Junagadh: ટ્રેક પર સિંહોને જોઈને લોકો પાયલટે લગાવી ઇમરજન્સી બ્રેક, 10 સિંહોનો બચ્યો જીવ
ભાવનગર રેલવે મંડળના લોકો પાયલટની સતર્કતાને કારણે સાસણગીર-કાંસિયાનેશ સેક્શનમાં 10 સિંહોના ઝૂંડનો જીવ બચ્યો હતો

ભાવનગર રેલવે મંડળના લોકો પાયલટની સતર્કતાને કારણે સાસણગીર-કાંસિયાનેશ સેક્શનમાં 10 સિંહોના ઝૂંડનો જીવ બચ્યો હતો. ટ્રેક પર સિંહોને જોઈને લોકો પાયલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી દીધી હતી. જે બાદ ટ્રેનમાં હાજર વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકરે તમામ સિંહોને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી દૂર કર્યા હતા. પરિસ્થિતિ સામાન્ય બનતા ટ્રેનને સાવધાનીપૂર્વક આગળ વધારવામાં આવી હતી. લોકો પાયલટો અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકરોના સારા સમન્વયના પરિણામે વર્ષ 2024-25 દરમિયાન 159 સિંહોના જીવ બચાવવામાં આવ્યા હતા. જ્યારે 2025-26માં અત્યાર સુધીમાં 101 સિંહોને સુરક્ષિત બચાવવામાં આવ્યા છે.
વેરાવળ-જૂનાગઢ પેસેન્જર ટ્રેન આગળ વધી રહી હતી ત્યારે અચાનક રેલવે ટ્રેક પર 10 સિંહોનું ઝૂંડ ટ્રેક પર જોવા મળ્યું હતું. અહીં લોકો પાયલટ અને સહાયક લોકો પાયલટે સમયસરની સતર્કતા બતાવી અને ઇમરજન્સી બ્રેક લગાવી અને ટ્રેનને સુરક્ષિત રીતે અટકાવી દીધી હતી. લોકો પાયલટે તરત જ ટ્રેન મેનેજરને માહિતી આપી અને ટ્રેનમાં હાજર વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકરે પરિસ્થિતિને ગંભીરતાથી લીધી હતી. વન વિભાગની ટીમે સત્વરે સ્થળ પર પહોંચી તમામ 10 સિંહોને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી દૂર કર્યા હતા. પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય બન્યા બાદ ટ્રેનને ખૂબ સાવધાનીપૂર્વક આગળ વધારવામાં આવી હતી.
બીજી તરફ ગીર અને આસપાસના વિસ્તારોમાં રેલવે ટ્રેક નજીક સિંહોની અવરજવર વધી રહી છે. જેને લઈ ભાવનગર રેલવે ડિવિઝન હેઠળના રેલવે રૂટ પર એશિયાટિક સિંહોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રેલવેની અડફેટે સિંહોના મોતની ઘટનાને અટકાવવા હવે દમણગર-પિપાવાવ સેક્શનમાં આવેલા 115 કિલોમીટર લાંબા રેલવે રૂટ પર AI આધારીત ઈન્ટ્રૂઝન ડિટેક્શન સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. આ સિસ્ટમ ટ્રેક નજીક સિંહોની હાજરી અથવા ગતિને તાત્કાલિક ઓળખી શકશે. ઈન્ટેલિજન્ટ કેમેરા, સેન્સરોની મદદથી મળતી માહિતીના આધારે ટ્રેન નજીક આવી રહી હોય તો લોકો પાયલટ અને કંટ્રોલરૂમને તરત એલર્ટ મળશે. AI સિસ્ટમથી મળતા એલર્ટ બાદ ટ્રેનની ગતિ ઘટાડવી અથવા ટ્રેન રોકવા જેવા તાત્કાલિક પગલા લેવામાં આવશે. જેથી સિંહોના જીવ બચાવી શકાય.























