PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે સુરતમાં 18,800 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી હતી. તેમણે જનસભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે પ.બંગાળની ચૂંટણીમાં ભાજપની જીતની દેશના દરેક રાજ્યમાં ચર્ચા છે. દેશભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત છે. અરાજક્તા ફેલાવનારાઓને જનતાએ જવાબ આપ્યો છે. જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત છે. પંજાબના લોકોએ કોંગ્રેસને સ્પષ્ટ જવાબ આપ્યો છે. કર્ણાટકની જનતામાં પણ કોંગ્રેસની સરકાર સામે આક્રોશ છે. આક્રોશના કારણે જ કર્ણાટકમાં કોંગ્રેસે મુખ્યમંત્રી બદલ્યા છે. અગાઉ વડાપ્રધાને સુરતના લોકોને ગુજરાતીમાં પૂછ્યું, કેમ છો? કાર્યક્રમમાં હાજર સામાન્ય નાગરિકની PM મોદીએ ભેટ સ્વીકારી હતી. વડાપ્રધાન મોદીએ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મેયર કનુભાઈ માવાણીને શ્રદ્ધાંજલિ આપી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેટલાક નિરાશાવાદી લોકો આત્મનિર્ભર ભારતના સંકલ્પનો મજાક ઉડાવે છે. આત્મનિર્ભર ભારતનો મતલબ શું હોય તે હજીરા જવાથી ખબર પડે. હજીરા અત્યારે માત્ર ઈન્ડસ્ટ્રીયલ પાર્ક રહ્યો નથી. બીજા પર નિર્ભર દેશ વિકાસની ઊંચાઈ પ્રાપ્ત કરી શકતો નથી. આત્મનિર્ભર ભારતને વેગ આપવા માટે કનેક્ટિવિટી પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અમારો પ્રયાસ તમામને જોડવાનો છે. આદિવાસી વિસ્તારોમાં પણ ફોરલેનની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ વિકાસને વેગ મળ્યો છે. આદિવાસી વિસ્તારો ઈન્ડસ્ટ્રીયલ બેલ્ટ સાથે જોડાશે. સરકાર દેશના વિકાસને સર્વોપરી રાખીને કામ કરે છે.
















