Navratri 2025: અમદાવાદમાં આટલા વાગ્યા સુધી જ ગરબા માટે મંજૂરી, મહિલાઓની સુરક્ષા પર પોલીસ આપશે વધુ ધ્યાન
Navratri 2025: નવરાત્રી દરમિયાન રાતભર પોલીસ તૈનાત રહેશે. મહિલાઓની સુરક્ષા પર અમદાવાદ પોલીસ વધુ ધ્યાન આપશે. નવરાત્રીમાં બંદોબસ્તને લઈ અમદાવાદ પોલીસે એકશન પ્લાન બનાવ્યો હતો.

અમદાવાદમાં ગરબા માટે 12 વાગ્યા સુધીની જ મંજૂરી આપવામાં આવશે. નવરાત્રી દરમિયાન રાતભર પોલીસ તૈનાત રહેશે. મહિલાઓની સુરક્ષા પર અમદાવાદ પોલીસ વધુ ધ્યાન આપશે. નવરાત્રીમાં બંદોબસ્તને લઈ અમદાવાદ પોલીસે એકશન પ્લાન બનાવ્યો હતો. નવરાત્રિના નવ દિવસ ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબાની રમઝટ બોલાવશે. જેમાં અમદાવાદ સહિતના મોટા શહેરોમાં વિવિધ પાર્ટી પ્લોટ, સોસાયટીઓમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે.
નવરાત્રી દરમિયાન અમદાવાદમાં ગરબા દાંડિયાને લઈ અનેક મોટા આયોજનો થઈ રહ્યા છે. કેટલાક આયોજકો સૂર્યાસ્તથી લઈ સૂર્યોદય સુધી ગરબાના આયોજન કર્યાનો પ્રચાર- પ્રસાર પણ શરૂ કરી દીધો છે. આ તમામની વચ્ચે રાજ્યના સૌથી મોટા એવા આ શહેરમાં ગરબા ઉત્સવ દરમિયાન કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે એકશન પ્લાન તૈયાર કરી દેવાયો છે. નવરાત્રીની રાત્રીઓમાં મોડી સાંજ સુધી ઠેર- ઠેર બંદોબસ્ત ગોઠવવાની સાથેસાથે મહિલાઓની સુરક્ષા પર ખાસ ભાર આપવાની પોલીસની રણનીતિ છે.
સાથે જ ટ્રાફિક વ્યવસ્થા સૂચારૂ રૂપે ચાલે તેવું પણ આયોજન છે. ખાસ કરીને એસજી હાઈવેથી એસપી રિંગ રોડ વચ્ચેના બેલ્ટ પર અનેક મોટા આયોજનો થઈ રહ્યા છે ત્યારે આ વિસ્તારોમાં ટ્રાફિકને લઈ ખાસ પ્લાન તૈયાર કરાયો છે. કેમ કે કેટલાક આયોજકો રાતભર ગરબાના આયોજનની વાતો કરે છે ત્યારે ક્રાઈમ કોન્ફરન્સ બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે સમય મર્યાદાને લઈ સ્પષ્ટતા કરી હતી. કેમ કે રાત્રી દરમિયાન લાઉડ સ્પીકર વગાડવાને લઈ અદાલતના આદેશ પ્રમાણે સમય મર્યાદાનું પાલન કરવાનું હોય છે ત્યારે પોલીસ કમિશનર જી.એસ.મલિકની આ સ્પષ્ટતા ઘણી સૂચક છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકના અધ્યક્ષ સ્થાને મંગળવારે (16 સપ્ટેમ્બર) ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, 'આગામી સમયમાં નવરાત્રીના તહેવાર દરમિયાન બંદોબસ્તના આયોજન અને SHE Teamની કામગીરી અંગે સૂચના આપવામાં આવી છે. નવરાત્રી સમયે SHE Team પેટ્રોલિંગ કરશે.' નવરાત્રિમાં ગરબાનો સમય 12 વાગ્યા સુધીનો છે. એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાશે અને ટ્રાફિક સહિતની સમસ્યા નિવારવા પોલીસ કાર્યરત રહેશે.





















