મહિસાગર જિલ્લામાં નલ સે જલ કૌભાંડમાં મોટી કાર્યવાહી, લુણાવાડા તાલુકા ભાજપ પ્રમુખની ધરપકડ
મહીસાગરના નલ સે જલ કૌભાંડમાં ભાજપના હોદ્દેદારની સંડોવણીનો આરોપ લાગ્યો છે.

મહીસાગરના નલ સે જલ કૌભાંડમાં ભાજપના હોદ્દેદારની સંડોવણીનો આરોપ લાગ્યો છે. મળતી જાણકારી અનુસાર, મહીસાગરના લુણાવાડા તાલુકા યુવા ભાજપ પ્રમુખ ચિરાગ પટેલ અને કે.ડી વણકરની ધરપકડ કરવામાં આવી હતી.
મહિસાગર જિલ્લામાં નલ સે જલ કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. CID ક્રાઈમે લુણાવાડા તાલુકા ભાજપ પ્રમુખની ધરપકડ કરી હતી. લુણાવાડા તાલુકા ભાજપ પ્રમુખ ચિરાગ પટેલની ધરપકડ કરવામાં આવી છે. તે સિવાય કે.ડી.વણકરની પણ નલ સે જલ કૌભાંડમાં ધરપકડ કરાઈ છે. વાસ્મો કચેરીના બે કર્મચારીની પણ ધરપકડ કરાઈ હતી. ચિરાગ પટેલ અને કે.ડી.વણકર એજન્સીના વ્યકિતઓ છે. મહીસાગર જિલ્લામાં કૌભાંડ મામલે વાસ્મો કચેરીના અધિકારી સહિત બાર કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
નોંધનીય છે કે મહીસાગરમાં નલ સે જલ યોજનામાં 258 કરોડનું મહાકૌભાંડનો ખુલાસો થયો હતો. મહાકૌભાંડ અંગે CID ક્રાઈમ મહીસાગર વાસ્મો યુનિટ મેનેજર, અધિકારી, કર્મચારી સામે એફઆઇઆર નોંધશે. કોંટ્રાક્ટરો અને પાણી સમિતિ સામે પણ ફરિયાદ નોંધી હતી.
મહીસાગર જિલ્લામાં નલ સે જળ યોજના અંતર્ગત કરવામાં આવેલ કામગીરીમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતી સામે આવી હતી. યોગ્ય કામગીરી ન હોવા બાબતે ફરિયાદો ઉઠી હતી જેને લઈ અને મહીસાગર જિલ્લામાં વાસમો કચેરી અંતર્ગત કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિજિલન્સ તપાસ કરવામાં આવી હતી જેમાં અલગ અલગ ગામોમાંથી વિજિલન્સ તપાસનો રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે કામગીરી યોગ્ય ન કરનાર કોન્ટ્રાક્ટરો સામે તંત્રએ લાલ આંખ કરી હતી અને તેમને અનેક નોટિસો પણ ફટકારી હતી અને રિકવરી સુધીની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તપાસમાં વાસ્મો દ્વારા કરવામાં આવેલ કામગીરીમાં લોકોના ઘર સુધી પાઇપ કનેક્શન પહોંચેલા જોવા મળ્યા હતા પરંતુ ત્યાં નળ નહોતા. કેટલીક જગ્યાએ નળ માટે ચોકડી બનાવવામાં આવી હતી પરંતુ ત્યાં માત્ર પાઇપ જ હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે લગભગ ત્રણ વર્ષથી પાઇપલાઇન નાખવામાં આવી છે પરંતુ અમને અત્યાર સુધી આ પાઇપલાઇન દ્વારા પાણી મળ્યું નથી.
પાઇપો નાખવામાં આવી હતી. પરંતુ ત્રણ વર્ષ થવા આવ્યા છતાં પાઇપમાં પાણી આવ્યું નથી. લુણાવાડા તાલુકાના ચંચળ ગામે પણ એબીપી અસ્મિતા દ્વારા તપાસ કરવામાં આવી હતી તો નાડ ફળિયા વિસ્તારમાં પાઇપના કનેક્શન આપવામાં આવ્યા હતા પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારના નળ જોડવામાં આવ્યા નહોતા. સ્થાનિકોએ જણાવ્યું હતું અમારા ફળિયામાં પાણી માટે પાઇપલાઇન નાખવામાં આવી હતી પરંતુ જોડાણ આપ્યું નથી જેથી કરીને અમને પાણી મળ્યું નથી. લગભગ બે થી ત્રણ વર્ષ પહેલાં કામગીરી થઈ હતી પરંતુ ગામમાં હજી પણ અમે પાણી માટે વલખા મારી રહ્યા છીએ.





















