Pratap Dudhat News: પાક નુકસાનને લઈ પ્રતાપ દૂધાતના સરકાર આકરા પ્રહાર
રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રથી લઇ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠાનો માર ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોના રવિ પાકો નુકસાનીમાં ગયા છે. ખેડૂતો સરકાર પાસે મગફળી, ડાંગર, કપાસ સહિતના નુકસાનીમાં ગયેલા પાકોના વળતરની માંગ કરી રહ્યાં છે. ત્યારે હવે આ મુદ્દે કોંગ્રેસ પણ સરકારને ઘેરવા મેદાનમાં આવી છે. કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે ખેડૂતોના પક્ષમાં આગામી 3જી નવેમ્બરે આંદોલન કરવાની જાહેરાત કરી છે.
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ રાજનીતિ ભરપૂર થઇ રહી છે. કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે સરકાર સામે મોરચો માંડ્યો છે. પ્રતાપ દૂધાતે 3જી નવેમ્બરે ખેડૂતો માટે આંદોલન કરવાની જાહેરાત કરી છે અને અપીલ કરી છે કે, આ મુદ્દે સાધુ-સંતો, ઉદ્યોગપતિઓને આગળ આવે. ખેડૂતોના દેવા માફની માગ સાથે ઝૂંબેશ શરૂ કરવામાં આવશે.
પ્રતાપ દૂધાતેએ ખેડૂતોના પાક નુકસાની અને વળતર અંગે બોલતા કહ્યું કે, ઉદ્યોગપતિઓ, સાધુ-સંતો આજે કેમ ચૂપ છે ? ખેડૂતો માટે સાધુ-સંતો આગળ આવે, અમૂક ઉદ્યોગપતિઓ સરકારના વચેટિયાઓ બન્યા છે. ખેડૂતો મુદ્દે સાધુ-સંતોએ બોલવું પડશે. સજ્જન માણસો કેમ આજે મૌન છે. કૉંગ્રેસ રાજકારણ નથી કરતી. ભૂતકાળમાં કૉંગ્રેસ સરકારે દેવા માફ કર્યા છે. રાજ્ય સરકારે પણ પાક ધિરાણના દેવા માફ કરવા જોઇએ.


















