કેમ છોડ્યું બોલિવૂડ? કિન્નર અખાડાના જ કેમ બન્યાં મહામંડલેશ્વર, જાણો, મમતાએ દરેક પ્રશ્નનો શું આપ્યો જવાબ
બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીએ પ્રયાગરાજ મહાકુંભમાં સંગમમાં ડૂબકી લગાવી અને નિવૃત્તિની જાહેરાત કરી. તેમને કિન્નર અખાડાની મહિલા પાંખમાં મહામંડલેશ્વરનું પદ અને નવું નામ યમાઈ મમતા નંદ ગિરી આપવામાં આવ્યું હતું.

બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી શુક્રવારે પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચી, સંગમમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી અને ગૃહજીવનમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. કિન્નર અખાડાના મહામંડલેશ્વર કૌશલ્યા નંદ ગિરી ઉર્ફે ટીના માએ જણાવ્યું કે, મમતા કુલકર્ણીએ ગંગામાં ડૂબકી લગાવી અને ગંગાના કિનારે પિંડ દાન આપ્યું. તેમના જણાવ્યા મુજબ, સાંજે લગભગ આઠ વાગ્યે, કિન્નર અખાડામાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મહામંડલેશ્વર તેમના પટ્ટાભિષેક કરવામાં આવ્યો હતો.
ટીના માએ જણાવ્યું કે, આ કાર્યક્રમમાં જૂના અખાડાના મહામંડલેશ્વર સ્વામી મહેન્દ્રાનંદ ગીરી, કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી અને અન્ય કિન્નર મહામંડલેશ્વરોની ઉપસ્થિતિમાં સૌ પ્રથમ પાંચ મહામંડલેશ્વરો - ગિરનારી નંદ ગિરી, કૃષ્ણાનંદ ગિરી, ગિરનારી નંદ ગિરી, રાજેશ્વરી નંદ ગિરી. , વિદ્યા નંદ ગીરી અને નીલમ નંદ ગીરીનો પટ્ટાભિષેક કરવામાં આવ્યો હતો. કૌશલ્યા નંદ ગિરીએ જણાવ્યું કે આ પછી ફિલ્મ અભિનેત્રી મમતા કુલકર્ણીનો પટ્ટાભિષેક કરવામાં આવી અને તેમને નવું નામ યામાઈ મમતા નંદ ગિરી આપવામાં આવ્યું.
પટ્ટાભિષેક પછી, લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ જાહેરાત કરી કે, મમતા કુલકર્ણીને કિન્નર અખાડાની મહિલા શાખામાં મહામંડલેશ્વરના પદ પર પટ્ટાભિષેક આપવામાં આવ્યો અને તેમને નવું નામ યમાઈ મમતા નંદ ગિરી આપવામાં આવ્યું. પટ્ટાભિષેક પછી, મમતા કુલકર્ણીએ કહ્યું કે, તેણે 23 વર્ષ પહેલાં કુપોલી આશ્રમમાં જુના અખાડાના ચૈતન્ય ગગન ગિરી મહારાજ પાસેથી દીક્ષા લીધી હતી અને તે બે વર્ષથી લક્ષ્મી નારાયણ ત્રિપાઠીના સંપર્કમાં છે.
“મારે બોલિવૂડમાં વાપસી ન હતી કરવી”
મમતા કુલકર્ણીએ કહ્યું કે, લક્ષ્મી નારાયણ ત્રિપાઠી મારી 23 વર્ષની તપશ્ચર્યાને સમજી ગયા અને સ્વામી મહેન્દ્રાનંદ ગિરી મહારાજે મારી પરીક્ષા લીધી જેમાં હું પાસ થઈ. મને ખબર નહોતી કે, છેલ્લા ત્રણ દિવસથી મારી કસોટી લેવાઇ રહી છે. ગઈકાલે જ મને મહામંડલેશ્વર બનાવવાનું આમંત્રણ મળ્યું. કુલકર્ણીએ કહ્યું, 'હું મધ્યમાર્ગી હોવાથી કિન્નર અખાડામાં જોડાઇ. હું બોલિવૂડમાં પાછા જવા માંગતી ન હતી, તેથી મેં 23 વર્ષ પહેલાં બોલિવૂડ છોડી દીધું હતું. હવે હું સ્વતંત્ર રીતે મધ્યમ માર્ગ અપનાવીને સનાતન ધર્મનો પ્રચાર કરીશ. હું 12 વર્ષ પહેલા અહીં મહાકુંભ મેળામાં આવી હતી.
મમતા કુલકર્ણીએ કહ્યું કે, સ્વામી મહેન્દ્રનાદ ગિરી, ઈન્દ્ર ભારતી મહારાજ અને અન્ય એક મહારાજ બ્રહ્મા વિષ્ણુ મહેશના રૂપમાં મારી સમક્ષ પ્રગટ થયા. મારા મનમાં કહ્યું કે, જો તમે 23 વર્ષ તપસ્યા કરી છે તો તેનું પ્રમાણપત્ર (મહામંડલેશ્વરનું પદ) ચોક્કસ બને છે. પોતાની ફિલ્મી સફર અંગે તેણે કહ્યું, “મેં 40-50 ફિલ્મોમાં અભિનય કર્યો અને જ્યારે મેં ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી ત્યારે મારા હાથમાં 25 ફિલ્મો હતી. મેં કોઈ મુસીબતને લીધે સન્યાસ નથી લીધો, પણ શાસ્વત સુખનો અનુભવ કરવા માટે સન્યાસ લીધો છે.





















