Visavadar Bypolls: વિસાવદર પેટાચૂંટણીમાં ખેડૂત-ખાતરનો મુદ્દો ગરમાયો, કોંગ્રેસના ભાજપ સરકાર પર પ્રહારો
Visavadar bypolls: વિસાવદર પેટાચૂંટણી જીતવા માટે કોંગ્રેસ, ભાજપ અને આપ ત્રણેય પક્ષોના ઉમેદવારો જબરદસ્ત પ્રચારમાં લાગ્યા છે

Visavadar bypolls: વિસાવદર પેટા ચૂંટણીને લઇને માહોલ બરાબર ગરમાયો છે. આગામી 19 જૂન ગુજરાતમાં કડી અને વિસાવદર બન્ને વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવાની છે. આ પહેલા વિસાવદરમાં ખેડૂત અને ખાતરને લઇને રાજકીય હૂંસાતૂંસી શરૂ થઇ ગઇ છે. હાલમાં જ પાટીદારો અને ખેડૂતોના ગઢ ગણાતા વિસાવદરમાં કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ ભાજપ અને આપ પર આકરા પ્રહારો કર્યા છે.
વિસાવદર પેટાચૂંટણી જીતવા માટે કોંગ્રેસ, ભાજપ અને આપ ત્રણેય પક્ષોના ઉમેદવારો જબરદસ્ત પ્રચારમાં લાગ્યા છે. એકબીજા પર કટાક્ષો અને શબ્દબાણો છોડી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસે હાલમાં જ ભાજપ અને આપ પર મોટા આરોપો લગાવ્યા છે. વિસાવદરની બેઠક જીતવા કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવતા રાત્રી બેઠકો શરૂ કરી દીધી છે. કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ વિસાવદર મતવિસ્તારમાં ખેડૂત અને ખાતર મુદ્દે રાદડિયા પર આકરા પ્રહારો કર્યા છે. પાલ આંબલિયાએ આરોપો લગાવતા કહ્યું કે, ખેડૂતોને ખાતર મળતુ નથી, ખેડૂતો વાવેતર કેવી રીતે કરે, ખાતરની સાથે નેનોની થેલી ખેડૂતોને બટકાવામાં આવે છે. જેનાથી ખેડૂતોને કોઇ ફાયદો નથી. વિસાવદરમાં ચોમાસું દેડકા આવ્યા છે. ચૂંટણી આવે એટલે ભાજપ મગરના આંસુ સારે છે. સરકાર માત્રને માત્ર ભ્રામક પ્રચાર કરી રહી છે. પાલ આંબલિયાએ વધુમાં જણાવ્યું કે, ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે મોટા કૌભાંડ કર્યા છે, કિરીટ પટેલે ફોર્મ ભરતા જ ખોટું બોલવાની શરુઆત કરી દીધી હતી.
આગામી 19 જૂને સવારથી સાંજ સુધી મતદાન યોજાશે. આ દરમિયાન તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. જેથી મતદારો કોઈપણ મુશ્કેલી વિના મતદાન કરી શકે. મતદાન બાદ 23 જૂને મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીપંચે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવાની અપીલ કરી છે.
કોંગ્રેસે વિસાવદર બેઠક પરથી નીતિન રાણપરિયાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ હવે પેટા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 40 જેટલા કોંગ્રેસ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, મુકુલ વાસનિક, જગદીશ ઠાકોર, ગેની ઠાકોર, પરેશ ધાનાણી, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, જીગ્નેશ મેવાણી, અમીબહેન જ્ઞાનિક, લાલજી દેસાઈ, મધુસુદન મિસ્ત્રી, શૈલેષ પરમાર, ઇમરાન ખેડાવાલા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, બળદેવજી ઠાકોર અને લલિત વસોયા સહિતના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.





















