ઇઝરાયેલે કેમ ગાઝામાં ફરીથી કર્યો બૉમ્બમારો ? PM નેતન્યાહૂએ કર્યો ખુલાસો - 'અમારી પાસે કોઇ ઓપ્શન નથી...'
Israel-Hamas War Updates: વડાપ્રધાન નેતન્યાહૂએ કહ્યું કે છેલ્લા બે અઠવાડિયામાં ઇઝરાયેલે હમાસને શાંતિ માટે બીજી તક આપવાનો પ્રયાસ કર્યો હતો

Israel-Hamas War Updates: ઇઝરાયેલી સેનાએ સોમવારે (17 માર્ચ) ગાઝા પટ્ટી પર મોટા પાયે હવાઈ હુમલા કર્યા, જેમાં 300 થી વધુ લોકો માર્યા ગયા અને સેંકડો ઘાયલ થયા. આ કાર્યવાહી પર ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઇઝરાયલે હમાસ વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરી છે કારણ કે હમાસે ઇઝરાયલી બંધકોને મુક્ત કરવાના શાંતિ પ્રસ્તાવોને વારંવાર નકારી કાઢ્યા છે. હમાસે ઇઝરાયલી નાગરિકો પર હુમલો કર્યો છે, તેમની હત્યા કરી છે, બળાત્કાર કર્યો છે અને તેમનું અપહરણ કર્યું છે, જેના કારણે આ પગલું જરૂરી બન્યું છે.
વડાપ્રધાન નેતન્યાહૂએ કહ્યું કે છેલ્લા બે અઠવાડિયામાં ઇઝરાયેલે હમાસને શાંતિ માટે બીજી તક આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે હમાસે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફના પ્રસ્તાવને નકારી કાઢ્યો, ત્યારે ઇઝરાયેલ પાસે લશ્કરી કાર્યવાહી શરૂ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. ઇઝરાયેલ દાવો કરે છે કે તેની કાર્યવાહી ફક્ત હમાસના આતંકવાદીઓને નિશાન બનાવે છે, જ્યારે હમાસ પોતાની સુરક્ષા માટે નાગરિકોનો ઉપયોગ કરી રહ્યું છે.
પેલેસ્ટેનિયન નાગરિકોને ખતરાથી બચવાની અપીલ
ઇઝરાયલી વડાપ્રધાને પેલેસ્ટિનિયન નાગરિકોને હમાસ આતંકવાદીઓથી દૂર રહેવા અને સલામત સ્થળોએ જવા અપીલ કરી છે. તેમણે કહ્યું, "દરેક નાગરિક મૃત્યુ એક દુર્ઘટના છે અને તેના માટે હમાસ જવાબદાર છે. ઇઝરાયેલે હમાસ પર હુમલાઓ માટે નાગરિક વિસ્તારોનો ઉપયોગ કરવાનો અને નિર્દોષ લોકોની હત્યા કરવાનો આરોપ મૂક્યો છે.
ઇઝરાયેલનું લક્ષ્ય- હમાસનો ખાત્મો
વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે ઇઝરાયેલ હમાસનો સંપૂર્ણ નાશ ન કરે ત્યાં સુધી તે અટકશે નહીં. તેમણે કહ્યું, "જ્યાં સુધી અમે હમાસનો નાશ નહીં કરીએ અને અમારા બંધકોને પાછા ન મેળવીએ ત્યાં સુધી અમે પાછળ હટીશું નહીં." આ નિવેદન ઇઝરાયેલની રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિકોના રક્ષણ માટે કોઈપણ હદ સુધી જવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
અમેરિકાનું સમર્થન
આ સંઘર્ષમાં અમેરિકાના અવિરત સમર્થન બદલ ઇઝરાયલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચેનું જોડાણ પહેલા કરતાં વધુ મજબૂત છે અને અમેરિકા ઇઝરાયલના દરેક પગલાને સમર્થન આપી રહ્યું છે. તેમણે દુનિયાભરના તેમના ટીકાકારોને પૂછ્યું કે જો તેમના બાળકોનું અપહરણ થાય તો તેઓ શું કરશે?
ઇઝરાયેલ અને હમાસના વચ્ચે સંઘર્ષ
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ છે. ઇઝરાયલે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી બંધકોને મુક્ત કરવામાં ન આવે અને આતંકવાદીઓનો ખાત્મો ન થાય ત્યાં સુધી તે હમાસને છોડશે નહીં. આ સંઘર્ષની પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય અસર લાંબા સમય સુધી જોઈ શકાય છે.





















