![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Junagadh: આજથી સાસણમાં પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે, બુકિંગને લઇને શું આવ્યા સમાચાર?
Junagadh: આજથી એટલે કે 16 ઓક્ટોબરના રોજ સાસણમાં પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે
![Junagadh: આજથી સાસણમાં પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે, બુકિંગને લઇને શું આવ્યા સમાચાર? Junagadh: Sasan Gir Safari in Gujarat set to open from Oct 16 Junagadh: આજથી સાસણમાં પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે, બુકિંગને લઇને શું આવ્યા સમાચાર?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/16/3e0f6365d4f56cb5548f6ba63344e081169742966791974_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
જૂનાગઢઃ એશિયાટિક સિંહોનું આજથી વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે. એટલે કે આજથી એટલે કે 16 ઓક્ટોબરના રોજ સાસણમાં પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે. સાસણમાં સિંહ દર્શન માટે ઓનલાઈન બુકિંગ આગામી ડિસેમ્બર સુધી ફૂલ થઈ ગયું છે. પ્રવાસીઓ ઓફિશિયલ વેબસાઈટ પરથી પરમિટ બુકિંગ કરે છે. દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી ચાર મહિના સાસણ ગીર પ્રવાસીઓ માટે બંધ રહે છે.
ચોમાસું અને વન્ય પ્રાણીઓના પ્રજનન કાળને લઈને પ્રવાસીઓ માટે સાસણ ગીરમાં પ્રવેશબંધી હોય છે. દર વર્ષે ગીરનું જંગલ 15મી જૂનથી 16મી ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેતું હોય છે. છેલ્લી સીઝનમાં રેકોર્ડ બ્રેક સાડા સાત લાખ પ્રવાસીઓએ સાસણ ગીર જંગલ સફારીની મુલાકાત લીધી હતી. દિવાળીના તહેવારમાં સામાન્ય રીતે સાસણમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટે છે. ત્યારે પ્રશાસન તરફથી પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.
સાસણમાં સિંહદર્શન માટે તૈયાર કરાયેલી 7 જીપ જપ્ત કરવામાં આવી
સાસણમાં સિંહદર્શન માટે તૈયાર કરાયેલી 7 જીપ જપ્ત કરવામાં આવી છે. બાવળા આરટીઓ દ્વારા 7 નવી નક્કોર જીપ જપ્ત કરાઈ છે. જીપ મોડીફાઈ કરાઈ હોવાના કારણે જપ્ત કરવામાં આવી છે. RTOની પૂર્વ મંજૂરી વગર જીપના મૂળ સ્વરૂપમાં ફેરફાર કરાયા હોવાથી વાહનો જપ્ત થયા છે. મોડીફાઇ કરાયેલા વાહનો મૂળ સ્વરૂપમાં થશે પછી જ વાહન છોડવામાં આવશે. લાખો રૂપિયાના 7 વાહનો બાવળા RTOમાં રાખવામાં આવ્યા છે.
ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ (TCGL) એ વિશ્વનું સૌથી મોટું એશિયાટિક સિંહ ગૌરવ શિલ્પ સ્થાપિત કર્યું છે. આ પ્રભાવશાળી શિલ્પ ફેરોસમેન્ટ સામગ્રીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું હતું અને 10મી ઑક્ટોબર 2023ના રોજ આંબરડી સફારી પાર્ક, ખોડિયાર ડેમ, ધારી, ગુજરાત ખાતે સ્થાપિત કરવામાં આવ્યું હતું. જેણે 10મી ઑક્ટોબર 2023ના રોજ નવો રેકોર્ડ બનાવ્યો હતો. શિલ્પના માપમાં 165 ફૂટની પાયાની લંબાઈ અને 68 ફૂટની પહોળાઈનો સમાવેશ થાય છે. જ્યારે સિંહ અને સિંહણના શિલ્પો, પૂંછડીથી પૂંછડી સુધી, પહોળાઈ 92 ફૂટ માપવામાં આવે છે. નાકથી પૂંછડી સુધીની લંબાઇ 60 ફૂટ સાથે સિંહનું શિલ્પ 31 ફૂટની ઊંચાઈનું છે, જ્યારે સિંહણનું શિલ્પ 46 ફૂટની નાકથી પૂંછડીની લંબાઈ સાથે 21 ફૂટની ઊંચાઈ ધરાવે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)