Gujarat Budget: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22,498 કરોડની જોગવાઇ, જાણો બજેટમાં ખેડૂતોને શું મળ્યું?
Gujarat Budget 2025:આ યોજના હેઠળ રાજ્યના 16,683 એટલે કે 97 ટકા ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું ભગીરથ કાર્ય માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે

આજે ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22498 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી હતી. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ કહ્યું હતું કે જગતના તાત એવા અન્નદાતા માટે અમારી સરકાર હંમેશા સંવેદનશીલ રહી છે. ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી વાળવામાં ઝેરી જીવજંતુઓ તેમજ જંગલી પ્રાણીઓનો ભય રહેતો હતો. આ મુશ્કેલીઓ અને રાતના ઉજાગરામાંથી મુકત કરવા અમે દિવસે વીજળી આપવા “કિસાન સૂર્યોદય યોજના” અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ રાજ્યના 16,683 એટલે કે 97 ટકા ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું ભગીરથ કાર્ય માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ યોજનાને વધુ સુદ્રઢ કરવા માટે આ બજેટમાં 2175 કરોડ રૂપિયાની ફાળવણી કરું છું.
તેમણે કહ્યું હતું કે સરદાર સરોવર યોજનાની 18 લાખ હેક્ટર સિંચાઇ ક્ષમતા સામે 17.22 લાખ હેક્ટર સિંચાઇ વિસ્તાર વિકસિત થયેલ છે. બાકી રહેતા નહેરોના નેટવર્કના કામો પ્રગતિ હેઠળ છે. કેન્દ્રિય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા 3 લાખથી વધારી 5 લાખ રૂપિયા લાખ કરવામાં આવેલ છે. જેનો અમલ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જે અંતર્ગત 4 ટકા વ્યાજ રાહત આપવા માટે 1252 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. આ લોન દર વર્ષે ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડુઓને મળતાં તેઓ પોતાની પ્રવૃત્તિ સમયસર કરી શકે છે.
રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાને પ્રાથમિકતા આપેલી છે. પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા તેને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે 400 કરોડ રૂપિયાથી વધુની જોગવાઇ કરું છું. આ બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરી એક લાખ રૂપિયા કરવાની જાહેરાત કરું છું. આ ઉપરાંત ખેડૂતોને વિવિધ ખેતઓજારો, મીની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા 1612 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવે છે.
ઊભા પાકને વન્ય પ્રાણીઓથી રક્ષણ માટે ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવા માટે 500 કરોડ રૂપિયાની જોગવાઇ સૂચવું છું. કૃષિ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા એગ્રો પ્રોસેસીંગ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન માટે 100 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
પશુપાલનથી દૂધ ઉત્પાદન દ્વારા લાખો ખેડૂત પરિવારોને પૂરક આવક મળી રહી છે. ગીર ગાય આપણા રાજ્યનું ગૌરવ અને આગવી ઓળખ છે. જેના સંવર્ધન, સંરક્ષણ અને આનુવાંશિક ઓલાદ સુધારણા માટે પોરબંદરના ધરમપુર ખાતે વિવિધ અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. ગુજરાત શ્વેત ક્રાંતિની જન્મ ભૂમિ છે. પશુપાલન અને ડેરી ઉદ્યોગ થકી આજે રાજ્યની 11 લાખથી વધુ મહિલા પશુપાલકો સ્વ-રોજગારી મેળવવા ઉપરાંત રાજ્યની પ્રગતિમાં યોગદાન આપી રહેલ છે.
જાણો ખેડૂતો શું કરાઇ મહત્વની જાહેરાતો
-ખેડૂતોને વીજ સહાય માટે 10 હજાર 613 કરોડની જોગવાઈ
-ટ્રેક્ટર ખરીદી સહાય માટે 800 કરોડની જોગવાઈ
-ઓજારોની ખરીદીમાં સહાય આપવા 590 કરોડની જોગવાઈ
-ડ્રોન અને સીડ રિપ્લેસમેન્ટ રેટ યોજના માટે 82 કરોડની જોગવાઈ
-નેનો ખાતર વપરાશ વધારવા 73 કરોડની જોગવાઈ
-ડિજિટલ ક્રોપ સર્વેની નવી યોજના અંતર્ગત 40 કરોડની જોગવાઈ
-ખેડૂત સુવિધા રથ માટે 19 કરોડની જોગવાઈ
-13 એગ્રી એક્સપોર્ટ ઝોનનો પ્રી-ફિઝીબિલિટી રીપોર્ટ તૈયાર કરવા આયોજન
-કચ્છ, અમદાવાદ, જુનાગઢ, વડોદરા, હાલોલમાં મેગા ફૂટ પાર્ક નિર્માણ કરાશે
-બાગાયત ખાતાની યોજના માટે 605 કરોડની ફાળવણી
-જામનગરમાં નવી કૃષિ કોલેજ અને થરાદમાં કૃષિ ઈજનેરી કોલેજની સ્થાપના થશે
-કૃષિ યુનિવર્સિટીઓ માટે 1 હજાર કરોડની જોગવાઈ
-પ્રાકૃતિક કૃષિની પ્રવૃતિઓ માટે 316 કરોડની જોગવાઈ
-નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ માટે 90 કરોડની જોગવાઈ
-મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના માટે 475 કરોડની જોગવાઈ
-મુખ્યમંત્રી નિશુલ્ક પશુ સારવાર યોજના હેઠળ 45 કરોડની જોગવાઈ
-નવા 250 સ્થાયી પશુ દવાખાના અને નવા 150 ફરતા પશુ દવાખાના માટે 34 કરોડની જોગવાઈ
-ગીર ગાયના સંરક્ષણ માટે પોરબંદરના ધરમપુરમાં સુવિધા માટે 23 કરોડની જોગવાઈ





















