરેક તબક્કે SMS અલર્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. જો અરજીના નિકાલથી શિક્ષક સંતોષ ન હોય તો તેઓ 'Keep Open' વિકલ્પ પસંદ કરીને ફરીથી સમીક્ષા માટે અરજી કરી શકશે.
રાજ્ય કક્ષાએ થશે સીધું મોનિટરિંગ
'સેવા સમાધાન પોર્ટલ' દ્વારા હવે રાજ્ય સરકારને દરેક જિલ્લામાં કેટલા પ્રશ્નો અને ફરિયાદો પેન્ડિંગ છે તેની સીધી માહિતી મળશે. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO), જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) અને નગરપાલિકા વિસ્તારના સંબંધિત અધિકારીઓની કામગીરીનું રાજ્ય કક્ષાએથી મોનિટરિંગ કરવામાં આવશે. ઓછા પડતર પ્રશ્નો ધરાવતા જિલ્લાઓની કામગીરી વધુ અસરકારક ગણાશે.
અધિકારીઓના મૂલ્યાંકનમાં પણ થશે ઉપયોગ
સરકારના જણાવ્યા મુજબ ભવિષ્યમાં આ પોર્ટલમાંથી મળતા ડેટાના આધારે અધિકારીઓની કામગીરીનું વાર્ષિક મૂલ્યાંકન અને વહીવટી નિર્ણયો લેવામાં આવશે. જેના કારણે જિલ્લા કક્ષાએ શિક્ષકોના પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિકાલને વધુ પ્રોત્સાહન મળશે.






















