કેજરીવાલે કેસની સુનાવણી કરી રહેલા જજને હટાવવા માટે કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી છે. જજ સ્વર્ણ કાંતા શર્માએ કેસની સુનાવણીમાંથી ખસી જવાની ના પાડી દીધી છે.
દિલ્હી હાઈકોર્ટમાં કેજરીવાલને મોટો ઝટકો: દારૂ કૌભાંડ કેસમાં જજને હટાવવાની અરજી ફગાવી દીધી
જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ કેસમાંથી હટવાનો ઇનકાર કરતા કહ્યું- મારી નિષ્પક્ષતા પર શંકા ન કરો.

- કેજરીવાલે જજ સ્વર્ણ કાંતા શર્માને હટાવવાની અરજી કરી હતી.
- કોર્ટે દલીલો ફગાવી, નિષ્પક્ષતા પર શંકાને યોગ્ય ન ગણાવી.
- જજની કાનૂની કાર્યક્રમોમાં હાજરીને પક્ષપાત ન ગણાવ્યો.
- જજના પરિવાર પરના આરોપોને CBIએ ખોટા ઠેરવ્યા.
Arvind Kejriwal news today: દિલ્હી એક્સાઈઝ પોલિસી (દારૂ કૌભાંડ) કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટમાંથી બહુ મોટો ફટકો પડ્યો છે. કેજરીવાલ અને અન્ય લોકોએ આ કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માને હટાવવા માટે એક અરજી કરી હતી, જે આજે કોર્ટે ફગાવી દીધી છે. જસ્ટિસ શર્માએ આ કેસની સુનાવણીમાંથી પાછળ હટવાની ચોખ્ખી ના પાડી દીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે તેમની નિષ્પક્ષતા પર કાલ્પનિક શંકાઓ કરવી યોગ્ય નથી. આજની આ મહત્વની સુનાવણીમાં અરવિંદ કેજરીવાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર રહ્યા હતા.
નેતાઓના નિવેદનો પર કોર્ટનો રોકડો જવાબ
સુનાવણી દરમિયાન કેજરીવાલ પક્ષે એવી દલીલ કરી હતી કે જો કોઈ નેતા કે કેન્દ્રીય મંત્રી પક્ષ વિરુદ્ધ નિવેદન આપે તો તેના પર કોર્ટનું કોઈ નિયંત્રણ હોતું નથી. આના પર કોર્ટે રોકડો જવાબ આપતા કહ્યું કે, રાજકારણમાં આવા નિવેદનો તો થતા જ રહે છે. કેજરીવાલ પોતે પણ એક રાજનેતા છે અને વિરોધી પક્ષો વચ્ચે આવી ચર્ચાઓ સામાન્ય બાબત છે. માત્ર આવી વાતોના કાલ્પનિક આધારો પર કોઈ જજને હટાવવાની માંગણી કરવી બિલકુલ યોગ્ય નથી. કોઈ પણ પક્ષકાર બાર અને બેન્ચ વચ્ચેના સંબંધને આમ નબળો પાડી શકે નહીં.
"કાર્યક્રમોમાં જવાથી મારું મન અંધ નથી થઈ જતું"
કેજરીવાલે એવો પણ આરોપ લગાવ્યો હતો કે જજે બાર કાઉન્સિલના કાર્યક્રમોમાં હાજરી આપી હતી એટલે તેઓ પક્ષપાત કરી શકે છે. આનો જડબાતોડ જવાબ આપતા જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ કહ્યું કે, "આ કોઈ રાજકીય કાર્યક્રમો નહોતા. ત્યાં માત્ર કાનૂની વિષયો પર વ્યાખ્યાન આપવા બોલાવવામાં આવે છે. દેશના ઘણા જજો આવા કાર્યક્રમોમાં જાય છે. શું માત્ર વકીલોના કાર્યક્રમમાં જવાના કારણે મારું મન અંધ થઈ ગયું હશે અને હું નિષ્પક્ષ રીતે કેસ નહીં સાંભળું? અમે જજો નિયમિતપણે કૉલેજો, NLU, હોસ્પિટલો કે અન્ય મંચો પર જતા હોઈએ છીએ. આવી જગ્યાએ કોઈ રાજકીય વિચારધારાને સ્થાન નથી હોતું."
પરિવાર પરના આરોપો ફગાવ્યા
કોર્ટે સ્પષ્ટ કર્યું કે નિષ્પક્ષતા એ જજની નૈતિક જવાબદારી છે. કોઈની પણ વ્યક્તિગત શંકાના આધારે કોર્ટની નિષ્પક્ષતા પર સવાલ ન ઉઠાવી શકાય. આ ઉપરાંત, કેજરીવાલે જજના બાળકો અને પરિવારજનોને જાણી જોઈને સરકારી પેનલમાં કેસ સોંપાયા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ મામલે સીબીઆઈ (CBI) એ સ્પષ્ટતા કરી દીધી છે કે સોશિયલ મીડિયા પર ફરતા આ આંકડા સાવ ખોટા છે. જજના કોઈ પણ સંબંધી એક્સાઇઝ પોલિસી કેસમાં કોઈપણ કોર્ટમાં હાજર રહ્યા નથી. કોર્ટે એમ પણ કહ્યું કે, જો કોઈ સંબંધી સરકારી પેનલમાં હોય તો પણ, આ કેસ સાથે તેનો કોઈ જ સીધો સંબંધ સાબિત થતો નથી.
Frequently Asked Questions
દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટમાંથી શું ફટકો પડ્યો?
શું નેતાઓ કે કેન્દ્રીય મંત્રીઓના નિવેદનો જજને બદલવાનું કારણ બની શકે?
ના, કોર્ટે જણાવ્યું કે રાજકારણમાં આવા નિવેદનો સામાન્ય છે. ફક્ત આવા કાલ્પનિક આધારો પર જજને હટાવવાની માંગણી યોગ્ય નથી.
શું જજના બાર કાઉન્સિલના કાર્યક્રમોમાં જવાથી તેમની નિષ્પક્ષતા પર શંકા કરી શકાય?
ના, કોર્ટે સ્પષ્ટ કર્યું કે આવા કાર્યક્રમો કાનૂની વિષયો પર હોય છે અને જજો નિયમિતપણે આવા કાર્યક્રમોમાં જતા હોય છે. આનાથી તેમની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઉઠાવી શકાય નહીં.
જજ અને તેમના પરિવારજનો પર થયેલા આરોપો અંગે કોર્ટે શું સ્પષ્ટતા કરી?
કોર્ટે સ્પષ્ટ કર્યું કે જજના પરિવારજનો આ કેસમાં સામેલ નથી અને સોશિયલ મીડિયા પર ફરતા આંકડા ખોટા છે. નિષ્પક્ષતા જજની નૈતિક જવાબદારી છે.






















