Ahmedabad: સુભાષ બ્રિજના મધ્યભાગમાં તિરાડ, અમદાવાદ મનપાએ આગામી 5 દિવસ સુધી બ્રિજ કર્યો બંધ
શહેરની મધ્યમાં આવેલા 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ હોવાથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ બ્રિજને આગામી 5 દિવસ સુધી બંધ રાખવામાં આવ્યો છે.

અમદાવાદ: અમદાવાદ શહેરમાં રહેતા લોકો માટે ખૂબ જ મોટા સમાચાર છે. શહેરની મધ્યમાં આવેલા 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ હોવાથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ બ્રિજને આગામી 5 દિવસ સુધી બંધ રાખવામાં આવ્યો છે. સુભાષ બ્રિજ રિપેરિંગ માટે બંધ રહેશે. બ્રિજ બંધ કરવામાં આવતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને ભારે ટ્રાફિકજામ સર્જાયો છે.
બ્રિજના ડિટેઈલ ઈન્સ્પેક્શનની કામગીરી માટે 4 ડિસેમ્બરથી 5 દિવસ માટે જાહેર જનતાની અવરજવર માટે બ્રિજ બંધ કરવાનો અમદાવાદ મહાનગરપાલિકાનો નિર્ણય લીધો છે. અમદાવાદ મનપાના જણાવ્યા મુજબ અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડવાથી તંત્ર દ્વારા ડિટેઈલ ઈન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્રએ સેફ્ટીના ભાગરૂપે 4 ડિસેમ્બરથી પાંચ દિવસ માટે જાહેર જનતાની અવરજવર માટે બ્રિજ બંધ કર્યો છે.

મેન્ટેનન્સની કામગીરી માટે સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સુભાષ બ્રિજ વાહન વ્યવહાર માટે બંને તરફથી બંધ કરવામાં આવ્યો છે. સુભાષ બ્રિજને બંધ કરતા ટ્રાફિક પોલીસે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. બ્રિજ બંને તરફથી બંધ કરવામાં આવતા ટ્રાફિક ડાયવર્ઝન અપાયું છે. ચાંદખેડા, સાબરમતિ તરફથી આવતા વાહનો ચિમનભાઈ પટેલ બ્રીજ ઉતરી વાડજ સર્કલથી દધિચી બ્રિજ ઉપર થઇ દિલ્હી દરવાજા, શાહીબાગ, સિવીલ તરફ જઇ શકશે. જ્યારે ભાટ-કોટેશ્વર રોડ થઇ ઇન્દીરાબ્રિજ થઇ એરપોર્ટ રોડ થઈ સિવિલ હોસ્પીટલ તરફ જઇ શકાશે. આ સિવાય શાહીબાગ અંડરબ્રિજ સર્કલથી કે શાહીબાગ રેલ્વે બ્રિજ ઉપરથી દધિચી બ્રિજ થઇ વાડજ સર્કલ થઇ રાણીપ ડી-માર્ટ તરફ અવર-જવર કરી શકાશે.





















