![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ukraine Russia War: રશિયા-યુક્રેનનું યુદ્ધ સમાપ્ત કરાવવા ભારત મધ્યસ્થી કરશે?, UNના ચીફે આપ્યું આ નિવેદન
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 34મો દિવસ છે અને આજે પણ યુદ્ધ ચાલુ છે. બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા માટે પણ પ્રયાસો ચાલુ છે.
![Ukraine Russia War: રશિયા-યુક્રેનનું યુદ્ધ સમાપ્ત કરાવવા ભારત મધ્યસ્થી કરશે?, UNના ચીફે આપ્યું આ નિવેદન un secretary general antonio guterres says about close contact with india china and others for ending ukraine russia war Ukraine Russia War: રશિયા-યુક્રેનનું યુદ્ધ સમાપ્ત કરાવવા ભારત મધ્યસ્થી કરશે?, UNના ચીફે આપ્યું આ નિવેદન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/29/4bf4508e6aecca7feedc4cc97f63dd67_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ukraine Russia War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 34મો દિવસ છે અને આજે પણ યુદ્ધ ચાલુ છે. બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા માટે પણ પ્રયાસો ચાલુ છે. યુનાઇટેડ નેશન્સ પણ યુદ્ધને સમાપ્ત કરવા માટે તેના તરફથી પ્રયાસ કરી રહ્યું છે. યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે સોમવારે કહ્યું હતું કે, તેઓ યુક્રેનમાં યુદ્ધને સમાપ્ત કરવાના મધ્યસ્થી પ્રયાસો માટે ભારત, તુર્કી, ચીન અને ઇઝરાયેલ સહિતના અન્ય દેશો સાથે સંપર્કમાં છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 24 ફેબ્રુઆરીએ યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી (યુદ્ધ) શરૂ કરી હતી. ગુટેરેસે પત્રકારોને જણાવ્યું હતું કે, હું એવા ઘણા દેશો સાથે નજીકના સંપર્કમાં છું જે રાજકીય ઉકેલ માટે મધ્યસ્થતાના વિવિધ રસ્તા શોધવા માટે બંને પક્ષોના ઉચ્ચ સ્તરે વાત કરી રહ્યા છે.
યુએન ચીફ ભારત સહિત ઘણા દેશોના સંપર્કમાંઃ
યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે વધુમાં કહ્યું કે, હું મારા તુર્કીના મિત્રો સાથે ખૂબ જ નજીકના સંપર્કમાં છું. એ જ રીતે, હું ભારત તેમજ કતાર, ઈઝરાયેલ, ચીન અને ફ્રાન્સ અને જર્મની સાથે પણ સંપર્કમાં રહ્યો છું. હું માનું છું કે આ તમામ પ્રયાસો આ યુદ્ધને સમાપ્ત કરવા માટેની પરિસ્થિતિ બનાવવા માટે જરૂરી છે. જ્યારે ગુટેરેસેને પૂછવામાં આવ્યું કે, શું તે બધા દેશો તેમના પ્રયાસને સમર્થન આપી રહ્યા છે, તો એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે મને એવી આશા છે.
નોંધનીય છે કે, ગયા અઠવાડિયે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ યુએન હેડક્વાર્ટર ખાતે યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત કરી હતી અને યુક્રેન, અફઘાનિસ્તાન અને મ્યાનમારની સ્થિતિ પર ચર્ચા કરી હતી.
24 ફેબ્રુઆરીથી યુક્રેનમાં હુમલાઓ ચાલુઃ
તમને જણાવી દઈએ કે, 24 ફેબ્રુઆરીથી રશિયન સૈનિકો યુક્રેનના અલગ-અલગ શહેરોમાં સતત હુમલાઓ કરી રહ્યા છે. રશિયન હુમલામાં અત્યાર સુધીમાં યુક્રેનના ઘણા શહેરો બરબાદ થઈ ગયા છે. લાખો લોકોનું સ્થળાંતર થયું છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ઘણા વિસ્તારોમાં લોકો ભૂખ અને તરસથી પીડાઈ રહ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)