રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત ઇકોનોમિક રિજિયન (SER) યોજનાના ફેઝ-1 અંતર્ગત 1185 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આનાથી દક્ષિણ ગુજરાતના રસ્તાઓ પહોળા અને મજબૂત બનશે.
દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓના રસ્તા થશે ચકાચક, મુખ્યમંત્રીએ ₹1185 કરોડ મંજૂર કર્યા
સુરત, નવસારી, ડાંગ, તાપી અને વલસાડના રસ્તાઓ પહોળા અને અપગ્રેડ કરવા 1185 કરોડ રૂપિયા મંજૂર; ઐતિહાસિક દાંડી રૂટ, સુવાલી બીચ અને સાપુતારાનો પ્રવાસ થશે એકદમ સ્મૂથ.

- દક્ષિણ ગુજરાતના પ્રવાસન માટે ₹1185 કરોડના માર્ગ અપગ્રેડ મંજૂર.
- સુરત, નવસારી, તાપી, વલસાડ, ડાંગના રસ્તા 4-6 લેન બનશે.
- સુવાલી બીચ, દાંડી રૂટ, દમણ-ઉદવાડા માર્ગો સરળ બનશે.
- ડાંગ, સાપુતારા, ધરમપુરના પ્રાકૃતિક સ્થળોની પહોંચ સુલભ થશે.
જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત જેવા શહેરોમાં રહો છો અને વીકએન્ડમાં પરિવાર સાથે દક્ષિણ ગુજરાતના લીલાછમ જંગલો કે સુંદર પ્રવાસન સ્થળોએ જવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે બહુ મોટા ખુશખબર છે. હવે તમારે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવું નહીં પડે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દક્ષિણ ગુજરાતના પ્રવાસનને એક મોટો 'બૂસ્ટર ડોઝ' આપ્યો છે. તેમણે સુરત ઇકોનોમિક રિજિયન (SER) યોજનાના ફેઝ-1 અંતર્ગત સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાના રસ્તાઓ અપગ્રેડ કરવા માટે 1185 કરોડ રૂપિયાની માતબર રકમ મંજૂર કરી દીધી છે. આનાથી રસ્તાઓ પહોળા, મજબૂત તેમજ 4 અને 6 લેનના બનશે, જેથી તમે આંખના પલકારામાં તમારા મનપસંદ હિલ સ્ટેશન કે બીચ પર પહોંચી શકશો.
વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2024 માં ભારતમાં આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં 14.85 ટકાનો જબરદસ્ત ઉછાળો આવ્યો છે. આ મામલે મુખ્યમંત્રીના પ્રયાસોથી ગુજરાત પણ પાછળ નથી રહ્યું અને સૌથી વધુ વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં આપણું ગુજરાત આખા દેશમાં 3 જા નંબરે પહોંચી ગયું છે.
સુવાલી બીચ અને ઐતિહાસિક દાંડી રૂટ પર જવું થશે સાવ સરળ
સુરત પાસે આવેલા સુવાલી બીચ પર હવે સહેલાઈથી પહોંચી શકાશે. અગાઉ કોસ્ટર હાઈવે ફેઝ-1 માં આ રોડ 10 મીટર પહોળો કરાયો હતો, પણ હવે પ્રવાસીઓની ભીડ જોતા મોરાથી સુવાલી બીચ સુધીના રસ્તાને 4-લેન (ફોર-લેન) કરવામાં આવશે.
આ ઉપરાંત, મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક દાંડીયાત્રાના રૂટને પણ અપગ્રેડ કરાઈ રહ્યો છે. અમદાવાદ-દાંડી હેરિટેજ રૂટ પર આવતા કદરામા, એરથાણ, ટકરામા અને ભટગામ સહિતના ગામોને જોડતો રસ્તો હવે 3 મીટરમાંથી 7 મીટર પહોળો કરી દેવાશે. આનાથી ટ્રાફિકનું ભારણ ઘટશે અને પ્રવાસ સુગમ બનશે.
દમણ અને ઉદવાડા જવાનો રસ્તો થશે એકદમ સ્મૂથ
વલસાડ જિલ્લામાં ઉમરસાડીથી કોલક નદીના કોસ્ટલ હાઇવે પર એક નવો કોઝ-વે બનશે. દમણ અને વલસાડને જોડતા આ હયાત 10 મીટરના રસ્તાને પહોળો કરીને 4-લેન કરાશે. આ નયનરમ્ય રસ્તો દમણ, પારસીઓના પવિત્ર યાત્રાધામ ઉદવાડા અગિયારી અને ઉમરસાડી વોક-વે બ્રિજને જોડે છે, જેથી પ્રવાસીઓને રસ્તામાં પડતી હાલાકીનો કાયમી અંત આવશે.
ડાંગ અને ધરમપુરનું પ્રાકૃતિક સૌંદર્ય હવે હાથવેંતમાં!
ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા અને આદિવાસી વિસ્તાર ડાંગ હવે શહેરોથી બિલકુલ દૂર નહીં લાગે. વઘઇથી આહવા જતો સ્ટેટ હાઇવે હવે 4-લેન બનવા જઈ રહ્યો છે. આ રસ્તો શબરીધામ, પંપા સરોવર, પાંડવ ગુફા, ડોન હિલ સ્ટેશન, મહાલ કેમ્પ સાઇટ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી સાપુતારા જતા પ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
એ જ રીતે, ચીખલીથી ખેરગામ થઈને રજવાડી નગર ધરમપુર જતા રસ્તાને પણ 4-લેન કરાશે. આ રસ્તો પહોળો થવાથી ચોમાસામાં વિલ્સન હિલ, કેવડી ઈકો-ટુરિઝમ, પદમડુંગરી, ઉનાઈ માતાનું મંદિર, વાંસદા નેશનલ પાર્ક અને ગીરા ધોધ જેવા પ્રાકૃતિક સ્થળો જોવા જતા સહેલાણીઓ ફટાફટ ત્યાં પહોંચી શકશે.
Frequently Asked Questions
દક્ષિણ ગુજરાતના પ્રવાસનને કયા કારણોસર બુસ્ટર ડોઝ મળ્યો છે?
ગુજરાત વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં દેશમાં કયા સ્થાને છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત, વિદેશી પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષવામાં દેશમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે.
સુરત નજીકના કયા પ્રવાસન સ્થળોએ હવે સહેલાઈથી પહોંચી શકાશે?
સુરત પાસે આવેલા સુવાલી બીચ અને મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક દાંડીયાત્રાના રૂટ પર હવે સહેલાઈથી પહોંચી શકાશે. આ રૂટ પરના રસ્તાઓને 4-લેન અને 7 મીટર પહોળા કરવામાં આવશે.
દમણ અને ઉદવાડા જવાનો રસ્તો કેવો બનશે?
વલસાડ જિલ્લામાં ઉમરસાડીથી કોલક નદીના કોસ્ટલ હાઇવે પર નવો કોઝ-વે બનશે. દમણ અને વલસાડને જોડતો 10 મીટરનો રસ્તો હવે 4-લેન બનશે.
ડાંગ અને ધરમપુરના પ્રાકૃતિક સૌંદર્યને હવે કેવી રીતે માણી શકાશે?
વઘઇથી આહવા જતો સ્ટેટ હાઇવે 4-લેન બનશે, જેથી સાપુતારા અને ડાંગના સ્થળો સરળતાથી પહોંચી શકાશે. તેવી જ રીતે, ચીખલીથી ધરમપુર જતો રસ્તો પણ 4-લેન બનશે.






















