TMC ના 20 સાંસદો બળવો કરીને પાર્ટીમાંથી અલગ થઈ શકે છે. તેઓ સંસદમાં પોતાના માટે અલગ બ્લોકની માંગણી કરવા જઈ રહ્યા છે.
મમતા બેનર્જીને મોટો ઝટકો! TMC માં ભયંકર બળવો, 20 સાંસદો સ્પીકરને મળશે, રાખશે આ મોટી માંગ
સુદીપ બંદોપાધ્યાય અને અમિત શાહ વચ્ચે અડધો કલાક બેઠક, NDA ના સમર્થનથી બળવાખોર સાંસદો સંસદમાં અલગ બેસવાની માંગ કરશે

- તૃણમૂલ કોંગ્રેસના 20 સાંસદો પાર્ટીથી અલગ થવા તૈયાર.
- સોમવારે સ્પીકર સમક્ષ સંસદમાં અલગ બ્લોક માંગશે 20 સાંસદો.
- TMC સાંસદ સુદીપ બંદોપાધ્યાયે અમિત શાહ સાથે મુલાકાત કરી.
- પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પછી પાર્ટીમાં જૂથવાદ વધ્યો.
TMC Political Crisis: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં મોટો રાજકીય ભૂકંપ આવવાની તૈયારી છે. પાર્ટીની અંદર ચાલી રહેલી ખેંચતાણ હવે છેલ્લી કક્ષાએ પહોંચી ગઈ છે અને TMC ના 20 સાંસદો બળવો કરીને પાર્ટીમાંથી અલગ થઈ શકે છે. અહેવાલો મુજબ, આ 20 સાંસદો સોમવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળીને સંસદમાં પોતાના માટે અલગ બ્લોકની માંગણી કરવા જઈ રહ્યા છે. આ મોટા ઘટનાક્રમ વચ્ચે શનિવારે TMC સાંસદ સુદીપ બંદોપાધ્યાયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત પણ કરી હતી, જેને પગલે બંગાળથી લઈને દિલ્હી સુધી રાજકીય ગરમાવો વધી ગયો છે.
20 સાંસદો સ્પીકર સમક્ષ કરશે મોટી માંગ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સોમવારે 15 જૂનના રોજ 20 TMC સાંસદો લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે ખાસ મુલાકાત કરશે. આ તમામ બળવાખોર સાંસદો કેન્દ્રના સત્તાધારી NDA ગઠબંધનના સપોર્ટથી પોતાના માટે સંસદમાં એક અલગ બ્લોક તરીકેની માન્યતા માંગશે. તેઓ સ્પષ્ટ ઈચ્છે છે કે લોકસભામાં તેમને અભિષેક બેનર્જીની આગેવાનીવાળા મૂળ TMC જૂથથી તદ્દન અલગ બેસાડવામાં આવે.
અમિત શાહ અને સુદીપ બંદોપાધ્યાય વચ્ચે બેઠક
આ મોટા ઉલટફેરના એંધાણ શનિવારે સવારે જ મળી ગયા હતા, જ્યારે સુદીપ બંદોપાધ્યાય દિલ્હી પહોંચ્યા હતા. સૌથી પહેલા તેઓ અન્ય એક સાંસદ શતાબ્દી રોય સાથે મોતીલાલ નહેરુ માર્ગ પર આવેલા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને ગયા હતા. ત્યાં મુલાકાત કર્યા બાદ તેમણે સ્પીકરને મોકલવાના પત્ર પર સહીઓ કરી હતી. આ પછી સુદીપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ બંધબારણે મુલાકાત કરી હતી, જે લગભગ 30 મિનિટથી વધુ સમય સુધી ચાલી હતી. હવે આ પત્ર પર સહી કરનારા તમામ 20 સાંસદો સોમવારે સ્પીકરને રૂબરૂ મળશે.
આ પણ વાંચોઃ મમતા બેનર્જીને મોટો ઝટકો: તૃણમૂલના 19 સાંસદો ભાજપના સંપર્કમાં? જુઓ બળવાખોરોનું લિસ્ટ
TMC માં કેમ વધ્યો આંતરિક ડખો?
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા પછીથી જ પાર્ટીની અંદર ભારે ડખો અને જૂથવાદ ચાલી રહ્યો છે. પાર્ટીએ વિધાનસભામાં પોતાના સંસદીય પક્ષ પરનો કાબૂ ગુમાવી દીધો છે, અને હવે લોકસભામાં પણ બળવાના ખુલ્લા સંકેતો જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 1 જૂનના રોજ લોકસભામાં TMC સાંસદોના એક મોટા જૂથે પાર્ટી સુપ્રીમો મમતા બેનર્જીના નેતૃત્વ સામે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. નવાઈની વાત એ છે કે, તે જ દિવસે મમતા બેનર્જી અને પાર્ટીના મહાસચિવ અભિષેક બેનર્જી દિલ્હીમાં વિપક્ષી 'INDIA' ગઠબંધનની બેઠકમાં હાજરી આપી રહ્યા હતા, ત્યારે જ પાછળથી સાંસદોમાં વિભાજનના મોટા અહેવાલો સામે આવ્યા હતા.
આ પણ વાંચોઃ સોનિયા ગાંધીની મમતા બેનર્જીને ઓફર: ટીએમસીને કોંગ્રેસમાં ભેળવી દો, કોંગ્રેસના એક ફોનથી ખળભળાટ
Frequently Asked Questions
તૃણમૂલ કોંગ્રેસમાં કયો મોટો રાજકીય ભૂકંપ આવવાની તૈયારી છે?
બળવાખોર TMC સાંસદો લોકસભા સ્પીકરને શા માટે મળવાના છે?
તેઓ સોમવારે સ્પીકર ઓમ બિરલાને મળીને સંસદમાં NDA ગઠબંધનના સમર્થનથી પોતાના માટે અલગ બ્લોકની માન્યતા માંગશે. તેઓ અભિષેક બેનર્જીના જૂથથી તદ્દન અલગ બેસવા માંગે છે.
TMC સાંસદ સુદીપ બંદોપાધ્યાયે તાજેતરમાં કોને મળ્યા હતા?
સુદીપ બંદોપાધ્યાયે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને ગયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત લગભગ 30 મિનિટથી વધુ ચાલી હતી.
TMC માં આંતરિક ડખો શા માટે વધ્યો છે?
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો પછીથી પાર્ટીમાં જૂથવાદ અને આંતરિક ડખો ચાલી રહ્યો છે. પાર્ટીએ વિધાનસભામાં પોતાનો કાબૂ ગુમાવી દીધો છે.






















