ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનનો ખુલ્લો પડકાર, પૂર્વ ક્રિકેટરે કહ્યું- જો ભારતીય ટીમમાં દમ હોય તો...
સકલેન મુશ્તાકે BCCIને લલકાર્યું, ટેસ્ટ, વનડે અને ટી-20 શ્રેણી રમવાની હિંમત બતાવો.

Saqlain Mushtaq statement: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર સકલેન મુશ્તાકે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને સીધો પડકાર ફેંક્યો છે. સકલેન મુશ્તાકે ભારપૂર્વક જણાવ્યું છે કે જો ભારતીય ક્રિકેટ ટીમ ખરેખર વિશ્વસ્તરીય છે, તો તેણે પાકિસ્તાન સાથે ટેસ્ટ, વનડે અને ટી-20 મેચોની લાંબી શ્રેણી રમવાથી ડરવું જોઈએ નહીં. મુશ્તાકના મતે, મેદાન પર જ ખબર પડશે કે કઈ ટીમ શ્રેષ્ઠ છે. જો કે, તેમણે પાકિસ્તાન ક્રિકેટની અંદરની ખામીઓ પણ કબૂલી છે અને કહ્યું છે કે જો પાકિસ્તાન પોતાની આંતરિક સમસ્યાઓ સુધારે તો તેને વિશ્વ ક્રિકેટ પર રાજ કરતા કોઈ રોકી શકે તેમ નથી.
એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા સકલેન મુશ્તાકે પાકિસ્તાનમાં ક્રિકેટને રાજકારણથી દૂર રાખવાની હિમાયત કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "જો આપણે પાકિસ્તાન ક્રિકેટની નબળાઈઓ પર કામ કરીશું અને યોગ્ય દિશામાં આગળ વધીશું, તો એક દિવસ એવો આવશે જ્યારે આપણે વિશ્વ ક્રિકેટ અને ખાસ કરીને ભારતને જડબાતોડ જવાબ આપી શકીશું." સકલેન મુશ્તાકનું આ નિવેદન પાકિસ્તાનની ચેમ્પિયન્સ ટ્રોફીમાં થયેલી કારમી હાર બાદ આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની પાકિસ્તાન કરી રહ્યું હતું, પરંતુ ટૂર્નામેન્ટ શરૂ થયાના ગણતરીના દિવસોમાં જ પાકિસ્તાનનું અભિયાન સમાપ્ત થઈ ગયું હતું. પાકિસ્તાનને ભારત અને ન્યુઝીલેન્ડ બંને સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે બાંગ્લાદેશ સામેની મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનું નિરાશાજનક પ્રદર્શન
ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનના કંગાળ દેખાવ પછી ટીમની આકરી ટીકા થઈ રહી છે. પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટરો પાકિસ્તાની ટીમ અને ખાસ કરીને બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન જેવા મુખ્ય ખેલાડીઓ પર પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થાય તે પહેલાં જ પાકિસ્તાનની ટીમને ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામેની ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં પણ હાર મળી હતી. નિષ્ણાતો માની રહ્યા છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ શરમજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં મોટા ફેરફારો થઈ શકે છે અને મોહમ્મદ રિઝવાનની કેપ્ટનશિપ પણ જોખમમાં મુકાઈ શકે છે.
સકલેન મુશ્તાકનો પડકાર ભારતીય ક્રિકેટ બોર્ડ માટે વિચારવા જેવો છે. રાજકીય તણાવને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીઓ લાંબા સમયથી બંધ છે. પરંતુ સકલેન મુશ્તાકે ક્રિકેટના મેદાન પર બંને ટીમોને ટકરાવવા અને શ્રેષ્ઠ ટીમ કોણ છે તે સાબિત કરવાનો મુદ્દો ઉઠાવીને એક નવી ચર્ચા શરૂ કરી છે. હવે જોવાનું એ રહે છે કે BCCI આ પડકારનો જવાબ કેવી રીતે આપે છે અને શું ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મોટી ક્રિકેટ શ્રેણી જોવા મળશે કે કેમ.
આ પણ વાંચો....
IND vs NZ: ICC ટૂર્નામેન્ટમાં કોનો દબદબો? આંકડા જોઈને કપ્તાન રોહિત ચિંતામાં આવી જશે!



















