Ambalal Patel : લોકોને મળશે ગરમીમાંથી રાહત, ભારે પવન સાથે વરસાદી માહોલની અંબાલાલ પટેલની આગાહી
Ambalal Patel Forecast: વધુમાં 11 થી 20 મે દરમિયાન ગુજરાતમાં ભારે પવન સાથે પ્રી-મોન્સૂન વરસાદી માહોલ સર્જાવાની પણ આગાહી કરવામાં આવી છે.

- અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે ગરમીથી આંશિક રાહતની આગાહી કરી.
- આગામી 3 દિવસ તાપમાનમાં 3 ડિગ્રી ઘટાડો, પછી ફરી વધશે.
- અમદાવાદ, રાજકોટ સહિત અનેક શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન.
- ગરમીને કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી, સાવચેતી રાખવા અપીલ.
Ambalal Patel Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળતી આગાહી વ્યક્ત કરી હતી. અંબાલાલ પટેલના મતે રાજ્યના નાગરિકોને હાલ કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળવાના સંકેત છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પારો 32 થી 33 ડિગ્રી સુધી નીચો જઈ શકે છે. જોકે, આ રાહત લાંબો સમય નહીં ટકે, કારણ કે 8 મે બાદ ફરી ગરમીનો પ્રકોપ વધશે અને અમદાવાદ, વડોદરા તથા ગાંધીનગર જેવા શહેરોમાં તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. વધુમાં 11 થી 20 મે દરમિયાન ગુજરાતમાં ભારે પવન સાથે પ્રી-મોન્સૂન વરસાદી માહોલ સર્જાવાની પણ આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે શું કરી છે આગાહી?
રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળશે. હવામાન વિભાગે આ આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 3 દિવસ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થશે.અમદાવાદમાં છેલ્લા ચાર દિવસની સરખામણીએ બુધવારે ગરમીમાં આંશિક ઘટાડો થતા 42.6 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચોઃ Heatwave : રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, તાપમાનમાં 3 ડિગ્રીનો થશે ઘટાડો
આગામી 3 દિવસ પણ શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ જ રહેશે. બુધવારે 43 ડિગ્રી સાથે રાજકોટમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. રાજકોટ ઉપરાંત સાત શહેરોમાં 40 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ છે. જેમાં ગાંધીનગરમાં 42.2, અમરેલીમાં 42.1, વડોદરામાં 40.2, ડીસામાં 40.2 ભાવનગરમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બપોરના સમયે આકરા તાપના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો અસહ્ય તાપના કારણે માથું દુખાવું, ચક્કર આવવા, ઝાડા ઉલટીના કેસ તેમજ ડીહાઈડ્રેશન અને હીટ સ્ટ્રોકના કેસમાં વધારો થયો છે.
અમદાવાદની સોલા સિવિલમાં એક સપ્તાહમાં 11,788 ઓપીડી નોંધાઈ છે. જે આંકડાઓ ચિંતાજનક છે. ગરમીની સાથે મચ્છરજ્ન્ય રોગચાળો પણ વકર્યો છે. ડેન્ગ્યુમાં 154 સેમ્પલ લેવામાં આવ્યા જેમાં ચાર દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે મેલેરિયામાં 470 સેમ્પલમાંથી ચાર પોઝિટિવ કેસ અને સ્વાઈન ફ્લૂમાં એક દર્દી પોઝિટિવ નોંધાયો છે. અસહ્ય ગરમી અને લૂ થી બચવા માટે તબીબોએ નાગરિકોને વિશેષ સાવચેતી રાખવા અપીલ કરી હતી. તો બપોરના 12:00 વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવું સતત પાણી પીતા રહેવું, લીંબુ પાણી, છાશ તેમજ નાળિયેરનું પાણી પીવું જોઈએ.
રાજકોટમાં આકરી ગરમીને લઈ મનપા એક્શનમાં આવ્યું છે. બપોરે 1થી 4 દરમિયાન બહાર ન નીકળવા લોકોને સલાહ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે મનપાના રજિસ્ટર્ડ દોઢ લાખ મોબાઈલ નંબર પર મેસેજ મોકલ્યો છે. હીટવેવની આગાહીને લઈ મેસેજ મોકલવામાં આવ્યા છે.






















