ગેનીબેનનો ધડાકો! બનાસકાંઠા બોર્ડર બની દારૂની ગંગોત્રી? મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ
રાજસ્થાન-મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂ ઠલવાતો હોવાનો સાંસદનો આરોપ, હજારો મહિલાઓ વિધવા બની, મહિલા અધિકારી જ વેદના સમજી શકશે.

Geniben Thakor letter: બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને ગુજરાતમાં દારૂના દૂષણને લઈને ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે બનાસકાંઠાની બોર્ડર મારફતે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી મોટી માત્રામાં દારૂ ગુજરાતમાં ઠાલવવામાં આવી રહ્યો છે. આ દારૂના દૂષણના કારણે હજારો મહિલાઓ વિધવા બની રહી છે અને યુવાનોના મોત થઈ રહ્યા છે.
ગેનીબેન ઠાકોરે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે ઝેરી અને ખરાબ દારૂના કારણે અનેક યુવાનો મૃત્યુ પામ્યા છે, જેના લીધે હજારો મહિલાઓ વિધવા બની છે અને બાળકો અનાથ થઈ રહ્યા છે. તેમણે બેન-દીકરીઓની જિંદગી સલામત ન હોવાનું જણાવીને તેમની વેદના માત્ર મહિલા અધિકારી જ સમજી શકશે તેમ જણાવ્યું હતું. આથી, ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) તરીકે મહિલા IPS અધિકારીને મૂકવાની માંગણી કરી છે.
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સંયુક્ત રીતે મુખ્યમંત્રીને આ પત્ર લખ્યો છે. પત્રમાં બનાસકાંઠા જિલ્લાની બોર્ડર થકી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઘૂસાડવામાં આવતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પત્રમાં એવી પણ માંગણી કરવામાં આવી છે કે ગુજરાતમાં ફરજ બજાવતી કોઈ પણ મહિલા IPS અધિકારીને બનાસકાંઠા જિલ્લાના SP તરીકે નિયુક્ત કરવામાં આવે, જેથી મહિલાઓની વેદનાને યોગ્ય રીતે સમજી શકાય અને દારૂના દૂષણને નાથવા માટે અસરકારક પગલાં લઈ શકાય. ગેનીબેન ઠાકોરના આ પત્રથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને હવે સરકાર આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે.
નોંધનીય છે કે આ પહેલા ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં કલાકારોને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ મેદાનમાં આવ્યા હતા. તેમણે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નિર્ણય લેનારા અને આમંત્રણ આપનારા લોકો દ્વારા કલાકારોને સમકક્ષનો ભાવ ઓછો આપવામાં આવી રહ્યો હતો.
ગેનીબેન ઠાકોરે પોતાના નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશના બંધારણ પ્રમાણે દરેક વ્યક્તિને સમાન અધિકારો મળેલા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમને એવું લાગી રહ્યું હતું કે કોઈ એક ચોક્કસ સમાજ માટે ભાવ અને પ્રેમ ઓછો દેખાતો હતો.
સાંસદ ગેનીબેન ઠાકોરે આશા વ્યક્ત કરી હતી કે કોઈપણ ક્ષેત્રના લોકોને સરખું સન્માન મળવું જોઈએ. તેમનું આ નિવેદન વિધાનસભામાં કલાકારો સાથે થયેલા કથિત ભેદભાવના સંદર્ભમાં આવ્યું હતું, જ્યાં કેટલાક કલાકારોને યોગ્ય સન્માન ન મળ્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
