માંગરોળના દરિયામાં ભારે કરંટ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
માંગરોળના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળતા જેટી નજીક લાંગરેલી બોટને પણ નુકસાન થયું છે.

જૂનાગઢ: માંગરોળના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળતા જેટી નજીક લાંગરેલી બોટને પણ નુકસાન થયું છે. માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. બોટને પણ સલામત સ્થળે રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં દરિયામાં તોફાની પવન ફૂંકાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
જૂનાગઢના માંગરોળ પંથકમાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી માંગરોળ પંથકમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસતા જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. ઘણાં લાંબા વિરામ બાદ છેલ્લા ત્રણ દિવસથી માંગરોળ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
માંગરોળમાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદ
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. માંગરોળમાં ધોધમાર વરસાદને કારણે કોઝવે બંધ કરવામાં આવ્યો છે. કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. નોળી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. માળીયા નજીક કામનાથ મહાદેવ તરફનો રસ્તો બંધ થયો હતો. કોઝવે પર વાહનોની અવરજવર પણ બંધ કરવામાં આવી છે. કોઝવેની બંને બાજુએ બેરીકેટ લગાવાયા છે. પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ધારાસભ્ય ભગવાનજી કરગટીયાએ પણ કોઝવેની મુલાકાત કરી હતી.
કેશોદ તરફનો વાહન વ્યવહાર ખોરવાયો
માંગરોળથી કેશોદ તરફનો વાહન વ્યવહાર ખોરવાયો છે. સવારના 6 થી 8 વચ્ચે અઢી ઇંચ અને 8 થી 10 વચ્ચે દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા છે. વરસાદી તબાહીથી સમગ્ર વિસ્તાર પ્રભાવિત થયો છે. મુખ્ય રસ્તાઓ પર પુલ બનાવવા સ્થાનિકોની જોરદાર માગ છે. ભાટ સિમરોલી, સુલતાનપૂર, રુદલપુર, માનખેત્રા, વલ્લભનગર સહિત ગામ જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 72 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં 71 ટકા, કચ્છમાં 70 ટકા, પૂર્વ મધ્યમાં 69 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 63 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 ડેમમાંથી 76 ડેમ હાઈએલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 26 ડેમ એલર્ટ પર તેમજ 22 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ છે.





















