![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pakistan : ભારત વિરોધી જહૂર, બશીર બાદ હવે પરમજીતના હોલિવૂડ સ્ટાઈલથી ખાતમા પાછળ કોણ?
અજાણ્યા હુમલાખોરો પંજવાડના ઘરમાં ઘૂસી ગયા અને ગોળીબાર કર્યો અને સ્થળ પરથી ભાગી ગયા. આ હુમલામાં પરમજીત સિંહ પંજવાડનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
![Pakistan : ભારત વિરોધી જહૂર, બશીર બાદ હવે પરમજીતના હોલિવૂડ સ્ટાઈલથી ખાતમા પાછળ કોણ? Pakistan : India Most Wanted Khalistan Commando Force chief Paramjit Panjwar Shot Dead After Zahoor Mistry and Bashir Mir Pakistan : ભારત વિરોધી જહૂર, બશીર બાદ હવે પરમજીતના હોલિવૂડ સ્ટાઈલથી ખાતમા પાછળ કોણ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/06/ee97d3143c7572f51adcade2dc04357c1683376490203724_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Khalistan Commando Force chief Shot Dead : પાકિસ્તાનના લાહોરમાં આતંકી સંગઠન ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના લીડર પરમજીત સિંહ પંજવાડની હત્યા કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, અજાણ્યા હુમલાખોરો પંજવાડના ઘરમાં ઘૂસી ગયા અને ગોળીબાર કર્યો અને સ્થળ પરથી ભાગી ગયા. આ હુમલામાં પરમજીત સિંહ પંજવાડનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પરંતુ આ ભારતનો એકમાત્ર મોસ્ટ વોન્ટેડ આતંકવાદી નથી જેને પાકિસ્તાનની અંદર અજાણ્યા હુમલાખોરો દ્વારા ઠાર કરવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં આવા બે અન્ય આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમને ભારત વર્ષોથી શોધી રહ્યું હતું. જેમાં પહેલો આતંકી હિઝબુલ મુજાહિદ્દીનનો ટોપ કમાન્ડર બશીર મીર ઉર્ફે ઈમ્તિયાઝ આલમ હતો જ્યારે બીજો જૈશ એક મોહમ્મદનો ટોપ આતંકી ઝહૂર મિસ્ત્રી હતો.
કોણ હતો પરમજીત સિંહ પંજવાડ?
પરમજીત સિંહ પંજવાડ 1990થી પાકિસ્તાનમાં મલિક સરદાર સિંહના નામથી છુપાયેલો હતો. પંજવાડ સરહદ પારથી ભારતમાં ગેરકાયદેસર હથિયાર અને ડ્રગ્સ સપ્લાય કરવાનું રેકેટ ચલાવતો હતો. તેને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISIનું સંરક્ષણ હતું. ISIએ પંજાબ પ્રાંતમાં ખાલિસ્તાની અલગતાવાદ વધારવા અને આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા પંજવાડનો ઉપયોગ કર્યો હતો. 30 જૂન 1999ના રોજ ચંદીગઢ પાસપોર્ટ ઓફિસ પાસે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. પરમજીત સિંહ પંજાબના તરનતારન જિલ્લાના ઝબ્બલ ગામનો રહેવાસી હતો. અગાઉ તે ભારતમાં પંજાબના સોહલમાં સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં કામ કરતો હતો. તેનો પિતરાઈ ભાઈ લાભ સિંહ આતંકવાદી બન્યા બાદ તે 1986માં ખાલિસ્તાન કમાન્ડો ફોર્સમાં જોડાયો હતો. ભારતીય સુરક્ષા દળોએ લાભ સિંહની હત્યા કરી હતી, ત્યારબાદ પરમજીતે ખાલિસ્તાન કમાન્ડો ફોર્સની કમાન સંભાળી હતી.
બશીર મીરનો પણ કરાયેલો ખાતમો
આ વર્ષે ફેબ્રુઆરીમાં હિઝબુલ મુજાહિદ્દીનના ટોચના કમાન્ડર બશીર મીર ઉર્ફે ઈમ્તિયાઝ આલમની ઈસ્લામાબાદની બહારના વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. બશીર મીરના હત્યારાઓ પણ બાઇક પર આવ્યા હતા અને ગોળીઓ ચલાવીને ભાગી ગયા હતા. બશીર મીર હિઝબુલ મુજાહિદ્દીનના ટોચના કમાન્ડરોમાંનો એક હતો. તે કાશ્મીરમાં આતંકવાદ માટે યુવાનોને એકત્ર કરતો હતો અને તેમને હથિયાર અને દારૂગોળો પૂરો પાડતો હતો. બશીર મીર પીઓકેમાં કાર્યરત આતંકવાદીઓના લોન્ચ પેડનો પણ ઈન્ચાર્જ હતો. બશીર મીર હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીનના નજીકનો માનવામાં આવતો હતો. સલાહુદ્દીને ખાસ કરીને મીરને લેપા સેક્ટરમાં સ્થિત આતંકીઓના લોન્ચ પેડની જવાબદારી સોંપવામાં આવી હતી. બશીર મીરના મૃત્યુ બાદ સૈયદ સલાહુદ્દીન પણ તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થયો હતો. સલાઉદ્દીને અંતિમ સંસ્કારમાં ભાગ લેતા ભારત વિરુદ્ધ ઝેર પણ ફૂંક્યું હતું.
ઝહૂર મિસ્ત્રીની તેમની દુકાનમાં જ ઠાર કરાયેલો
ઝહૂર મિસ્ત્રી જૈશ-એ-મોહમ્મદનો ટોચનો આતંકવાદી હતો. તે 24 ડિસેમ્બર 1999ના રોજ ઈન્ડિયન એરલાઈન્સના વિમાનના હાઈજેકમાં પણ સામેલ હતો. માર્ચ 2022માં પાકિસ્તાનના કરાચીમાં ઝહૂર મિસ્ત્રીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઝહૂર ઝાહિદ અખુંદ નામથી કરાચીમાં છુપાયેલો હતો. તે કરાચીની અખ્તર કોલોનીમાં ક્રેસન્ટ ફર્નિચર નામનો શો રૂમ પણ ચલાવતો હતો. ફર્નિચરની દુકાનમાં ઘૂસીને તેની હત્યા કરવામાં આવી હતી. તે સમયે પણ અજાણ્યા બાઇક સવાર હુમલાખોરોએ પતાવી દીધો હોવાની થિયરી સામે આવી હતી. રઉફ અસગર સહિત જૈશ-એ-મોહમ્મદના કેટલાક ટોચના આતંકવાદીઓ ઝહૂર મિસ્ત્રીના અંતિમ સંસ્કારમાં સામેલ થયો હતો. રઉફ અસગર જૈશનો ઓપરેશનલ ચીફ અને મસૂદ અઝહરનો ભાઈ છે.
પાકિસ્તાનમાં ભારત વિરોધી આતંકવાદીઓના ખાતમા પાછળ કોણ?
પાકિસ્તાનમાં માર્યા ગયેલા આ ત્રણ આતંકવાદીઓ લાંબા સમયથી ભારતીય ગુપ્તચર એજન્સીઓના રડાર પર હતા. પરંતુ તેમની હત્યા પાછળ કોનો હાથ છે તે જાણી શકાયું નથી. કેટલાક લોકોનું અનુમાન છે કે, તેમની હત્યા પરસ્પર દુશ્મનાવટનું પરિણામ હોઈ શકે છે. ત્રણેય તેમના સંગઠનના ટોચના આતંકવાદી હતા. આ સ્થિતિમાં સંસ્થાના અન્ય લોકો તેમની જગ્યા લેવા માંગતા હતા. શક્ય છે કે, તેમાંથી જ કોઈએ તેની હત્યા કરી હોય. હાલ પાકિસ્તાન પોલીસે આ ત્રણ હત્યાઓના તપાસ અહેવાલોને ટોપ સિક્રેટ રાખ્યા છે અને હુમલાખોરો વિશે કોઈ માહિતી શેર કરી નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)