'ટૂથપેસ્ટથી લઈ ટ્રેક્ટર સુધી લોકો માટે ટેક્સ ઓછો થયો', PM મોદી બોલ્યા- કૉંગ્રેસ GST પર જુઠ્ઠાણું ફેલાવી રહી છે
પ્રધાનમંત્રીએ કહ્યું કે ટૂથપેસ્ટથી લઈને ટ્રેક્ટર સુધીના ભાવ પર લોકો માટે કરનો બોજ ઘટાડવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કૉંગ્રેસની આગેવાની હેઠળની સરકારો દરમિયાન, "કર લૂંટ" થઈ હતી.

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે GST દર ઘટાડાના મુદ્દા પર જનતાને ગેરમાર્ગે દોરવા બદલ કૉંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો પર નિશાન સાધ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે ટૂથપેસ્ટથી લઈને ટ્રેક્ટર સુધીના ભાવ પર લોકો માટે કરનો બોજ ઘટાડવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે કૉંગ્રેસની આગેવાની હેઠળની સરકારો દરમિયાન, "કર લૂંટ" થઈ હતી અને લોકો પર ભારે કરનો બોજ હતો. ઉત્તર પ્રદેશ ઇન્ટરનેશનલ ટ્રેડ શો (UPITS) નું ઉદ્ઘાટન કર્યા પછી પ્રધાનમંત્રીએ કહ્યું કે આગામી પેઢીના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સુધારાઓ માત્ર ત્રણ દિવસ પહેલા (22 સપ્ટેમ્બર) લાગુ કરવામાં આવ્યા હતા.
GST સુધારાઓ ભારતની વિકાસ ગાથાને નવી ગતિ આપશે
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું કે આ એક "માળખાકીય પરિવર્તન" છે. "આ ભારતની વિકાસ ગાથાને નવી ગતિ આપશે," તેમણે કહ્યું આ સુધારાઓ GST નોંધણીને સરળ બનાવશે, કર વિવાદો ઘટાડશે અને MSME માટે રિફંડ ઝડપી બનાવશે, જેનાથી દરેક ક્ષેત્રને ફાયદો થશે.
કૉંગ્રેસ દેશના લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે
પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું કે, "આમ છતાં, કેટલાક રાજકીય પક્ષો દેશના લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષો જેઓ 2014 પહેલા સત્તામાં હતા તેઓ તેમની સરકારની નિષ્ફળતાઓ છુપાવવા માટે જનતાને ખોટું બોલી રહ્યા છે." PM મોદીએ કહ્યું, "સત્ય એ છે કે કોંગ્રેસ સરકારો દરમિયાન, કર દ્વારા મોટા પાયે લૂંટ કરવામાં આવી હતી અને લૂંટાયેલા પૈસા વધુ લૂંટવામાં આવ્યા હતા. દેશનો સામાન્ય નાગરિક કરના બોજથી પીડાઈ રહ્યો હતો."
સરકારે ફુગાવાને નિયંત્રિત કરીને આવક અને બચતમાં વધારો કર્યો
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, તેમની સરકારે કરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે, ફુગાવાને નિયંત્રિત કર્યો છે અને આવક અને બચત બંનેમાં વધારો કર્યો છે. તેમણે કહ્યું કે ₹12 લાખ સુધીની આવકને કરમાંથી મુક્તિ આપીને અને નવા GST સુધારાઓ લાગુ કરીને નાગરિકો ફક્ત આ વર્ષે જ ₹2.5 લાખ કરોડ બચાવશે. પીએમ મોદીએ કહ્યું કે દેશ GST બચત ઉત્સવ ઉજવી રહ્યો છે.
The structural reforms in GST are set to give new wings to India's growth story. pic.twitter.com/ZRBZ7rNjsi
— PMO India (@PMOIndia) September 25, 2025
GST હિસ્સેદારોએ ત્રણ અલગ અલગ તબક્કા જોયા
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે GST ના હિસ્સેદારોએ ત્રણ અલગ અલગ તબક્કા જોયા છે: GST પહેલા, GST પછી, અને હવે આગામી પેઢીના GST સુધારા. આ સમયગાળા દરમિયાન, GST માળખામાં નોંધપાત્ર ફેરફારો થયા છે. PM મોદીએ જણાવ્યું હતું કે 2014 પહેલા, ઊંચા કરના બોજને કારણે વ્યવસાયિક ખર્ચ અને ઘરગથ્થુ બજેટ બંનેનું સંચાલન કરવું મુશ્કેલ બન્યું હતું. તેમણે નોંધ્યું હતું કે 2014 પહેલા, ₹1,000 ની કિંમતના શર્ટ પર આશરે ₹170 નો કર લાગતો હતો. 2017 માં GST લાગુ થયા પછી, આ કર ઘટાડીને ₹50 કરવામાં આવ્યો હતો. 22 સપ્ટેમ્બરથી સુધારેલા દરો અમલમાં આવતા વ્યક્તિઓએ હવે ₹1,000 ના શર્ટ પર ફક્ત ₹35 નો કર ચૂકવવો પડશે.





















