પૂર્વ IPS મનોજ નિનામાની રાજકારણમાં એન્ટ્રી, ભાજપમાં જોડાતા ચૂંટણી લડે તેવી અટકળ તેજ
પૂર્વ AAP નેતા રાજુ કરપડા બાદ હવે પૂર્વ IPS મનોજ નીનામા ભાજપમાં જોડાયા છે. મંત્રી પી.સી બરંડાએ ખેસ પહેરાવી ભાજપમાં તેમના આગમનને આવકાર્યું છે. સૂ્ત્રો દ્વારા મળતી માહિતી મુજબ મનોજ નીનામા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી શકે તેવી અટકળ સેવાઇ રહી છે.

પૂર્વ AAP નેતા રાજુ કરપડા બાદ હવે પૂર્વ IPS મનોજ નીનામા ભાજપમાં જોડાયા છે. રાજ્યમાં ચૂંટણીના માહોલ વચ્ચે પૂર્વ આઇપીએસનું ભાજપમાં જોડાવું તેમની રાજકારણ ક્ષેત્રે સક્રિય એન્ટ્રી માનવામાં આવી રહી છે. તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડે તેવી પણ શક્યતા જોવાઇ રહી છે.તઓને જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર બનાવી શકે છે. ઉલ્લેખનિય છે કે, મનોજ નીનામા 31મી મેએ રિટાયર થવાના હતા. નિનામાએ આ પહેલા વહેલાં સ્વેચ્છિક નિવૃત્તિ લઇ લીઘી હતી.
મનોજ નિનામાના ભાજપ પ્રવેશ પાછળ આગામી ચૂંટણીઓની રણનીતિ (Strategy) હોવાનું મનાઈ રહ્યું છે. એક IPS અધિકારી તરીકેનો તેમનો બહોળો અનુભવ અને સ્થાનિક સ્તરે તેમનું વર્ચસ્વ ભાજપ માટે જીતની શક્યતા વધારી શકે છે. શિક્ષિત અને અનુભવી ચહેરાઓને આગળ લાવવાની ભાજપની નીતિના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું જણાય છે. એક ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે લાંબો અનુભવ ધરાવતા નિનામા હવે 'ખાખી' છોડીને 'ખાદી' ધારણ કરવા તરફ ડગ માંડી રહ્યા છે. અરવલ્લી વિસ્તારમાં તેમનો પ્રભાવ જોતા, રાજકારણમાં તેમનો પ્રવેશ આગામી ચૂંટણીના સમીકરણોમાં મોટો ફેરફાર લાવી શકે છે.
ક્યાંથી લડી શકે છે ચૂંટણી
મનોજ નિનામા હાલ આઈજીપી તરીકે સ્ટેટ ટ્રાફિક બ્રાંચમાં તૈનાત હતા. તેઓ અરવલ્લી જિલ્લાની ભીલોડા જિલ્લા પંચાયતની ચૂંટણી લડી શકે છે. અહીંયા કોંગ્રેસની સ્થિતિ ઘણી મજબૂત છે. આ સ્થિતિમાં મનોજ નિનામાની એન્ટ્રીને ભાજપનો માસ્ટરસ્ટ્રોક માનવામાં આવે છે. નિનામાના રાજીનામા બાદ ઉત્તર ગુજરાતની રાજનીતિ પણ ગરમાઈ છે
રાજીનામા આપ્યાં બાદ શું કહ્યું હતું
રાજીનામા બાદ IPS મનોજ નિનામાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 42 વર્ષની નોકરી બાદ રાજીનામું આપ્યું છે. સમાજનું ઋણ મારા પર છે જેને જવાબદારી સમજી આગળ વધુ છું. હજુ કોઈ રાજકીય પક્ષોએ મારો સંપર્ક કર્યો નથી. જિલ્લો નવો છે એના માટેની જવાબદારીઓ નિભાવીશ.
કોણ છે મનોજ નિનામા
1 જૂન 1966ના રોજ જન્મેલા મનોજ નિનામા આદિવાસી સમુદાયથી આવે છે. તેમણે બીકોમ પછી એલએલબી કર્યું છે. 2006ની બેચના આઈપીએસ મનોજ નિનામા ગુજરાત પોલીસમાં લાંબા સમયથી સેવા આપી રહ્યા છે. તેઓ સ્ટેટ ટ્રાફિક વિંગમાં આઈજીપી હતી. આ પહેલા વડોદરા સિટીમાં પણ ફરજ બજાવી ચુક્યા છે. તેઓ 31 મે, 2026ના રોજ નિવૃત્ત થવાના હતા પરંતુ આ પહેલા જ રાજીનામું આપી દીધું છે.
શિસ્તબદ્ધ અને વહીવટી અનુભવ ધરાવતા નિનામાની રાજકારણમાં એન્ટ્રીથી વહીવટમાં વધુ પારદર્શિતા આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં જ્યારે ભાજપ અને અન્ય પક્ષો દ્વારા નવા અને શિક્ષિત ચહેરાઓને પ્રાધાન્ય આપવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ત્યારે એક ઉચ્ચ પોલીસ અધિકારીની રાજકારણમાં એન્ટ્રી ખાસ ચર્ચાનો વિષય બની છે. જો ભાજપ તેમના નામ પર મહોર મારશે, તો સ્થાનિક સ્તરે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. આગામી દિવસોમાં પક્ષ દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, જેના પર હવે સૌની નજર ટકેલી છે






















