સુરત ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નો ભવ્ય પ્રારંભ, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને મળશે વૈશ્વિક ફલક
Surat News: ગુજરાત સ્થાપના દિવસના પવિત્ર અવસરે સુરતની ધરતી પરથી રાજ્યના વિકાસને નવી ગતિ આપવા માટે 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' (VGRC) ની ત્રીજી આવૃત્તિનો ભવ્ય શુભારંભ થયો છે.

- સુરતમાં 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ'નો શુભારંભ થયો.
- જાપાન, રવાન્ડા જેવા દેશો ભાગીદાર, સુરત ઈકોનોમિક માસ્ટર પ્લાન રજૂ.
- દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓની ઔદ્યોગિક ક્ષમતા વિશ્વ સમક્ષ રખાશે.
- ઉદ્યોગો સાથે જળ સંચય પર પણ ભાર મૂકવામાં આવ્યો.
Surat News: ગુજરાત સ્થાપના દિવસના પવિત્ર અવસરે સુરતની ધરતી પરથી રાજ્યના વિકાસને નવી ગતિ આપવા માટે 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' (VGRC) ની ત્રીજી આવૃત્તિનો ભવ્ય શુભારંભ થયો છે. સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે આયોજિત આ બે દિવસીય મેગા ઇવેન્ટનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
વૈશ્વિક ભાગીદારી અને ખાસ લોન્ચિંગ
આ કોન્ફરન્સની ખાસિયત એ છે કે તેમાં જાપાન, રવાન્ડા, યુક્રેન અને સિંગાપોર જેવા દેશો ભાગીદાર તરીકે જોડાયા છે. ઉદ્ઘાટન પ્રસંગે,સુરત ઈકોનોમિક માસ્ટર પ્લાન રજૂ કરવામાં આવ્યો. સુરતની આગવી ઓળખ સમાન ‘કટ ડાયમંડ-GI ટેગ’ પર એક ખાસ કવર લોન્ચ કરવામાં આવ્યું.
દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓ પર ફોકસ
'વિકસિત ભારત@2047'ના સ્વપ્નને સાકાર કરવા માટે આ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, તાપી અને વલસાડ એમ 6 જિલ્લાઓની ઔદ્યોગિક ક્ષમતાને વિશ્વ સમક્ષ મૂકવામાં આવશે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના સહયોગથી આયોજિત આ ઇવેન્ટમાં વિવિધ ક્ષેત્રો પર સેમિનાર યોજાશે:
- ટેક્સટાઈલ, જેમ્સ એન્ડ જ્વેલરી.
- કેમિકલ-પેટ્રોકેમિકલ્સ અને ગ્રીન એનર્જી ઈકોસિસ્ટમ.
- એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, ઈકોટુરિઝમ, સ્ટાર્ટઅપ્સ અને MSME.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી શુભેચ્છા
કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, "આજનો દિવસ ઐતિહાસિક છે. વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત માત્ર 76 MOU સાથે થઈ હતી અને આજે તે વિશ્વના ફલક પર છવાયું છે."
જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે સુરતની ઔદ્યોગિક ક્ષમતાને બિરદાવી
સુરતમાં આયોજિત બે દિવસીય 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ'માં સંબોધન કરતા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરતની ઔદ્યોગિક ક્ષમતાને બિરદાવતા જણાવ્યું હતું કે, આજે બોર્ડર પર મોકલવામાં આવતી તોપ અને સૈનિકો માટેની હલકા વજનની તોપ પણ સુરતમાં જ બની રહી છે. ઉદ્યોગોના વિકાસની સાથે પાણીની જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે, તે વાત પર ભાર મૂકતા તેમણે 'જળ સંચય'ના નારાને બુલંદ કરવાની અપીલ કરી હતી. પીએમ મોદીના 'જળ એ જ જીવન' અને 'કેચ ધ રેઈન' મિશનનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીના જળ સંચય અને જન ભાગીદારીના આહવાન પર અત્યાર સુધીમાં 70 લાખથી વધુ જળ સંચયના સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યા છે. અંતમાં, તેમણે ઉદ્યોગોને વધુમાં વધુ જળ સંચયના સ્ટ્રક્ચર તૈયાર કરવા અને ભૂગર્ભ જળને બદલે સરફેસ વોટર (સપાટી પરનું પાણી) મેળવવાનો પ્રયાસ કરવા આગ્રહભરી અપીલ કરી હતી.
LIVE: માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના વરદ્હસ્તે 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ - દક્ષિણ ગુજરાત'નો સુરત ખાતે શુભારંભ.https://t.co/mgITGSavyg
— Harsh Sanghavi (@sanghaviharsh) May 1, 2026
ભવ્ય પ્રદર્શન (VGRE)
કોન્ફરન્સની સાથે જ 1 થી 5 મે દરમિયાન 12,000 ચોરસ મીટરમાં ફેલાયેલું ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન’ પણ ખુલ્લું મુકાયું છે. જેમાં MSME થી લઈને મલ્ટીનેશનલ કંપનીઓ પોતાની નવીન ટેક્નોલોજીનું પ્રદર્શન કરી રહી છે.
ઉપસ્થિત મહાનુભાવો:
આ અવસરે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પૂરી, રાજ્યના મંત્રીઓ કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, અર્જુન મોઢવાડિયા અને પ્રફુલ પાનસેરિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાતમાં રોકાણની નવી તકો ઊભી કરી પ્રાદેશિક અર્થતંત્રને નવી ઊંચાઈ પર લઈ જશે.





















