MSME માટે ₹10,000 કરોડનું ગ્રોથ ફંડ! રાજકોટ-મોરબીના ઉદ્યોગોની બદલાશે કિસ્મત; જાણો બજેટની ગુજરાત પર અસર
બજેટમાં ગુજરાતને સેમિકન્ડક્ટર અને MSME માટે મોટી ભેટ મળી છે. 34 જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ અને સુરત સુધી ફ્રેઇટ કોરિડોર બનશે. કેન્સરની દવાઓ સસ્તી થશે અને જામનગરનું કેન્દ્ર અપગ્રેડ થશે.

Union Budget 2026 Gujarat Benefits: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે 1 February, 2026 ના રોજ રજૂ કરેલા બજેટમાં ભલે સામાન્ય કરદાતાઓ માટે કોઈ મોટી જાહેરાત ન હોય, પરંતુ ઔદ્યોગિક હબ ગણાતા ગુજરાત માટે આ બજેટ 'બૂસ્ટર ડોઝ' સમાન સાબિત થયું છે. નાણામંત્રીના 85 મિનિટના ભાષણમાં 'વિકસિત ભારત'ના સંકલ્પ સાથે ગુજરાતના MSME થી લઈને Semiconductor ઉદ્યોગ સુધીના ક્ષેત્રોમાં સિક્કો જમાવવાની તકો ખોલી આપી છે.
શિક્ષણ અને મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે સરકારે ગુજરાતના તમામ 34 જિલ્લાઓમાં 'વર્કિંગ વુમન હોસ્ટેલ' અને ગર્લ્સ હોસ્ટેલ બનાવવાની મોટી જાહેરાત કરી છે. આ પગલું રાજ્યની દીકરીઓને શિક્ષણ અને રોજગાર માટે ઘરથી દૂર સુરક્ષિત રહેઠાણ પૂરું પાડશે, જે નારીશક્તિને વધુ મજબૂત બનાવશે.
ગુજરાતના લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટે આ બજેટ આશીર્વાદરૂપ છે. SME અને MSME સેક્ટર માટે ₹10,000 Crore ના 'ગ્રોથ ફંડ'ની જોગવાઈ કરવામાં આવી છે. આ ફંડથી રાજકોટ, મોરબી, અંકલેશ્વર અને વડોદરા જેવા ઔદ્યોગિક શહેરોને નવી ઉર્જા મળશે.
વેપારને વેગ આપવા લોજિસ્ટિક્સ પર પણ ભાર મૂકાયો છે. પૂર્વ ભારતના દાનકુનીથી સુરત સુધીના 'ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર' (DFC) ના નિર્માણથી ગુજરાતના ઉત્પાદકો માટે માલસામાનની હેરફેર સુપરફાસ્ટ અને સસ્તી બનશે, જે વૈશ્વિક બજારમાં ટકી રહેવા માટે મહત્વનું છે.
સૌથી મોટી ભેટ ટેક્નોલોજી ક્ષેત્રે મળી છે. સરકારે 'ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન' (ISM 2.0) લોન્ચ કર્યું છે, જેનો સીધો લાભ ગુજરાતને મળશે. દેશમાં મંજૂર થયેલા 5 મોટા સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સમાંથી 4 પ્રોજેક્ટ્સ ગુજરાતના ફાળે આવ્યા છે. આ મિશન હેઠળ રિસર્ચ અને ડિઝાઈન મજબૂત થતા ધોલેરા અને સાણંદ જેવા વિસ્તારોમાં રોજગારીનું ઘોડાપૂર આવશે.
સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ ગુજરાતને ફાયદો થશે. ₹10,000 Crore ના ફંડ સાથે 'બાયોફાર્મા શક્તિ' યોજનાનો લાભ રાજ્યના ફાર્મા હબને મળશે. ઉપરાંત, જામનગરમાં 'WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર' ને અપગ્રેડ કરવામાં આવશે. કેન્સર અને ડાયાબિટીસની 17 જીવનરક્ષક દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી હટાવતા દવાઓ સસ્તી થશે.
કૃષિ ક્ષેત્રે સોમનાથથી ભાવનગર સુધીના દરિયાકાંઠાના 'NH-51' ને હવે 'નાળિયેર હાઈવે' તરીકે નવી ઓળખ મળશે. ગુજરાત નાળિયેર ઉત્પાદનમાં દેશમાં 7મા ક્રમે છે, ત્યારે જૂના વૃક્ષો દૂર કરી નવી જાત વાવવાના પેકેજથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સીધો લાભ થશે.






















