ચોમાસાની ધીમી ચાલથી ખેડૂતોની ચિંતા વધી: જૂનમાં 35% ઓછો વરસાદ, જાણો ક્યારે મળશે મોટી રાહત
southwest monsoon rainfall deficit: 1 થી 16 જૂન વચ્ચે દેશમાં સરેરાશ કરતાં 35% ઓછો વરસાદ નોંધાયો; અલ નીનોના ખતરા વચ્ચે ખરીફ પાકની ચિંતા સતાવતા કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બોલાવી સમીક્ષા બેઠક.

southwest monsoon rainfall deficit: દેશમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત સારી રહ્યા બાદ અચાનક તેની ગતિ સાવ ધીમી પડી ગઈ છે, જેના કારણે ખેડૂતો અને સરકારની ઊંઘ હરામ થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના આંકડા મુજબ 1 જૂનથી 16 જૂન સુધીમાં દેશમાં સરેરાશ કરતા 35% ઓછો વરસાદ નોંધાયો છે. આ વરસાદ ખેંચાવાની સીધી અસર ખરીફ પાકની વાવણી, ડાંગર-કઠોળના ઉત્પાદન અને નદીઓ-ડેમના જળસ્તર પર પડી શકે છે. અલ નીનોની સંભવિત ખરાબ અસરોને જોતા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અત્યારથી જ રાજ્ય સરકારો સાથે મળીને આકસ્મિક યોજનાઓ (કન્ટિજન્સી પ્લાન) બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે, થોડી રાહતની વાત એ છે કે આગામી 4-5 દિવસમાં ચોમાસું ફરીથી ગતિ પકડે તેવી સંભાવના છે.
આંકડા શું કહે છે? ક્યાં કેટલી ખાધ?
જો આપણે 1 જૂનથી 16 જૂન સુધીના વરસાદના આંકડા પર નજર કરીએ તો, સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન દેશમાં સરેરાશ 68.1 મીમી વરસાદ પડતો હોય છે. પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 44 મીમી વરસાદ જ નોંધાયો છે.
કયા વિસ્તારમાં વરસાદની કેવી સ્થિતિ છે તે નીચે મુજબ છે:
મધ્ય ભારત: અહીં સૌથી વધુ એટલે કે 61% વરસાદની ખાધ નોંધાઈ છે.
પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારત: અહીં સરેરાશ કરતા 43% ઓછો વરસાદ પડ્યો છે.
દક્ષિણ ભારત (દ્વીપકલ્પીય ક્ષેત્ર): અહીં 14% વરસાદની ખાધ જોવા મળી છે.
ઉત્તર-પશ્ચિમ ભારત: આ એકમાત્ર એવો પ્રદેશ છે જ્યાં સરેરાશ કરતા 5% વધુ વરસાદ નોંધાયો છે.
મેઘરાજા ક્યાં અટક્યા છે?
આ વર્ષે વરસાદ ઓછો થવાનું મુખ્ય કારણ ચોમાસાનું ધીમું પડવું છે. શરૂઆતમાં જ કેરળમાં ચોમાસું 3 દિવસ મોડું પહોંચ્યું હતું. ત્યારબાદ મહારાષ્ટ્ર અને પૂર્વ ભારતમાં તેની ગતિ સાવ અટકી ગઈ. મુંબઈનું જ ઉદાહરણ લઈએ તો, ત્યાં સામાન્ય રીતે 11 જૂન સુધીમાં ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વર્ષે 5 દિવસ પસાર થઈ ગયા છતાં હજુ મુંબઈમાં મેઘરાજાની સત્તાવાર એન્ટ્રી થઈ નથી.
અલ નીનોનો ખતરો અને FAO ની ચેતવણી
આ બધાની વચ્ચે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) ની ચેતવણીએ પણ ચિંતામાં વધારો કર્યો છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, અલ નીનોની અસરને કારણે ભારતમાં ઉનાળુ ચોમાસું નબળું પડી શકે છે. આનાથી ચોખા અને મકાઈ જેવા વરસાદ આધારિત ખરીફ પાકો પર મોટું સંકટ આવી શકે છે. FAO નું માનવું છે કે આની અસર માત્ર ભારતના ખેતરો પૂરતી સીમિત નહીં રહે, પરંતુ વૈશ્વિક બજારોની ખાદ્ય સુરક્ષા પર પણ તેનું મોટું જોખમ ઊભું થશે.
સરકાર એકદમ એલર્ટ મોડમાં
નબળા ચોમાસાના એંધાણ મળતા જ કેન્દ્ર સરકાર હરકતમાં આવી ગઈ છે. કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે ખરીફ વાવણી 2026 ને લઈને એક મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે સ્પષ્ટ આદેશ આપ્યા છે કે:
જે જિલ્લાઓમાં વરસાદ ઓછો પડવાની શક્યતા છે, ત્યાં અગાઉથી જ તૈયારીઓ કરી લેવામાં આવે.
રાજ્ય સરકારો સાથે મળીને તે જિલ્લાઓ માટે પાણીના બચાવ અને વૈકલ્પિક પાક (ઓછા પાણીએ થતા પાક) વાવવા માટેની ખાસ વ્યવહારુ વ્યૂહરચના બનાવવામાં આવે.
ખેડૂતોને હવામાનના પડકારો સામે લડવા માટે તાત્કાલિક સલાહ અને સહાય પૂરી પાડવામાં આવે.
આ પણ વાંચોઃ ચોમાસાની રાહ જોતા ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર: ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું?
ક્યારે મળશે રાહત?
હવામાન વિભાગે થોડા સારા સમાચાર આપ્યા છે. IMD ના જણાવ્યા મુજબ, આગામી 4 થી 5 દિવસમાં તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહારના અમુક ભાગો અને છત્તીસગઢમાં ચોમાસું આગળ વધવા માટે વાતાવરણ એકદમ સાનુકૂળ બની રહ્યું છે. એટલે કે, ટૂંક સમયમાં જ ખેડૂતોને આ કાળઝાળ ગરમી અને વરસાદની અછતમાંથી રાહત મળી શકે છે.






















