Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
સુરતમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. વધુ એકવાર રફતારના રાક્ષસે છ વર્ષીય નિર્દોષ બાળકનો જીવ લીધો છે. લાલગેટ પાલિયા ગ્રાઉન્ડ નજીક કાચા રસ્તા પર રમી રહેલા શ્રમજીવી પરિવારના 6 વર્ષના બાળકને કાર ચાલકે અડફેટે લેતા ગંભીર ઈજા પગલે તેનું મોત થયું હતું. મૃતક બાળકના પિતાએ આરોપ લગાવ્યો કે કાર ચાલક બુટલેગર છે અને તે પાલિયા ગ્રાઉન્ડ ખાતે પોતાના દારૂના અડ્ડા પર આવતો હતો. ત્યારે બાળકને અડફેટે લીધો હતો. મૂળ મધ્યપ્રદેશ રાજ્યના રતલામ જિલ્લાના તંબોલીયા ગામના વતની અને હાલ લાલગેટ ખાતે પાલિયા ગ્રાઉન્ડ નજીક ઝુપડપટ્ટીમાં રહેતા કેવનભાઈ ભાભરનો છ વર્ષીય અર્જુન ઘર પાસે કાચા રોડ પર રમી રહ્યો હતો. દરમ્યાન પાલિયા ગ્રાઉન્ડ પાસે કાચા રસ્તા પરથી પસાર થઈ રહેલા ફોરવ્હીલ ચાલક સુનિલ દેવદાએ અર્જુનને ટક્કર મારી હતી.. અર્જુનને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી અર્જુનને મૃત જાહેર કર્યો હતો.બનાવની જાણ સ્થાનિક લાલગેટ પોલીસને થતા જ ઘટના સ્થળે દોડી આવી હતી. અર્જુનના મોતને પગલે પરિવારમાં રોષ જોવા મળ્યો હતો.




















