Anganwadi workers: હવે આંગણવાડી બહેનોને રખડતા શ્વાન ગણવાની કામગીરી સોંપાઈ, 5 દિવસમાં ગણતરી કરવા આદેશ
Anganwadi workers: રાજ્યમાં આંગણવાડી સંચાલકોને શ્વાન ગણવાની જવાબદારી સોપાઇ હતી. હોસ્પિટલ,સામૂહિક આરોગ્ય કેન્દ્ર,શાળા, કોલેજ સહીતના સ્થળોએથી શ્વાનની સંખ્યા ગણવા આદેશ કરવામાં આવ્યો હતો

Anganwadi workers: રાજ્યમાં આંગણવાડી સંચાલકોને શ્વાન ગણવાની જવાબદારી સોપાઇ હતી. હોસ્પિટલ,સામૂહિક આરોગ્ય કેન્દ્ર,શાળા, કોલેજ સહીતના સ્થળોએથી શ્વાનની સંખ્યા ગણવા આદેશ કરવામાં આવ્યો હતો. આંગણવાડી બહેનોને રખડતા શ્વાન ગણવાની કામગીરી સોંપાઈ હતી. પાંચ દિવસમાં ગણતરી કરવાનો આદેશ કરાયો હતો. જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ પરિપત્ર જાહેર કરીને જવાબદારી સોંપી હતી. આંગણવાડીની બહેનોએ 5 દિવસમાં ગણતરી કરવાનો આદેશ કરાયો હતો. શાળા-કોલેજ-એસટી બસ સ્ટેશન, રેલવે સ્ટેશન જેવી જગ્યાએ રખડતા શ્વાનોની ગણતરી કરવાનું કહેવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રખડતાં કૂતરાની સમસ્યા હલ કરવા ગુજરાત સરકાર સક્રિય બની છે. રખડતા કૂતરા ગણવાની જવાબદારી આંગણવાડી બહેનોને સોંપવામાં આવી છે. હવે જાહેર સ્થળોએ રખડતાં કૂતરાની ગણતરી કરીને આંગણવાડી બહેનોએ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે. છેલ્લાં કેટલાંય વખતથી આંગણવાડી બહેનો સરકાર સામે લડત લડી રહી છે. તેમનું કહેવું છે કે, પગાર વધારો કરાતો નથી પણ કામનું ભારણ વધી રહ્યું છે. એક પછી એક કામ સોંપવામાં આવી રહ્યા છે. અગાઉ રખડતા કૂતરાઓની ગણતરી કરવાનું કામ તલાટીઓને સોંપાયું હતું પણ હડતાલ કરવાની ચીમકી આપતાં સરકારે આદેશ પરત ખેંચ્યો હતો. આ જ પ્રમાણે શિક્ષકોને પણ આ કામગીરી સોંપાઈ હતી ત્યારે ભારે વિરોધ થતાં સરકારે પરિપત્ર પરત લેવા મજબૂર થવું પડ્યું હતું.
છેલ્લાં ત્રણેક દિવસથી આંગણવાડી બહેનોએ હડતાળ પાડી છે. ગુજરાત આંગણવાડી કર્મચારી મંડળે આક્ષેપ કર્યો છે કે, હવે સરકારે આંગણવાડી બહેનોને રખડતા કૂતરા ગણવાનું કામ સોંપ્યું છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે આંગણવાડી બહેનોએ શાળા, કોલેજો, રેલવે સ્ટેશન, એસટી સ્ટેશન, ધાર્મિક સ્થળો, બાગ બગીચા, કમ્યુનિટી હોલ, વારીગૃહ, ગોડાઉન, આઈટીઆઈ જેવા સ્થળોની આસપાસ રખડતાં કૂતરાઓની ગણતરી કરવાની રહેશે અને તાલુકા પશુચિકિત્સા અધિકારીને રિપોર્ટ સુપરત કરવાનો રહેશે.
ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પછી લઘુતમ વેતન ન અપાતા આશાવર્કર અને આંગણવાડી બહેનો રાજ્ય સરકાર સામે વિરોધમાં ઉતરી આવી છે. આંગણવાડી અને આશાવર્કર બહેનોની માંગણીઓને સરકાર પાસે રજૂ કરવામાં આવી છે. પણ સરકારે તેમની કોઈ માંગણીનો સ્વીકાર કર્યો નથી. ત્યારે હવે પોતાની ધીરજ ખૂટતા આશાવર્કર બહેનો અને આંગણવાડી બહેનોએ વિધાનસભાને ઘેરવાની ચીમકી આપી છે. તેમજ ચૂંટણી પહેલા સરકાર તેમની માંગણીઓનો સ્વીકાર નહીં કરે તો ચૂંટણીના બહિષ્કારની ચીમકી આશાવર્કર બહેનો અને આંગણવાડી બહેનોએ આપી છે.























