શોધખોળ કરો
WI સામે પ્રથમ ટેસ્ટમાં રોહિત અને અશ્વિનને તક નહી આપવા પર કોહલી પર ઉઠ્યા સવાલ, હવે આપ્યો જવાબ
આ મેચ માટે પસંદ કરેલી ટીમમાં દિગ્ગજ સ્પિનર આર અશ્વિન અને રોહિત શર્માને સ્થાન આપવામાં ન આવવાના કારણે ખૂબ ચર્ચા થઇ હતી.

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝની પ્રથમ ટેસ્ટ મેચમાં અશ્વિન અને રોહિત શર્માને ટેસ્ટ ટીમમાં સામેલ નહી કરવાના કારણે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પર સવાલ ઉઠી રહ્યા છે. હવે કોહલીએ આ સવાલ પર જવાબ આપ્યો છે. કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, તે જાણે છે કે ટેસ્ટ મેચ માટે પસંદ કરવામાં આવેલી પ્લેઇંગ ઇલેવન પર ગંભીર ચર્ચા થઇ શકે છે પરંતુ તમામ નિર્ણયો ટીમના હિતમાં ધ્યાનમાં લેવામાં આવે છે. ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ હેઠળ રમાઇ રહેલી સીરિઝની પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 318 રનથી જીત મેળવી હતી. આ મેચ માટે પસંદ કરેલી ટીમમાં દિગ્ગજ સ્પિનર આર અશ્વિન અને રોહિત શર્માને સ્થાન આપવામાં ન આવવાના કારણે ખૂબ ચર્ચા થઇ હતી. પૂર્વ મહાન ખેલાડી સુનીલ ગવાસ્કરે બંન્નેને ટીમમાં સામેલ નહી કરવાના નિર્ણયને આશ્વર્યચકિત ગણાવ્યો હતો. ટીમમાં સ્થાન મેળવનાર સ્પિનર રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યુ હતું. જાડેજાએ પ્રથમ ઇનિંગમાં અડધી સદી ફટકારી બે વિકેટ પણ ઝડપી હતી અને કેપ્ટનના નિર્ણયને સાચો સાબિત કર્યો હતો. કોહલીએ મેચ બાદ કહ્યું કે, આપણે તમામ લોકો ચર્ચા કરીએ છીએ કે ટીમ માટે સર્વેશ્રેષ્ઠ કોણ છે. પ્લેઇંગ ઇલેવન પર હંમેશા ચર્ચા હોઇ શકે છે પરંતુ લોકોને ખ્યાલ છે કે આ ટીમના હિતમાં છે. અનુભવી રોહિત શર્માના સ્થાને યુવા હનુમા વિહારીને ટીમમાં સ્થાન આપવાને કોહલીનો નિર્ણય સાચો સાબિત થયો હતો. વિહારીએ બીજી ઇનિંગમાં 93 રન બનાવ્યા હતા. કોહલીએ કહ્યુ કે વિહારીને એટલા માટે જગ્યા આપવામાં આવી કારણ કે આ ટીમ સંયોજન માટે જરૂરી હતું. ઘણીવાર ઓવર રેટ પૂરો કરવા માટે કામચલાઉ બોલરની જરૂર હોય છે.
વધુ વાંચો























