Gujarat Heat: રાજ્યના તાપમાનમાં થશે વધારો, હવામાન વિભાગે કાળઝાળ ગરમીની કરી આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં ગરમીનું જોર વધશે. 3 દિવસ બાદ ગરમી વધશે. રાજ્યમાં 43 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા છે.

- અમદાવાદમાં આગામી સાત દિવસ માટે યલ્લો એલર્ટ.
- ગરમીથી બચવા ORS, છાશ, લીંબુ પાણી પીવા.
- બાળકો, વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓની વિશેષ કાળજી લો.
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં ગરમીનું જોર વધશે. 3 દિવસ બાદ ગરમી વધશે. રાજ્યમાં 43 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા છે. રાજ્યમાં ચૂંટણી સમયે કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 43 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત રહેશે. અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીથી વધારે નોંધાયું છે. રાજકોટમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે. માવઠાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદમાં યલ્લો એલર્ટ
હવામાન વિભાગે અમદાવાદમાં આગામી સાત દિવસ માટે યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. આગામી સાત દિવસ સુધી અમદાવાદ શહેરમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ મનપા દ્વારા લોકોને કામ વગર બહાર ન નિકળવા અને સાવચેતી રાખવા જણાવાયું છે. મનપાએ કહ્યું, ગરમીથી બચવા માટે સાવચેતી રાખો. બહાર નીકળતા પહેલા ટોપી કે છત્રીનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં. તડકામાં માથું ખુલ્લું રાખવાથી હીટસ્ટ્રોકનો ખતરો વધી શકે છે.
View this post on Instagram
ગુજરાતના અનેક જિલ્લાઓમાં 40 ડિગ્રીથી વધારે મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે.સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી જશે. આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડશે.
કાળઝાળ ગરમીથી બચવા કરો આ ઉપાય
રાજ્યમાં કાળઝાળ ગરમીની શરુઆત થઈ ગઈ છે. અનેક જગ્યાએ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ઉનાળાની આ સિઝનમાં કાળઝાળ ગરમી પડશે. આવી સ્થિતિમાં, તમે આ ગરમીથી બચવા માટે કેટલાક સરળ ઉપાયો અપનાવી શકો છો. શરીરમાં પ્રવાહીની માત્રા જળવાઈ રહે તે માટે ORS દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, નારિયેળ પાણી વગેરેનો ઊપયોગ કરવો.
હળવા પ્રકારના સુતરાઉ કપડા પહેરવા જોઈએ. તડકામાં જો ઘરની બહાર નિકળો તો માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો. આંખોના રક્ષણ માટે સન-ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવો.
સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા પ્રમાણે લૂ લાગવાની સૌથી વધુ સંભાવના છે તેવા બાળક, સગર્ભા, વૃદ્ધ, બીમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિની કાળજી લેવી જોઈએ. કાચી કેરી, ડુંગળી અને ધાણાજીરૂં નાંખેલું કચૂંબર લૂ લાગવાની શક્યતાને ઘટાડે છે.






















