![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gandhinagar: ગુજરાતમાં વધશે પશુ ચિકિત્સા સેવાનો વ્યાપ, ૨૫૦ નવા મોબાઈલ પશુ દવાખાના કરાશે શરૂ કરાશે
પશુ આરોગ્ય સેવાનો વ્યાપ વધારવા માટે ગુજરાત સરકાર તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે
![Gandhinagar: ગુજરાતમાં વધશે પશુ ચિકિત્સા સેવાનો વ્યાપ, ૨૫૦ નવા મોબાઈલ પશુ દવાખાના કરાશે શરૂ કરાશે An important decision has been taken by the Gujarat government to increase the coverage of animal health services Gandhinagar: ગુજરાતમાં વધશે પશુ ચિકિત્સા સેવાનો વ્યાપ, ૨૫૦ નવા મોબાઈલ પશુ દવાખાના કરાશે શરૂ કરાશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/05/05c6308d37ce25750472a7ae0aa4fe89169648688177874_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ ગામોમાં ઘર આંગણે પશુ સારવાર સેવા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ઉદ્યોગ સાથે પશુપાલન ક્ષેત્રને પણ સરકાર તરફથી એટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
પશુ આરોગ્ય સેવાનો વ્યાપ વધારવા માટે ગુજરાત સરકાર તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ‘૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના‘ યોજના હેઠળ ચાલુ વર્ષે ૨૫૦ નવા મોબાઈલ પશુ દવાખાના શરૂ કરાશે. જેનાથી ૨૫૦૦થી વધુ ગામને આ યોજનાનો લાભ મળશે.
રાજ્યની પોણા ત્રણ કરોડ જેટલી પશુ સંપદા-સમૃદ્ધિને આરોગ્ય રક્ષા કવચ પુરૂં પાડી ‘દરેક જીવને અભયદાન‘નો મંત્ર સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે અનેકવિધ પશુ કલ્યાણકારી પ્રયાસો હાથ ધર્યા છે. પશુ સારવાર માટેની મહત્વપૂર્ણ યોજના ‘૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના‘ અંતર્ગત રાજ્યમાં ચાલુ વર્ષે EMRI-GHS મારફતે ૨૫૦ નવા ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવશે.
રાઘવજી પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત આજે દરેક ક્ષેત્રે અગ્રીમ હરોળ તરફ આગળ વધી રહ્યું છે. પશુપાલન ક્ષેત્રે પણ ગુજરાત હરહંમેશ અગ્રેસર રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પશુધન માટે ઘર આંગણે પશુ ચિકિત્સા સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ‘૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના‘ યોજના હેઠળ ગુજરાતમાં કાર્યરત ૪૬૦ મોબાઈલ પશુ દવાખાના થકી અત્યારે ૫,૩૦૦ થી વધુ ગામના પશુઓને વિનામૂલ્યે સારવાર સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્યના અન્ય ગામડાઓને આ સેવાનો લાભ મળે તે માટે નવા ફરતા પશુ દવાખાના શરૂ કરી વધુ ગામડાઓને આવરી લેવાની રાજ્ય સરકારની યોજના છે.
તેમણે કહ્યું કે ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪માં જ નવા ૨૫૦ ફરતા પશુ દવાખાના શરૂ કરવાનો રાજ્ય સરકાર દ્વારા પશુ હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. જે પૈકીના ૨૦૦ નવા ફરતા પશુ દવાખાના બિન-આદિજાતિ વિસ્તારમાં અને ૫૦ નવા ફરતા પશુ દવાખાના આદિજાતિ વિસ્તારમાં શરૂ કરવામાં આવશે. જેના માટે કુલ ૧૭.૭૫ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.
પશુપાલન મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે નવા ૨૫૦ ફરતાં પશુ દવાખાનાના માધ્યમથી રાજ્યના વધુ ૨૫૦૦ જેટલા ગામના પશુઓને ઈમરજન્સીમાં ઓન કોલ ૧૯૬૨ નંબર પર ફોન કરવાથી ઘર આંગણે જ પશુ સારવારની સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. ગામોમાં આ સેવા ઘરબેઠા ઉપલબ્ધ થવાથી જે તે વિસ્તારમાં પશુચિકિત્સા સેવાના વ્યાપમાં પણ વધારો થશે. કુદરતી હોનારત અને રોગચાળો ફાટી નીકળે તેવી વિકટ સ્થિતિમાં પણ રોગચાળા નિયંત્રણની કામગીરી માટે આ ફરતાં પશુ દવાખાના ઉપયોગી સાબિત થશે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)