એઇમ્સના ડાયરેકટર ડો.ગુલેરિયાની ચીમકી, લોકડાઉન નહીં લગાવવામાં આવે તો........
તેમણે કહ્યું કે, હાલ કોરોના વાયરસની ચેન નહીં તોડવામાં આવે તો રોજના ચાર લાખથી વધારે કેસ આવવા લાગશે, તેથી લોકડાઉન અંગે વિચારવું જોઈએ. કેમકે નવો કોરોના વેરિયન્ટ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોનાના કેસો કે મૃત્યુ અટકાવવા દેશમાં એક કડક લોકડાઉન લગાવવું જરૂરી છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ દરમિયાન કોરોનાનો નવો વેરિયન્ટ ખૂબ સંક્રામક અને ખતરનાક હોવાનું સામે આવ્યું છે. એઇમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ દેશવ્યાપી લોકડાઉન લગાવવા પર ભાર મુક્યો છે. તેમણે કહ્યું કે, હાલ કોરોના વાયરસની ચેન નહીં તોડવામાં આવે તો રોજના ચાર લાખથી વધારે કેસ આવવા લાગશે, તેથી લોકડાઉન અંગે વિચારવું જોઈએ. કેમકે નવો કોરોના વેરિયન્ટ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોનાના કેસો કે મૃત્યુ અટકાવવા દેશમાં એક કડક લોકડાઉન લગાવવું જરૂરી છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,66,161 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3754 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,53,818 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 26 લાખ 62 હજાર 575
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 86 લાખ 71 હજાર 122
- કુલ એક્ટિવ કેસ - 37 લાખ 45 હજાર 237
- કુલ મોત - 2 લાખ 46 હજાર 116
કયા રાજ્યોએ લગાવ્યા છે લોકડાઉન
રાજસ્થાનઃ રાજસ્થાન સરકારે 10 થી 24 મે દરમિયાન રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાની પણ જાહેરાત કરી છે. આ સમય દરમિયાન આવશ્યક સેવાઓ સિવાય બધું જ બંધ રહેશે. કરિયાણું, દૂધ, શાકભાજી, ફળ અને અન્ય જરૂરી માલની દુકાનોને થોડા સમય માટે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
તમિલનાડુઃ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે શુક્રવારે મુખ્ય પ્રધાન એમકે સ્ટાલીન આ બેઠકમાં હેલ્થકેર સંબંધિત નિષ્ણાતોની સલાહના આધારે લોકડાઉનનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન સ્ટાલિને એક નિવેદનમાં જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના ફેલાવાને રોકવા માટે લોકડાઉન અમલમાં મૂકવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. રાજ્યમાં 10 મે થી 24 મે સુધી સંપુર્ણ લોકડાઉન રાજ્યમાં અમલી રહેશે. આ સમયગાળા દરમિયાન, જરૂરી સેવાઓ સિવાય તમામ દુકાનો અને ખાનગી અને સરકારી કચેરીઓ બંધ રહેશે. આ ઉપરાંત સરકારી દારૂની દુકાન, બાર, સ્પા, જીમ, બ્યુટી પાર્લર, સલુન્સ, સિનેમા હોલ, ક્લબ, ઉદ્યાનો, સમુદ્ર બીચ પણ બંધ રહેશે.
કર્ણાટકઃ કર્ણાટકનાં મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ શુક્રવારે રાજ્યમાં સંપૂર્ણ 14 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે 10 મેથી 24 મે દરમિયાન સમગ્ર રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન થશે. આ સમય દરમિયાન, આવશ્યક સેવાઓ સિવાય કોઈને પણ બહાર નિકળવા દેવામાં આવશે નહીં.
ઉત્તરાખંડઃ ઉત્તરાખંડમાં 11 મે સવારે 6 વાગ્યાથી 18 મે સુધી કોવિડ કરફ્યૂ રહેષે. સાવરે 7 થી 10 સધી ફ્રૂટ, શાકભાજી, ડેરી ખુલ્લી રહેશે. શોપિંગ મોલ્સ, જીમ. થિયેટર, બાર, દારૂની દુકાનો આગામી ઓર્ડર ન થાય ત્યાં સુધી બંધ રહેશે.
હરિયાણાઃ હરિયાણાએ લોકડાઉન 17 મે સુધી વધાર્યું છે. જેમાં લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે. લગ્ન અને અંતિમ સંસ્કારમાં 11 લોકો જ સામેલ થઈ શકશે.
કેરળઃ કેરળ સરકારે શનિવાર (8 મે) નાં રોજ સવારથી જ લોકડાઉન લગાવી દીધું છે, જે 16 મે સુધી અમલમાં રહેશે. બધા સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ, થિયેટરો, જીમ, મનોરંજન ક્લબ, બાર, ઓડિટોરિયમ, ધાર્મિક સ્થળો, બજારો, ખાનગી અને સરકારી કચેરીઓ અહીં બંધ રહેશે. જો કે, આવશ્યક ચીજવસ્તુઓ માટે અવરજવર પર પ્રતિબંધ રહેશે નહીં. રાશનની દુકાનો, શાકભાજીની દુકાનો સહિતની આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો સાંજે સાડા સાત વાગ્યા સુધી ખુલી રહેશે.આ સિવાય રાજ્યમાં બેંકો, વીમા કંપનીઓ, વિમાનો, બસો કે ટ્રેનોની અવરજવર પણ ચાલુ રહેશે.
ગોવાઃ ગોવામાં રાજ્યવ્યાપી લોકડાઉનની પણ જાહેરાત કરવામાં આવી છે. જોકે સરકારે તેને કર્ફ્યુ ગણાવ્યો છે. આદેશ મુજબ રાજ્યમાં 9 મે થી આગામી 15 દિવસ સુધી એટલે કે 23 મે સુધી સખત કર્ફ્યુ લાગુ રહેશે. આ સમય દરમિયાન માત્ર તબીબી પુરવઠો સહિત આવશ્યક સેવાઓની મંજૂરી આપવામાં આવશે. કરિયાણાની દુકાન સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. આ ઉપરાંત સવારે સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી રેસ્ટોરન્ટનાં ટેક અવે ઓર્ડર માટે પરવાનગી આપવામાં આવી છે.
મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રનાં પુણેમાં સરકારે આખા સપ્તાહનાં લોકડાઉનને લાગુ કર્યું છે. જે લોકો કોઈ કારણ વગર બહાર નિકળશે તેમના પર પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી છે. વીકએન્ડ લોકડાઉનમાં, માત્ર દવાની દુકાનો સ્ટોર્સ ખોલવાની મંજૂરી છે.
દિલ્લીઃ દિલ્લીમાં લોકડાઉન વધારી દીધું છે. દિલ્લીમાં અરવિંદ કેજરીવાલે 17 મે સુધી લોકડાઉન લંબાવ્યું છે. શું રહેશે પ્રતિબંધ જાણીએ....કોરોનાની ચેઇન તોડવા માટેદિલ્લીમાં લોકડાઉન વધાર્યું છે. દિલ્લીમાં 10 મેએ લોકડાઉન પૂર્ણ થવાનું હતું. જે વધારીને હવે 17 મે સુધી કરી દીધું છે.અરવિંદ કેજરીવાલે પ્રેસકોન્ફરન્સ દ્રારા આ જાહેરાત કરી.
ઉત્તરપ્રદેશઃ ઉત્તર પ્રદેશ સરકારે પણ કોરોનાના કેસને લઈ રાજ્યમાં લોકડાઉન 17 મે સુધી લંબાવ્યું છે. દેશનાં કેટલાક રાજ્યો જેવા કે પોંડિચેરીમાં પણ 24 મે સુધી લોકડાઉન રહેશે, તો હિમાચલ પ્રદેશ, મેઘાલય, અને મિઝોરમ અને મણિપુરમાં કડક નિયંત્રણો લગાવવામાં આવ્યા છે, જેમાં નાઇટ કર્ફ્યું અને આંશિક લોડકાઉનનો અમલ કરાવવામાં આવી રહ્યો છે, શોપિંગ મોલ ,થિયેટરો અને રેસ્ટોરન્ટ પણ બંધ કરવામાં આવ્યા છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે થોડો સમય દુકાનો ખુલ્લી રાખવાની મંજુરી આપવામાં આવી છે.
Before You Go
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?





















