કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
સાબર ડેરીમાં પશુપાલકોને મળતા દૂઘના ભાવફેરને લઈ પશુપાલકો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

અરવલ્લી : સાબર ડેરીમાં પશુપાલકોને મળતા દૂઘના ભાવફેરને લઈ પશુપાલકો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હવે પશુપાલકોના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ આજે મોડાસામાં કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે ખેડૂત પશુપાલક મહાપંચાયતનું આયોજન કર્યું હતું. મોડાસાના ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો હાજર રહ્યા હતા. આ ખેડૂત અને પશુપાલક પંચાયતમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ-કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અરવિંદ કેજરીવાલે કહ્યું હવે ભાજપનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે. લોકો ગુજરાતમાં પરિવર્તન ઈચ્છી રહ્યા છે. તેમણે મોટું નિવેદન આપતા કહ્યું કે, ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર છે.
BJP કૉંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
ભાજપ અને કોંગ્રેસ બંને પર અરવિંદ કેજરીવાલે આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું ભાજપનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે. ગુજરાત પરિવર્તન માંગે છે. રાહુલ ગાંધીના ઘોડાવાળા નિવેદન પર અરવિંદ કેજરીવાલે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું અમારી પાસે લાંબી રેસના ઘોડા છે. અમે ડરતા નથી ભાજપમાં અહંકાર આવી ગયો છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું, મૃતક અશોકભાઈને ડેરી અને રાજ્ય સરકાર તરફથી 1 કરોડ રુપિયાની સહાય આપવામાં આવે. રાજયમાં ઝુલ્મ થઈ રહ્યો છે. ભાજપ ખેડૂત અને પશુ પાલકને ધમકાવી રહી છે. સહકારી સેકટર પર ભાજપનો કબજો છે. પશુપાલકને તેનો નફો યોગ્ય રીતે મળે તો ગરીબી દૂર થઈ જાય. ફેટ માપનાર મશીનોમાં ગરબડ છે.
કેજરીવાલે કહ્યું કે, હવે ખેડૂતોની લડાઈ અમારી લડાઈ છે. પંજાબમાં વીજળી ફી છે દિવસના 8 કલાક વીજળી મળે છે. આ લડાઈ માત્ર દૂધની નથી માન સન્માનની લડાઈ છે.ભાજપ અને કોંગ્રેસ બંને પર અરવિંદ કેજરીવાલે આકરા પ્રહારો કર્યા છે.
ઈસુદાન ગઠવીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા
વધુમાં ઈસુદાને ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું, ભાજપ ખેડૂતોને લૂંટી રહી છે. ભાજપના કાર્યક્રમમાં ડેરી લાખોના ખર્ચા કરે છે. રાજ્યના 54 લાખ ખેડૂત આપ પાર્ટીની રાહ જોઈ રહ્યા છે. ભાજપનો અહંકાર હવે પૂરો થશે. ખેડૂતો અને પશુપાલકો માટે આપ લડવા માટે તૈયાર છે. હવે આત્માને જગાડવાનો સમય આવી ગયો છે.
રાજયમાં વિસાવદરવાળી કરવા ઈસુદાનનું આહવાન. આપ દ્વારા માંગણીઓ કરવામાં આવી છે કે પશુપાલકો સામેના કેસ પાછા ખેંચવામાં આવે. મૃત્યુ પામનાર પરિવારને એક કરોડની સહાય કરવામાં આવે.
પશુપાલકોની માંગણીઓ અને 'આપ'નો સંદેશ
આ મહાપંચાયતનો મુખ્ય ઉદ્દેશ સાબરડેરી સાથે સંકળાયેલા પશુપાલકોની પડતર માંગણીઓને વાચા આપવાનો અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો છે. AAP ના નેતાઓ સાગરભાઈ રબારી અને રાજુભાઈ કરપડાએ સાબરકાંઠાથી એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. સાગરભાઈ રબારીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યાં સુધી પશુપાલકોની 5 મુખ્ય માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ મજબૂતાઈથી લડત ચાલુ રાખશે.




















