![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
World Cup 2023 Schedule: આજે જાહેર કરાશે વન-ડે વર્લ્ડકપનો કાર્યક્રમ, 100 દિવસ બાદ શરૂ થશે ટુનામેન્ટ
આજનો દિવસ (27 જૂન) ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ ખાસ દિવસ બનવાનો છે.
![World Cup 2023 Schedule: આજે જાહેર કરાશે વન-ડે વર્લ્ડકપનો કાર્યક્રમ, 100 દિવસ બાદ શરૂ થશે ટુનામેન્ટ ICC to announce World Cup 2023 schedule today in Mumbai: Reports World Cup 2023 Schedule: આજે જાહેર કરાશે વન-ડે વર્લ્ડકપનો કાર્યક્રમ, 100 દિવસ બાદ શરૂ થશે ટુનામેન્ટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/bcae833e0796a1d38e4b4941f0f2fcb7168783208938074_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ODI World Cup 2023 Schedule: આજનો દિવસ (27 જૂન) ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ ખાસ દિવસ બનવાનો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આજે જ વન-ડે વર્લ્ડ કપનું શિડ્યૂલ જાહેર કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ પાસે તેની મેચો તટસ્થ સ્થળો પર કરાવવાની માંગ કરી હતી. જે માંગણીને આઇસીસીએ ફગાવી દીધી હતી.
પાકિસ્તાનને ICC અને BCCIની વાત માનવી પડી
પરંતુ આ પછી પીસીબીએ બીજી અડચણ ઊભી કરી હતી કે તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા સામે તેની મેચ રમવા માંગતું નથી. ઉપરાંત, તેની બીજી માંગ એ હતી કે તે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામેની મેચના સ્થળ બદલવા માંગે છે પરંતુ ICC અને BCCIએ પાકિસ્તાનની આ બંન્ને માંગણીઓ પણ સ્વીકારી ન હતી.
આમ છતાં આખરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICC અને BCCIની વાત સ્વીકારવી પડી છે. અહેવાલો અનુસાર, PCBની સહમતિ સાથે હવે વર્લ્ડ કપ શિડ્યુલ જાહેર કરવાની તમામ અડચણો દૂર થઇ ગઇ છે. BCCI મંગળવારે જ મુંબઈમાં ઔપચારિક બેઠક કરશે અને તે પછી લગભગ 11:30 વાગ્યે વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરશે.
5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ શરૂ થશે.
27 જૂને વર્લ્ડ કપનું શિડ્યૂલ જાહેર થયાના બરાબર 100 દિવસ બાદ એટલે કે 5 ઓક્ટોબરે ટૂર્નામેન્ટ શરૂ થશે. ઓપનિંગ મેચ અમદાવાદમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ગયા વર્ષની રનર અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નઈમાં રમશે. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબર (રવિવાર)ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે.
મુંબઈ-કોલકાતામાં સેમિફાઈનલ યોજાઈ શકે છે
વર્લ્ડ કપની ઓપનિંગ મેચ અને ફાઇનલ મેચ બંન્ને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે. જ્યારે સેમિફાઈનલ મેચ મુંબઈ અને કોલકાતામાં યોજાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ શકે છે. જ્યારે બીજી સેમિફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ શકે છે.
બીસીસીઆઈના એક સૂત્રએ પીટીઆઈને કહ્યું હતું કે, "વર્લ્ડ કપ સેમિફાઈનલની યજમાની માટેના બે સંભવિત સ્થળો મુંબઈના વાનખેડે અને કોલકાતાના ઈડન ગાર્ડન્સ છે.
ટુર્નામેન્ટમાં 10 ટીમો વચ્ચે 48 મેચો રમાશે.
આ વખતે વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો વચ્ચે 48 મેચો યોજાવાની છે. ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા આ મેગા ઈવેન્ટ માટે ક્વોલિફાઈ થઈ ચૂક્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)