ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાયેલી 'લો-પ્રેશર સિસ્ટમ' ઓડિશા અને ઉત્તર છત્તીસગઢ તરફ આગળ વધવાના કારણે ભારતમાં ભારે વરસાદની શક્યતા છે.
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
IMD heavy rain alert: બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે દિલ્હી, યુપી અને મુંબઈ સહિત અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી.

- નીચા દબાણના કારણે દેશમાં આગામી દિવસોમાં ભારે વરસાદ.
- દિલ્હી, યુપી, મહારાષ્ટ્રમાં 4-7 જુલાઈ દરમિયાન મેઘમહેર થશે.
- ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.
- માછીમારોને દરિયો ન ખેડવા, સુરક્ષા રાખવા સૂચના અપાઈ.
IMD heavy rain alert: ચોમાસાએ હવે દેશભરમાં ફરી એકવાર જોર પકડ્યું છે. કાળઝાળ ગરમી અને બફારાનો સામનો કરી રહેલા લોકોને હવે મોટી રાહત મળવાની છે, કારણ કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 4 થી 5 દિવસ સુધી દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર એક 'લો-પ્રેશર સિસ્ટમ' (નીચા દબાણનો વિસ્તાર) સર્જાઈ છે, જે આગામી 3 દિવસમાં ઓડિશા અને ઉત્તર છત્તીસગઢ તરફ આગળ વધશે. આ સિસ્ટમની અસરથી મધ્ય, ઉત્તર અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે.
દિલ્હી-NCRમાં 4 દિવસ પડશે વરસાદ, ગરમીથી મળશે રાહત
દિલ્હીવાસીઓ માટે સારા સમાચાર એ છે કે 4 થી 7 જુલાઈ સુધી વાતાવરણ એકદમ ખુશનુમા બની જશે. 4 જુલાઈએ બપોર પછી 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવો વરસાદ પડી શકે છે, જ્યાં મહત્તમ તાપમાન 35 થી 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. 5 જુલાઈએ પણ ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહેશે (મહત્તમ 32 થી 34 ડિગ્રી, લઘુત્તમ 27 થી 29 ડિગ્રી). ત્યારબાદ 6 અને 7 જુલાઈએ પણ હળવા વરસાદને કારણે દિલ્હીમાં તાપમાન ગગડીને 30 થી 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે, જેથી લોકોને ગરમીમાંથી મોટી રાહત મળશે.
યુપીમાં પણ મેઘમહેર: ગાજવીજ અને પવનની દહેશત
ઉત્તર પ્રદેશના હવામાનમાં પણ મોટો પલટો આવશે. પશ્ચિમ યુપીમાં 4 થી 7 જુલાઈ અને પૂર્વ યુપીમાં 4 થી 6 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જોકે, અસલી મેઘતાંડવ 8 થી 10 જુલાઈ વચ્ચે પૂર્વ યુપીમાં અને 9 થી 10 જુલાઈએ પશ્ચિમ યુપીના અનેક વિસ્તારોમાં જોવા મળશે. આ દરમિયાન 40 થી 50 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે લોકોને ખાસ અપીલ કરી છે કે ગાજવીજ અને વીજળી ચમકતી વખતે ખુલ્લા ખેતરો, મોટાં વૃક્ષો અને વીજળીના થાંભલાઓથી દૂર રહેવું.
આ પણ વાંચોઃ જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
મુંબઈ માટે ભારે વરસાદ અને જળબંબાકારનું એલર્ટ
મહારાષ્ટ્રની વાત કરીએ તો, 4 થી 7 જુલાઈ દરમિયાન કોંકણ અને ગોવા પંથકમાં તથા 4 થી 6 જુલાઈ સુધી મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. મુંબઈમાં પણ મુશળધાર વરસાદની ચેતવણી છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, ટ્રાફિક જામ થવા અને લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ જવાની પૂરી શક્યતા છે. અહીં 40 થી 60 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે, તેથી લોકોને દરિયાકિનારે ન જવા અને વહીવટીતંત્રની સલાહ માનવા જણાવાયું છે.
ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ આગાહી
દિલ્હી, યુપી અને મહારાષ્ટ્ર સિવાય દેશના અન્ય ભાગો જેવા કે ગુજરાત (ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ), ઓડિશા, પશ્ચિમ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કેરળ, કર્ણાટક, તેલંગાણા અને પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં છૂટોછવાયો અને ભારે વરસાદ વરસી શકે છે.
IMD ની એડવાઈઝરી: માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
સતત વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં અચાનક વધારો થવાની અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની (લેન્ડસ્લાઈડ) પૂરી શક્યતાઓ છે. આથી, વિભાગે લોકોને પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવા અને લેટેસ્ટ અપડેટ પર નજર રાખવા જણાવ્યું છે. આ ઉપરાંત, સલામતીના ભાગરૂપે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે માછીમારોને આગામી થોડા દિવસો સુધી દરિયો ન ખેડવાની કડક તાકીદ કરવામાં આવી છે.
Frequently Asked Questions
ભારતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીનું મુખ્ય કારણ શું છે?
દિલ્હી-NCR માં કયા દિવસો દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે?
દિલ્હી-NCR માં 4 થી 7 જુલાઈ દરમિયાન વાતાવરણ ખુશનુમા રહેશે અને વરસાદની આગાહી છે. 6 અને 7 જુલાઈએ તાપમાન 30 થી 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે.
હવામાન વિભાગે માછીમારોને શું સૂચના આપી છે?
સલામતીના ભાગરૂપે, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે માછીમારોને આગામી થોડા દિવસો સુધી દરિયો ન ખેડવાની તાકીદ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં વરસાદને કારણે કઈ સમસ્યાઓ થઈ શકે છે?
મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે, ટ્રાફિક જામ થઈ શકે છે અને લોકલ ટ્રેન સેવા ખોરવાઈ શકે છે. લોકોને દરિયાકિનારે ન જવા અને વહીવટીતંત્રની સૂચનાનું પાલન કરવા જણાવાયું છે.






















