મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય, આ સહાયમાં કર્યો વધારો, ચોમાસા પહેલાં કરી લો આ કામ
gujarat wire fencing scheme 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય; સહાય 200થી વધારી 300 રૂપિયા કરાઈ, ચોમાસા પહેલા 1 લાખ અરજીઓ મંજૂર થશે.

gujarat wire fencing scheme 2026: ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે એક બહુ જ સારા અને રાહત આપનારા સમાચાર આપ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ખેતરમાં ઊભા પાકને રખડતા પશુઓ અને જંગલી પ્રાણીઓથી બચાવવા માટેની 'કાંટાળી તારની વાડ (તાર ફેન્સિંગ) યોજના'ના નિયમોમાં ખેડૂતોના હિતમાં મોટા ફેરફાર કર્યા છે. હવેથી ખેડૂતોને તાર ફેન્સિંગ માટે મળતી સહાય 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા પ્રતિ મીટર કરી દેવાઈ છે. આ સાથે જ, નાના ખેડૂતોને ધ્યાનમાં રાખીને જમીનની મર્યાદા 2 હેક્ટરથી ઘટાડીને માત્ર 1 હેક્ટર કરવામાં આવી છે. આ માટે સરકારે 240 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે અને ચોમાસા પહેલા 1 લાખ જેટલી અરજીઓ પાસ પણ કરી દેવામાં આવશે.
ખર્ચ વધતા સરકારે વધારી સહાયની રકમ
આ નવા નિયમો વિશે માહિતી આપતા રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ખેડૂતોને ખેતર ફરતે તારની વાડ કરવા માટે પ્રતિ રનિંગ મીટર 200 રૂપિયા અથવા કુલ ખર્ચના 50 ટકા (બેમાંથી જે ઓછી રકમ હોય) તેટલી સહાય અપાતી હતી. પણ અત્યારે બજારમાં માલસામાન અને મજૂરીના ભાવ વધી ગયા છે, જેથી ખેડૂતોનો સરેરાશ ખર્ચ વધી જતો હતો. ખેડૂતો પર પડતો આ આર્થિક બોજો ઓછો કરવા માટે સરકારે હવે સહાયની રકમ 200 રૂપિયાથી વધારીને સીધી 300 રૂપિયા પ્રતિ મીટર અથવા ખર્ચના 50 ટકા કરી દીધી છે.
નાના ખેડૂતોની સૌથી મોટી સમસ્યાનો આવ્યો અંત
આ યોજનાનો બીજો મોટો ફેરફાર નાના ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે. પહેલા એવો નિયમ હતો કે, યોજનાનો લાભ લેવા માટે તમામ કેટેગરીના ખેડૂતો પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર જમીનનું સળંગ ક્લસ્ટર (જૂથ) હોવું ફરજિયાત હતું. પણ ઘણીવાર આસપાસના પાડોશી ખેડૂતો સાથે સહમતી ન બનતા 2 હેક્ટરનું જૂથ નહોતું બની શકતું અને નાના ખેડૂતો આ સહાયથી વંચિત રહી જતા હતા. ખેડૂતોની આ પ્રેક્ટિકલ તકલીફ દૂર કરવા સરકારે આ મર્યાદા ઘટાડીને હવે માત્ર 1 હેક્ટર કરી દીધી છે.
આ પણ વાંચોઃ ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ખેડૂતોને 'સનેડો' ખરીદવા માટે હવે મળશે 75,000 સુધીની સહાય
ચોમાસા પહેલા જ ફટાફટ 1 લાખ અરજીઓ થશે મંજૂર
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, 'આઈ-ખેડૂત' (i-Khedut) પોર્ટલ પર અત્યાર સુધીમાં સહાય માટે લગભગ 1 લાખ જેટલા ખેડૂતોની અરજીઓ આવી ગઈ છે. ખેડૂતો ચોમાસાની વાવણી અને ખેતીકામમાં વ્યસ્ત થઈ જાય તે પહેલા જ આ બધી અરજીઓને તબક્કાવાર નિયમ મુજબ મંજૂરી આપી દેવામાં આવશે. આ કામ માટે રાજ્ય સરકારે 240 કરોડ રૂપિયાનું બજેટ ફાળવી દીધું છે.
જરૂર પડ્યે ફરીથી ખુલશે પોર્ટલ અને વધશે બજેટ
સામાન્ય રીતે, આ યોજનામાં ફોર્મ ભરવા માટે આઈ-ખેડૂત પોર્ટલ વર્ષમાં એક જ વાર ખુલતું હોય છે. પણ આ વર્ષે વધારેમાં વધારે ખેડૂતોને ફાયદો મળે તે હેતુથી જરૂર પડશે તો બીજી વાર પણ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. એટલું જ નહીં, મંત્રીએ એવી પણ ખાતરી આપી છે કે જો 240 કરોડ રૂપિયા ઓછા પડશે, તો સરકાર વધારાના ફંડની વ્યવસ્થા કરીને પણ ખેડૂતોની બાકીની અરજીઓ સ્વીકારશે અને તેમને પૂરતું આર્થિક રક્ષણ આપશે.
આ પણ વાંચોઃ ખેડૂતો માટે મોટા ખુશખબર: 148 યોજનાઓની સહાય માટે 'આઈ-ખેડૂત' પોર્ટલ 27 માર્ચથી ખુલશે






















