દેવાયત ખવડને મોટો ઝટકો, કોર્ટે જામીન રદ કર્યા, આટલા દિવસમાં સરેન્ડર કરવા આદેશ
ગુજરાતના જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ડાયરા કલાકાર દેવાયત ખવડના જામીન રદ કર્યા છે.
અમદાવાદ: ગુજરાતના જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ડાયરા કલાકાર દેવાયત ખવડના જામીન રદ કર્યા છે. કોર્ટે 30 દિવસમાં ચાંગોદર પોલીસ મથકમાં આત્મસમર્પણ કરવા આદેશ આપ્યો છે.
અહેવાલ અનુસાર, ફરિયાદી તરફથી દેવાયત ખવડના જામીન રદ કરવા માટે અરજી કરવામાં આવી હતી. દેવાયત ખવડ દ્વારા જામીનની શરતોનો ભંગ કરી સાક્ષીઓને ડરાવવા ધમકાવતા હોવાથી જામીન રદ કરવા રજૂઆત કરવામાં આવી હતી. જે અરજી પર કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડને 30 દિવસમાં ચાંગોદર પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરવા આદેશ કર્યો છે.
શું હતો સમગ્ર કેસ ?
દેવાયત ખવડ અને તેમના સાથીઓ સામે જાહેર સ્થળે ઝઘડો અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવા બદલ કેસ નોંધાયો હતો. આ ઘટના બાદ ગીર સોમનાથ પોલીસે તેમની અને અન્ય સાત આરોપીઓની ધરપકડ કરી હતી.
આ કેસની સુનાવણી વેરાવળની ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એ. જાનીની અદાલતમાં થઈ હતી. પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિતના આરોપીઓના સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ આરોપી પક્ષના વકીલે તેનો સખત વિરોધ કર્યો હતો. તેમણે બંધારણના આર્ટિકલ 22(B)નું ઉલ્લંઘન થયું હોવાની દલીલ કરી હતી અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરીને જામીન આપવાની માંગ કરી હતી.
18 ઓગસ્ટના રોજ કોર્ટે આ મામલે ચૂકાદો આપતા તમામ સાત આરોપીઓને ₹15,000ની જામીન રકમ પર મુક્ત કરવાની શરત સાથે જામીન મંજૂર કર્યા હતા અને પોલીસની રિમાન્ડની માંગને ફગાવી દીધી હતી. પરંતુ પોલીસે ફરીથી જામીન રદ કરવાની અરજી કરી હતી, જેને કોર્ટે મંજૂર કરી હતી. પોલીસે તેમના જામીન વિરુદ્ધ અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી હતી. પોલીસે કોર્ટમાં દલીલ કરી હતી કે દેવાયત ખવડ સામે ગંભીર આરોપો છે અને તેઓ જામીન પર મુક્ત રહે તો તપાસ પ્રક્રિયામાં અવરોધ આવી શકે છે. કોર્ટે આ દલીલને ધ્યાનમાં રાખીને તેમના જામીન રદ કરવાનો નિર્ણય કર્યો હતો.
શું હતો સમગ્ર વિવાદ
અમદાવાદ પાસે સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ અને ડાયરાના કલાકાર દેવાયત ખવડ વચ્ચે ડાયરાના પૈસા બાબતે વિવાદ થયો હતો. આ વિવાદને લઈ બંને પક્ષો દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી હતી. ત્યારે ગત 12 ઓગસ્ટના રોજ તાલાલાના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ અને અન્ય 15 સાગરિતોએ જીવલેણ હુમલો કર્યો હોવાનો આરોપ લાગ્યો હતો.





















