Waqf Amendment Bill: સંસદમાં વકફ બિલ પાસ, કાયદાનું શું હશે નામ? કેવી રીતે કરશે કામ? જાણો વિગતે
Waqf Amendment Bill: કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે 2006માં દેશમાં 4.9 લાખ વકફ મિલકતો હતી અને તેમાંથી કુલ આવક માત્ર 163 કરોડ રૂપિયા હતી

Waqf Amendment Bill in Rajya Sabha : રાજ્યસભાએ ગુરુવારે (3 એપ્રિલ) વકફ બોર્ડમાં પારદર્શિતા વધારવા સહિત અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓ ધરાવતા વકફ સુધારા બિલ, 2025ને લાંબી ચર્ચા પછી 128 વિરુદ્ધ 95 મતોથી મંજૂરી આપી હતી. આ બિલ અંગે સરકારે દાવો કર્યો હતો કે તે દેશના ગરીબ અને પાસમંદા મુસ્લિમોની સાથે આ સમુદાયની મહિલાઓની સ્થિતિ સુધારવામાં ઘણી મદદ કરશે.
આ સાથે સંસદે વકફ (સુધારા) બિલ, 2025 અને મુસ્લિમ વકફ (રદ) બિલ, 2024ને મંજૂરી આપી હતી. બુધવારે (2 એપ્રિલ) સવારે લગભગ 2 વાગ્યે લોકસભાએ તેને પસાર કર્યું હતું.
રાજ્યસભામાં વક્ફ બિલ પર 13 કલાક સુધી ચર્ચા ચાલી
13કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બિલ પરની ચર્ચાનો જવાબ આપતા લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે 2006માં દેશમાં 4.9 લાખ વકફ મિલકતો હતી અને તેમાંથી કુલ આવક માત્ર 163 કરોડ રૂપિયા હતી, જ્યારે 2013માં ફેરફારો કર્યા પછી પણ આવકમાં માત્ર 3 કરોડ રૂપિયાનો વધારો થયો હતો. તેમણે કહ્યું કે આજે દેશમાં કુલ 8.72 લાખ વકફ મિલકતો છે.
તેમણે કહ્યું કે બિલમાં મુતવલ્લી માટે જોગવાઈ છે જે વકફ મિલકતનું સંચાલન કરે છે, તેનો વહીવટ કરે છે અને તેનું નિરીક્ષણ કરે છે. રિજિજુએ કહ્યું, "સરકાર કોઈપણ રીતે વકફ મિલકતોનું સંચાલન કે હસ્તક્ષેપ કરતી નથી."
બિલ વિશે ફેલાવવામાં આવી રહેલી ગેરમાન્યતાઓ પાયાવિહોણી છે: રિજિજુ
તેમણે કહ્યું કે આ બિલ દ્વારા વકફ બાબતોમાં મુસ્લિમો સિવાય અન્ય કોઈનો હસ્તક્ષેપ થશે નહીં અને આ અંગે ફેલાવવામાં આવી રહેલી બધી ગેરમાન્યતાઓ પાયાવિહોણી છે. તેમણે કહ્યું કે સરકારે JPC રિપોર્ટ મુજબ બિલમાં ઘણા ફેરફારો કર્યા છે. આમાં એ સૂચનનો સમાવેશ થાય છે કે જિલ્લા મેજિસ્ટ્રેટ કરતા ઉપરના હોદ્દાના અધિકારીએ વકફ જાહેર કરાયેલી સરકારી જમીનનું નિરીક્ષણ કરવું જોઈએ.
તેમણે કહ્યું કે બિલ પર ચર્ચા દરમિયાન ઘણા સભ્યોએ પ્રશ્ન ઉઠાવ્યો કે આ વ્યક્તિ મુસ્લિમ છે કે નહીં તે કેવી રીતે અને કોણ નક્કી કરશે. તેમણે કહ્યું કે જેમ હવે એ નક્કી થઈ જાય છે કે વ્યક્તિ કયો ધર્મ પાળે છે તેવી જ રીતે આ કિસ્સામાં પણ એ નક્કી થશે.
પાછલી સરકારોએ આ અંગે કંઈ કર્યું નહીં
લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે ઘણા વિપક્ષી સભ્યોએ કહ્યું કે દેશમાં ઘણા ગરીબ મુસ્લિમો છે. તેમણે કહ્યું કે બધા જાણે છે કે મોટાભાગનો સમય દેશ પર કોણે શાસન કર્યું છે અને તેમણે મુસ્લિમોની ગરીબી દૂર કરવા માટે કંઈ કર્યું નથી. તેમણે કહ્યું કે જો અગાઉની સરકારોએ આ કામ કર્યું હોત તો આજે નરેન્દ્ર મોદી સરકારને આ બધા પગલાં લેવાની જરૂર ન પડી હોત.
ચેરિટી કમિશનરનું કામ ફક્ત દેખરેખ રાખવાનું રહેશે
રિજિજુએ કહ્યું કે બિલમાં જોગવાઈ કરાયેલ ચેરિટી કમિશનરનું કામ ફક્ત એ જોવાનું છે કે વક્ફ બોર્ડ અને તેના હેઠળની જમીનોનું યોગ્ય રીતે સંચાલન થઈ રહ્યું છે કે નહીં. તેમણે કહ્યું કે આ દ્વારા સરકાર અને વક્ફ બોર્ડ મસ્જિદ સહિત કોઈપણ ધાર્મિક સંસ્થાના કોઈપણ ધાર્મિક કાર્યમાં દખલ કરશે નહીં. તેમણે કહ્યું કે નવા બિલમાં ઇસ્લામના તમામ વિચારધારાના સભ્યોને વક્ફ બોર્ડમાં સ્થાન આપવામાં આવશે. તેમણે કહ્યું કે સરકારનો હેતુ આ બિલને સમાવિષ્ટ બનાવવાનો છે.
પસાર થયા પછી શું હશે કાયદાનું નવું નામ
મંત્રીએ કહ્યું કે આ બિલ પસાર થયા પછી જે કાયદાનો અમલ થશે તેને નવું નામ 'UMMEED' (યુનિફાઇડ વક્ફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ આપવામાં આવ્યું છે અને કોઈને પણ તેની સામે કોઈ વાંધો ન હોવો જોઈએ. તેમણે સ્પષ્ટતા કરી કે જો વકફ સંબંધિત મુદ્દો ઉકેલાઈ ગયો હોય તો આ બિલની જોગવાઈઓ આવા કેસોમાં લાગુ પડશે નહીં, પરંતુ જો કોઈ કેસ કોર્ટમાં પેન્ડિંગ હોય તો તેના માટે કંઈ કરી શકાતું નથી.
તેમણે કહ્યું કે આ બિલની જોગવાઈઓ દેશના ગરીબ મુસ્લિમોના કલ્યાણ તરફ દોરી જશે અને વક્ફ બોર્ડ હેઠળની મિલકતોના વધુ સારા સંચાલનને કારણે તેમના ઉત્થાનમાં મદદ કરશે.
લઘુમતી બાબતોના મંત્રીએ જણાવ્યું હતું કે બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ પોતાની જમીન વકફ કરવા માંગે છે તો વિધવા, છૂટાછેડા લીધેલી મહિલા અથવા અનાથ બાળકોની માલિકીની મિલકત વકફ કરી શકાતી નથી.
ASI હેઠળ આવતા સ્મારકોને હવે વકફ જાહેર કરવામાં આવશે નહીં - કિરેન
તેમણે વિપક્ષને આ બિલ અંગે લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવાની સલાહ આપી. તેમણે કહ્યું કે આ સિવાય, રાષ્ટ્રીય સંપત્તિ અથવા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) હેઠળના સ્મારકો અથવા જમીનને વકફ મિલકત તરીકે જાહેર કરી શકાતી નથી.
તેમણે કહ્યું કે આજે વકફ સંબંધિત 31 હજારથી વધુ કેસ પેન્ડિંગ છે, તેથી વકફ ટ્રિબ્યુનલને મજબૂત બનાવવામાં આવ્યું છે.
સિવિલ કોર્ટમાં અપીલ કરી શકાય છે
રિજિજુએ કહ્યું કે બિલમાં અપીલના અધિકારની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિને લાગે કે તેને વક્ફ ટ્રિબ્યુનલમાં ન્યાય મળ્યો નથી તો તે સિવિલ કોર્ટમાં અપીલ કરી શકે છે.
કાઉન્સિલમાં કોનો સમાવેશ થશે?
તેમણે કહ્યું કે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં 22 સભ્યો હશે. તેમાં ચારથી વધુ બિન-મુસ્લિમ સભ્યો રહેશે નહીં. તેમાં ત્રણ સંસદસભ્યો (સાંસદ), મુસ્લિમ સમુદાયના 10 સભ્યો, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના બે ભૂતપૂર્વ ન્યાયાધીશ, એક રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત વકીલ, વિવિધ ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત ચાર વ્યક્તિઓ, ભારત સરકારના અધિક સચિવ અને સંયુક્ત સચિવ હશે. તેમણે કહ્યું કે મુસ્લિમ સમુદાયના 10 સભ્યોમાંથી બે મહિલાઓ હોવી જોઈએ.
રાજ્ય વક્ફ બોર્ડના સભ્યો કોણ હશે?
રિજિજુએ કહ્યું કે રાજ્ય વક્ફ બોર્ડમાં 11 સભ્યો હશે. ત્રણથી વધુ બિન-મુસ્લિમ સભ્યો રહેશે નહીં, જેમાંથી એક પદાધિકારી સભ્ય હશે. બોર્ડમાં એક ચેરમેન, એક સાંસદ, એક ધારાસભ્ય, મુસ્લિમ સમુદાયના ચાર સભ્યો, વ્યાવસાયિક અનુભવ ધરાવતા બે સભ્યો, બાર કાઉન્સિલના એક સભ્ય અને રાજ્ય સરકારના એક સંયુક્ત સચિવનો સમાવેશ થશે. મુસ્લિમ સમુદાયના ચાર સભ્યોમાંથી બે મહિલાઓ હશે.
આ ઉપરાંત વકફ (સુધારા) બિલ મુજબ, વકફ ટ્રિબ્યુનલને મજબૂત બનાવવામાં આવશે, એક વ્યવસ્થિત પસંદગી પ્રક્રિયા હશે અને કાર્યક્ષમ વિવાદ નિરાકરણ પ્રક્રિયા માટે તેનો એક નિશ્ચિત કાર્યકાળ હશે. બિલની જોગવાઈઓ અનુસાર, ટ્રિબ્યુનલના નિર્ણયોને સિવિલ દાવો દ્વારા પડકારી શકાય છે.
એક કેન્દ્રીયકૃત પોર્ટલની પણ જોગવાઈ કરવામાં આવી છે
તેની જોગવાઈઓ અનુસાર, વકફ સંસ્થાઓ દ્વારા વકફ બોર્ડને આપવાનું ફરજિયાત યોગદાન સાત ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યું છે. 1 લાખ રૂપિયાથી વધુ આવક ધરાવતી વકફ સંસ્થાઓએ રાજ્ય પ્રાયોજિત ઓડિટ કરાવવું પડશે. આ બિલ એક કેન્દ્રીયકૃત પોર્ટલની જોગવાઈ કરે છે જે વકફ મેનેજમેન્ટને કાર્યક્ષમ અને પારદર્શક રીતે ચલાવવામાં મદદ કરશે. તેમાં એવી પણ જોગવાઈ છે કે ફક્ત એક મુસ્લિમ (ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે) જ તેની મિલકત વકફ કરી શકશે.
આ બિલમાં એવી પણ જોગવાઈ છે કે મિલકત વકફ જાહેર થાય તે પહેલાં મહિલાઓને તેમનો વારસો આપવામાં આવશે અને તેમાં વિધવાઓ, છૂટાછેડા લીધેલી મહિલાઓ અને અનાથ બાળકો માટે ખાસ જોગવાઈઓ છે. એવી દરખાસ્ત કરવામાં આવી છે કે જિલ્લા મેજિસ્ટ્રેટથી ઉપરના હોદ્દાના અધિકારી વકફ તરીકે જાહેર કરાયેલી સરકારી જમીનની તપાસ કરશે.





















