રબારી-ચૌધરી સમાજ વચ્ચેના વિવાદને લઈને શિવધામ વાળીનાથ અખાડાના મહંત જયરામગિરિ મહારાજે શું કરી અપીલ?
રબારી-ચૌધરી સમાજ વચ્ચેના વિવાદને લઈને ધર્મગુરુએ અપીલ કરી હતી. શિવધામ વાળીનાથ અખાડાના મહંત જયરામગિરિ મહારાજે અપીલ કરી હતી કે બંને સમાજના આગેવાનો વિવાદનો ઉકેલ લાવે. સારા ભાવ સાથે વિવાદનો ઉકેલ આવે તેવી આશા છે. શત્રુતાને ખતમ કરવા માટે પ્રેમ અને ક્ષમાનો માર્ગ છે. ક્ષમા આપવી એ વીરનું સાચું આભૂષણ છે.
નોંધનીય છે કે બનાસકાંઠાના ઉણ ગામમાં ગઈકાલે રબારી અને ચૌધરી સમાજના લોકો વચ્ચે ઘર્ષણ થયું. ભાભરના રૂની ગામમાં ચૌધરી સમાજના મહાસંમેલન બાદ સ્થિતિ વણસી હતી. કેટલાક લોકો દીકરીને પરત કરવાની માંગ સાથે ઓગડ તાલુકાના ઉણ ગામમાં પહોંચી જતાં બે જૂથો સામસામે આવી ગયા હતા. પથ્થરમારાની સાથે વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરી ટીયરગેસના સેલ છોડ્યા હતા. રૂની ગામની ચૌધરી સમાજની યુવતીએ થોડા વર્ષ પહેલા ઓગડના ઉણ ગામના રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. દીકરી પરત આપવાની માગ સાથે ગઈકાલે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.





















