Electricity Bill: અહીં રાજ્ય સરકારે વીજળી બિલ પર આપી મોટી રાહત, યૂનિટ પર સબસિડી સાથે મળશે આ લાભ
Electricity Bill: દેશના ઘણા રાજ્યો આકરી ગરમીની ઝપેટમાં છે અને આવી સ્થિતિમાં લોકોનો એકમાત્ર આધાર કૂલર, એસી જેવા ઉપકરણો છે, જે તેમના ઘરોમાં ઠંડી હવા આપવાનો પ્રયાસ કરી રહ્યાં છે

Electricity Bill: દેશના ઘણા રાજ્યો આકરી ગરમીની ઝપેટમાં છે અને આવી સ્થિતિમાં લોકોનો એકમાત્ર આધાર કૂલર, એસી જેવા ઉપકરણો છે, જે તેમના ઘરોમાં ઠંડી હવા આપવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હાલમાં દેશમાં વીજળીની માંગ રેકોર્ડ સ્તરે છે અને તેનું કારણ ગરમીથી બચવા માટે ઘરોમાં ઈલેક્ટ્રૉનિક ઉપકરણોનો ભારે ઉપયોગ છે. AC 24 કલાક ચાલતા હોવાથી લોકોના વીજ બીલ પણ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં એક એવું રાજ્ય છે જ્યાં સરકારે પોતાના નિર્ણયથી લોકોને મોટી રાહત આપી છે અને તેમના વીજળીના બિલના ખર્ચમાં ઘટાડો થઈ શકે છે.
હરિયાણામાં ઘરેલુ વીજળી કનેક્શન પર હવે નહીં લાગે ન્યૂનત્તમ માસિક ચાર્જ
હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ જાહેરાત કરી છે કે, ઘરેલું વીજળી ગ્રાહકો માટે લઘુત્તમ માસિક ચાર્જ નાબૂદ કરવામાં આવ્યો છે, અને હવે વીજળીના બિલ માત્ર વપરાશમાં લેવાયેલા યૂનિટના આધારે બનાવવામાં આવશે.
એક સત્તાવાર નિવેદનમાં, મુખ્યમંત્રીને ટાંકવામાં આવ્યું હતું કે આ નિર્ણય પછી, હરિયાણાના લોકોને તેઓ જેટલી વીજળી વાપરે છે તેના યૂનિટનું જ બિલ મળશે. નિવેદન અનુસાર, "આ નિર્ણય પછી, હવે હરિયાણાના લોકોને વીજળી વપરાશના આધારે જ બિલ મળશે. આનાથી વીજળી ગ્રાહકોને ઘણી જરૂરી રાહત મળશે."
હરિયાણા સરકાર પણ આપશે એક્સ્ટ્રા સબસિડી
સીએમ નાયબસિંહ સૈનીએ અંબાલામાં 'પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના' હેઠળ વધારાની સબસિડી યોજના શરૂ કરતી વખતે આ જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ગરીબ પરિવારોને તેમના ધાબા પર સોલાર યૂનિટ લગાવવા માટે 60,000 રૂપિયાની સબસિડી આપશે. આ સબસિડી એવા પરિવારોને જ મળશે જેમની વાર્ષિક આવક 1.80 લાખ રૂપિયાથી ઓછી છે.
ગરીબ પરિવારોને સૉલાર પાવર યૂનિટ માટે નહીં કરવો પડે કોઇ ખર્ચ
સીએમએ કહ્યું કે હરિયાણા સરકાર આ પરિવારોને 50,000 રૂપિયાની સબસિડી પણ આપશે. આ રીતે ગરીબ પરિવારોએ તેમના ધાબા પર સોલાર પાવર યૂનિટ લગાવવા માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં. દરેક સોલાર યૂનિટના ઇન્સ્ટોલેશન પાછળ 1.10 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. તેમણે કહ્યું કે 1.80 લાખથી 3 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને કેન્દ્ર તરફથી 60,000 રૂપિયા અને રાજ્ય સરકાર તરફથી 20,000 રૂપિયાની સબસિડી પણ આપવામાં આવશે.
આ સાથે, મુખ્યમંત્રીએ ખેદર, હિસારમાં રાજીવ ગાંધી થર્મલ પાવર પ્લાન્ટમાં 7250 કરોડ રૂપિયાના ખર્ચે 800 મેગાવોટ ક્ષમતાના વધારાના અલ્ટ્રા સુપર ક્રિટિકલ યૂનિટની સ્થાપના કરવાની જાહેરાત કરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
