ATM ઉપાડના નવા નિયમો 1 એપ્રિલ, 2026 થી લાગુ થશે. આ ફેરફારો નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે અમલમાં આવશે.
1 એપ્રિલથી ATM અને UPI ના નિયમો બદલાશે: HDFC, PNB અને બંધન બેંકના ગ્રાહકોને પડશે સીધી અસર!
નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ રોકડ ઉપાડ અને ટ્રાન્ઝેક્શન લિમિટમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જાણો મફત મર્યાદા પૂરી થવા પર તમારા ખિસ્સા પર કેટલો બોજ પડશે.

જો તમે રોકડ ઉપાડવા માટે નિયમિતપણે એટીએમ (ATM) નો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. 1 એપ્રિલ, 2026 થી નવા નાણાકીય વર્ષની શરૂઆત થતા જ દેશની ત્રણ મોટી બેંકો - HDFC બેંક, પંજાબ નેશનલ બેંક (PNB) અને બંધન બેંકે તેમના ATM અને UPI ઉપાડના નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. આ નવા નિયમોથી તમારી રોજિંદી કેશ ઉપાડવાની મર્યાદા ઘટશે અને મફત ટ્રાન્ઝેક્શનની લિમિટ પૂરી થતાં તમારા વોલેટ પર સીધો ચાર્જ લાગશે. ચાલો વિગતવાર સમજીએ કે કઈ બેંકે કયા નવા નિયમો લાગુ કર્યા છે.
HDFC બેંકના નિયમોમાં મોટો ફેરફાર
HDFC બેંકે એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે તમે ATM માંથી UPI નો ઉપયોગ કરીને જે રોકડ ઉપાડો છો, તેને પણ તમારી 'ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ' (મફત વ્યવહાર મર્યાદા) માં જ ગણવામાં આવશે. અગાઉ, UPI થી થતા રોકડ ઉપાડને અલગ ગણવામાં આવતો હતો, પણ હવે તેને સામાન્ય ATM ઉપાડની સમાન જ ગણવામાં આવશે. આનો સીધો અર્થ એ છે કે, જો તમે મહિનાની નક્કી કરેલી મફત મર્યાદા ઓળંગશો, તો ત્યાર પછીના દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર તમારે 23 રૂપિયા અને સાથે ટેક્સ ચૂકવવો પડશે.
PNB એ ઘટાડી રોજના રોકડ ઉપાડની મર્યાદા
પંજાબ નેશનલ બેંક (PNB) ના ગ્રાહકોને હવે મોટી રકમ ઉપાડવા માટે ATM ના વધુ ધક્કા ખાવા પડી શકે છે. બેંકે પોતાના સામાન્ય ડેબિટ કાર્ડ પર રોજના રોકડ ઉપાડની મર્યાદા 1 લાખ રૂપિયાથી ઘટાડીને સીધી 50,000 રૂપિયા કરી દીધી છે. જ્યારે પ્રીમિયમ કાર્ડધારકો માટે આ મર્યાદા 1.5 લાખ રૂપિયાથી ઘટાડીને 75,000 રૂપિયા કરવામાં આવી છે.
બંધન બેંકે ચાર્જ અને દંડના નિયમો કર્યા કડક
બંધન બેંકે પણ એટીએમ વાપરવાના નિયમોમાં સુધારો કર્યો છે. હવે તમને તમારા પોતાના બેંકના ATM પર દર મહિને 5 ટ્રાન્ઝેક્શન મફત મળશે. જો તમે અન્ય બેંકના એટીએમ વાપરો છો, તો મેટ્રો શહેરોમાં 3 અને નોન-મેટ્રો શહેરોમાં 5 ટ્રાન્ઝેક્શન મફત મળશે. આ લિમિટ પૂરી થયા પછી નાણાકીય વ્યવહાર (પૈસા ઉપાડવા) પર 23 રૂપિયા અને બિન-નાણાકીય વ્યવહાર (બેલેન્સ ચેક કરવું, પિન બદલવો વગેરે) પર 10 રૂપિયાનો ચાર્જ લાગશે. સૌથી અગત્યની વાત એ છે કે, જો ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાને કારણે તમારું ટ્રાન્ઝેક્શન નિષ્ફળ (Fail) જશે, તો પણ બેંક 25 રૂપિયાનો વધારાનો દંડ વસૂલશે.
કયા શહેરો ગણાશે મેટ્રો?
બેંકના નિયમો અનુસાર, મેટ્રો શહેરોની યાદીમાં બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ અને નવી દિલ્હીનો સમાવેશ થાય છે. આ 6 શહેરો સિવાયના દેશના બાકીના તમામ શહેરો નોન-મેટ્રો શ્રેણીમાં આવશે.
Frequently Asked Questions
ATM ઉપાડના નવા નિયમો કઈ તારીખથી લાગુ થશે?
HDFC બેંકમાં UPI દ્વારા ATM થી રોકડ ઉપાડને કયા નિયમ હેઠળ ગણવામાં આવશે?
HDFC બેંકમાં, ATM થી UPI દ્વારા રોકડ ઉપાડને હવે 'ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ' માં ગણવામાં આવશે. આ અગાઉના નિયમોથી અલગ છે.
PNB એ ATM માંથી દૈનિક રોકડ ઉપાડની મર્યાદા કેટલી કરી દીધી છે?
PNB એ સામાન્ય ડેબિટ કાર્ડ માટે દૈનિક રોકડ ઉપાડની મર્યાદા 1 લાખ રૂપિયાથી ઘટાડીને 50,000 રૂપિયા કરી છે. પ્રીમિયમ કાર્ડધારકો માટે આ મર્યાદા 1.5 લાખથી ઘટાડીને 75,000 રૂપિયા કરવામાં આવી છે.
બંધન બેંકમાં મફત ATM ટ્રાન્ઝેક્શનની મર્યાદા શું છે?
બંધન બેંકમાં પોતાના ATM પર દર મહિને 5 ટ્રાન્ઝેક્શન મફત છે. અન્ય બેંકના ATM પર મેટ્રો શહેરોમાં 3 અને નોન-મેટ્રો શહેરોમાં 5 ટ્રાન્ઝેક્શન મફત છે.
બંધન બેંકમાં પૂરતું બેલેન્સ ન હોવાને કારણે ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય તો શું ચાર્જ લાગશે?
જો ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાને કારણે તમારું ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જશે, તો બંધન બેંક 25 રૂપિયાનો વધારાનો દંડ વસૂલશે.























