પશ્ચિમ બંગાળમાં 23 થી 29 એપ્રિલ દરમિયાન 2 તબક્કામાં ચૂંટણી યોજાશે.
બંગાળમાં ફરી 'ખેલા હોબે'! ઓપિનિયન પોલમાં મમતા બેનર્જી ફરી મારશે બાજી, જાણો ભાજપને કેટલી બેઠક મળશે?
આવતા મહિને યોજાનારી ચૂંટણી પહેલા આવેલા ઓપિનિયન પોલમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે સર્વે મુજબ ટીએમસી 184 થી 194 બેઠકો સાથે સતત ચોથી વખત સરકાર બનાવી શકે છે.

- મમતા બેનર્જીની TMC ફરી બંગાળમાં સરકાર બનાવી શકે છે.
- પ્રી-પોલ સર્વેમાં TMC ને 184-194 બેઠકો મળવાનું અનુમાન.
- મમતા બેનર્જી મુખ્યમંત્રી પદ માટે પ્રથમ પસંદગી છે.
- ભાજપની નબળાઈઓમાં આંતરિક જૂથવાદ અને સ્થાનિક ચહેરાનો અભાવ.
પશ્ચિમ બંગાળમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, ત્યારે ચૂંટણી પહેલા એક મોટો ઓપિનિયન પોલ સામે આવ્યો છે. આ સર્વે મુજબ, મુખ્યમંત્રી મમતા બેનર્જીની લોકપ્રિયતા હજુ પણ અકબંધ છે અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) 184 થી 194 બેઠકો જીતીને સતત ચોથી વખત બંગાળમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી શકે છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી (BJP) ને 98 થી 108 બેઠકો મળવાનું અનુમાન છે. સર્વે દર્શાવે છે કે બંગાળની જનતા હજુ પણ મમતા દીદી પર વિશ્વાસ મૂકી રહી છે.
મતદાનની તારીખો અને બેઠકોનું ગણિત
બંગાળ સહિત ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં આવતા મહિને મતદાન થવાનું છે. પશ્ચિમ બંગાળમાં 23 થી 29 એપ્રિલ દરમિયાન 2 તબક્કામાં ચૂંટણી યોજાશે. રાજ્યની વિધાનસભામાં કુલ 294 બેઠકો છે અને સરકાર બનાવવા માટે 148 બેઠકોનો જાદુઈ આંકડો પાર કરવો પડે છે. CNN-News18 અને Vote Vibe દ્વારા કરવામાં આવેલા આ પ્રી-પોલ સર્વેમાં TMC ને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે. વોટ શેર (મતની ટકાવારી) ની વાત કરીએ તો, 41.9 ટકા લોકોએ TMC ને સમર્થન આપ્યું છે, જ્યારે 34.9 ટકા લોકો ભાજપની સાથે જોવા મળ્યા છે.
મુખ્યમંત્રી પદ માટે મમતા દીદી જ પહેલી પસંદ
સર્વેના આંકડા સ્પષ્ટ બતાવે છે કે બંગાળમાં મમતા બેનર્જીનો જાદુ હજુ પણ ચાલી રહ્યો છે અને તેઓ જ TMC ની જીતની મુખ્ય ચાવી છે. 48.8 ટકા લોકો આજે પણ તેમને જ મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. જ્યારે ભાજપના નેતા સુવેન્દુ અધિકારીને 33.4 ટકા લોકોએ સીએમ પદ માટે પસંદ કર્યા છે.
રાજ્ય સરકારના કામકાજ વિશે પૂછવામાં આવતા 43.3 ટકા લોકોએ તેને 'સારું' અથવા 'ખૂબ સારું' ગણાવ્યું હતું. જોકે, અમુક વર્ગ નારાજ પણ છે; 20.6 ટકા લોકોએ કામગીરીને 'ખૂબ જ ખરાબ' અને 18.3 ટકા લોકોએ 'ખરાબ' પણ કહી છે. આમ છતાં, 36.5 ટકા મતદારો એવા છે જે પોતાના વર્તમાન TMC ધારાસભ્યને ફરીથી ચૂંટવા માંગે છે.
જાતિગત સમીકરણો: કોણ કોની સાથે?
આંકડાઓ પર નજર કરીએ તો, મુસ્લિમ સમુદાયમાં મમતા બેનર્જીની પકડ ખૂબ જ મજબૂત છે. આ સમુદાયના 44.2 ટકા લોકોએ સરકારના કામને બિરદાવ્યું છે. સામે પક્ષે, અનુસૂચિત જનજાતિ (ST) અને સવર્ણ હિન્દુ મતદારો સરકારથી સૌથી વધુ નારાજ જોવા મળ્યા છે; આ બંને વર્ગના 26.6 ટકા લોકોએ સરકારની કામગીરીને સાવ નબળી ગણાવી છે.
ભાજપ ક્યાં થાપ ખાઈ રહી છે?
આ ઓપિનિયન પોલમાં બંગાળમાં ભાજપની નબળાઈઓ પણ છતી થઈ છે. સર્વેમાં ભાગ લેનારા લોકોએ ભાજપ પાછળ રહેવાના મુખ્ય 3 કારણો આપ્યા છે:
19.9 ટકા લોકોનું માનવું છે કે ભાજપમાં અંદરખાને ચાલતો ડખ્ખો અને જૂથવાદ તેમને મોટું નુકસાન પહોંચાડી રહ્યો છે.
17.2 ટકા લોકો માને છે કે ભાજપ પાસે રાજ્ય સ્તરે કોઈ મજબૂત અને જાણીતો ચહેરો નથી.
12.5 ટકા લોકો એવું વિચારે છે કે ભાજપ બંગાળની સ્થાનિક સંસ્કૃતિ અને ભાવનાઓને હજુ બરાબર સમજી શકી નથી.
Frequently Asked Questions
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે?
ઓપિનિયન પોલ મુજબ, પશ્ચિમ બંગાળમાં કઈ પાર્ટી સત્તા પર આવી શકે છે?
સર્વે મુજબ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) 184 થી 194 બેઠકો જીતીને પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી શકે છે.
મુખ્યમંત્રી પદ માટે લોકોની પહેલી પસંદ કોણ છે?
48.8 ટકા લોકો આજે પણ મમતા બેનર્જીને જ મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે.
રાજ્ય સરકારના કામકાજ વિશે લોકોનો શું મત છે?
43.3 ટકા લોકોએ તેને 'સારું' અથવા 'ખૂબ સારું' ગણાવ્યું છે, જ્યારે 20.6 ટકા લોકોએ તેને 'ખૂબ જ ખરાબ' ગણાવ્યું છે.
ભાજપ બંગાળમાં શા માટે નબળી પડી રહી છે?
ભાજપમાં આંતરિક ડખ્ખો, રાજ્ય સ્તરે મજબૂત ચહેરાનો અભાવ અને સ્થાનિક સંસ્કૃતિ ન સમજવી એ મુખ્ય કારણો છે.





















