ઓપરેશન સિંધુનો વ્યાપ વધ્યો: ભારત ઈરાનથી નેપાળ અને શ્રીલંકાના નાગરિકોને પણ સુરક્ષિત પરત લાવશે!
અત્યાર સુધીમાં કુલ 827 ભારતીય નાગરિકો સ્વદેશ પરત ફર્યા, વિદેશ મંત્રાલયે 'X' પર વિગતો શેર કરી.

Operation Sindhu: ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને પગલે ભારત સરકારે શરૂ કરેલા 'ઓપરેશન સિંધુ' હેઠળ ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં કુલ 827 ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા છે. વિશેષ બાબત એ છે કે, આ ઓપરેશન હેઠળ હવે નેપાળ અને શ્રીલંકાના નાગરિકોને પણ ભારત લાવવામાં આવશે, જે માટે બંને દેશોની સરકારે ભારતનો આભાર વ્યક્ત કર્યો છે.
બીજું વિમાન 310 ભારતીયોને લઈને દિલ્હી પહોંચ્યું
શનિવારે (જૂન 21) સાંજે ઈરાનના મશહદથી 310 ભારતીય નાગરિકોને લઈને બીજું વિમાન દિલ્હી એરપોર્ટ પર ઉતર્યું હતું. ભારતીય સમય અનુસાર સાંજે 4:30 વાગ્યે આ વિમાન દિલ્હી પહોંચ્યું હતું, જે દર્શાવે છે કે ભારત સરકાર યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી પોતાના નાગરિકોને સુરક્ષિત પરત લાવવા માટે ઝડપથી કાર્યરત છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી શેર કરી હતી અને ઈરાનથી પરત ફરેલા ભારતીય નાગરિકોની તસવીરો પણ પોસ્ટ કરી હતી, જેમાં તેમના ચહેરા પર ભારત પરત ફરવાનો આનંદ અને રાહત સ્પષ્ટપણે દેખાઈ રહી હતી.
નેપાળ અને શ્રીલંકાના નાગરિકોને પણ મદદ
ઈરાનમાં ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, નેપાળ અને શ્રીલંકાની સરકારોની વિનંતીને માન આપીને, 'ઓપરેશન સિંધુ' હેઠળ આ દેશોના નાગરિકોને પણ ભારત લાવવામાં આવશે. નેપાળના વિદેશ પ્રધાન ડૉ. અર્જુન રાણા દેઉબાએ આ મદદ માટે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરનો આભાર માન્યો હતો અને આને ભારત અને નેપાળ વચ્ચેના મજબૂત સંબંધોનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.
#OperationSindhu
— Randhir Jaiswal (@MEAIndia) June 21, 2025
Another evacuation flight from Mashhad landed in New Delhi at 1630 hrs on 21 June with 310 Indian nationals from Iran.
With this, a total of 827 Indians have been evacuated. pic.twitter.com/C1w8aVNWOs
પહેલા અને બીજા તબક્કાની કામગીરી
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને જોતા બુધવારે (જૂન 18, 2025) 'ઓપરેશન સિંધુ' શરૂ કર્યું હતું. આ ઓપરેશનના પ્રથમ તબક્કામાં 110 ભારતીય નાગરિકોનો પહેલો જથ્થો ઈરાનથી સુરક્ષિત રીતે ભારત પહોંચ્યો હતો. ત્યારબાદ, શનિવારે (જૂન 21) સવારે તુર્કમેનિસ્તાનના અશ્ગાબતથી 517 ભારતીય નાગરિકોને લઈને બીજું વિમાન નવી દિલ્હી પહોંચ્યું હતું. વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે ઈરાનમાં ફસાયેલા તમામ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવામાં આવી રહ્યા છે. આ ઓપરેશન ભારતની વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.



















