Gondal Accident news: ગોંડલ નજીક બસ પલટી જતા બે લોકોના મોત
રાજકોટના ગોંડલ નજીક ખાનગી બસે પલટી મારતા 2 લોકોના મોત થયા. પુરષોત્તમ માસ નિમિત્તે ધાર્મિક સ્થળોના દર્શને ગયેલા શ્રદ્ધાળુઓની બસને વોરા કોટડા ગામ નજીક અકસ્માત નડ્યો. જેમાં સાસુ-વહુનું ઘટનાસ્થળે જ મોત થયું. જ્યારે 25થી વધુ મુસાફરોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી વહેલી સવારે એક ખાનગી બસ બગદાણા, રાજપરા, ઊંચા કોટડા અને ભગુડા સહિતના ધાર્મિકસ્થળોના દર્શનાર્થે ઉપડી હતી. તમામ સ્થળોએ દર્શન કરીને પરત ફરી રહેલી આ બસ સોમવારે વહેલી સવારે સાડા ચાર વાગ્યે આસપાસ ગોંડલના વોરા કોટડાથી બાંદરા જવાના રોડ પર પહોંચી હતી.રોડ સિંગલ પટ્ટી હોવાને કારણે સામેથી એક ટ્રક આવી રહ્યો હતો. ટ્રકને સાઈડ આપવા માટે બસના ચાલકે વાહન રિવર્સમાં લીધું હતું. આ દરમિયાન ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતાં બસ રોડની નીચે આવેલા ખાડામાં પલટી ખાઈ ગઈ... અકસ્માત સમયે બસમાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત કુલ 35 લોકો સવાર હતા..ઘટનાની જાણ થતાં જ વોરા કોટડા અને દેવચડી ગામના સ્થાનિક યુવાનો અને સામાજિક કાર્યકરો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. બસના કાચ તોડીને ઈજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે, જેમાંથી 5 લોકોની સ્થિતિ અત્યંત ગંભીર છે..




















