Pahalgam Terror Attack: કેવી રીતે ખબર પડી કે આતંકી પાકિસ્તાનથી આવ્યા હતા? અવિમુક્તેશ્વરાનંદે કર્યો મોટો સવાલ
Kashmir Terror Attack: પહલગામ આતંકી હુમલા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સરકાર પર સવાલો ઉઠાવ્યા છે તેમજ તેમણે હુમલાના આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

Pahalgam Terror Attack: 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશના લોકોમાં ઘટનાને લઇને આકોશ છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે ગુસ્સો વ્યક્ત કરી રહ્યો છે. સાથે જ કેટલાક લોકોએ સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવ્યા છે. જગદગુરુ શંકરાચાર્ય જ્યોતિષપીઠાધિશ્વર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પણ મોટું નિવેદન આપ્યું છે અને હુમલાના આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કહ્યું, "સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે અમારા ઘરમાં ચોકીદાર હોય અને અમારા ઘરમાં કોઈ ઘટના બને તો આપણે પહેલા કોને પકડીએ? સૌથી પહેલા અમે ચોકીદારને પકડીશું, તમે ક્યાં હતા? આવી ઘટના કેમ બની? પરંતુ અહીં આવું કંઈ નથી થઈ રહ્યું.
View this post on Instagram
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પ્રશ્નો ઉઠાવ્યાં
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પૂછ્યું કે, "કોઈએ આતંકવાદીઓ સાથે લડાઈ નથી કરી, કોઈએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો નથી. તેઓ આવ્યા, ગુનો કર્યો અને આરામથી ચાલ્યા ગયા. તેમને ક્યાંય કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે ચોકીદાર ક્યાં છે?" તેમણે વધુમાં કહ્યું, "ચોકીદાર વિશે કોઈ ચર્ચા નથી. તેઓ કહી રહ્યાં છે કે અમે તેમને (પાકિસ્તાન)ને પાઠ ભણાવીશું પરંતુ તમને આટલી ઝડપથી કેવી રીતે ખબર પડી કે, આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા છે કે નહીં? ઘટના પહેલા આ વાતની જાણ કેમ ન થઈ? જો આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા છે તો તેમની સામે કડક કાર્યવાહી કરો."
તેમણે આ વાત સિંધુ જળ સંધિને સ્થગિત કરવા પર કહી હતી
સિંધુ જળ સંધિને સ્થગિત કરવા અંગે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું, "તમે કહો છો કે અમે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે પરંતુ શું તમારી પાસે પાણી રોકવાની કોઈ વ્યવસ્થા છે? અમે નિષ્ણાતોને પૂછ્યું કે જો આપણા દેશમાં પાણી બંધ થાય છે તો અમારી પાસે કઈ સિસ્ટમ છે? નિષ્ણાતોએ કહ્યું કે અમારી પાસે આ સિસ્ટમ નથી, જો બંધ કરીએ તો તો પણ અમને ઓછામાં ઓછા 20 વર્ષ લાગશે ત્યારે આપણે સિંધુ નદીના પાણીને રોકવામાં સમર્થ થઇએ."
તેમણે કટાક્ષ કરતા કહ્યું, "લોકો કહી રહ્યા છે કે પાકિસ્તાન પાણીના એક ટીપા માટે તરસે છે અને નિષ્ણાતો કહી રહ્યા છે કે આ કામમાં ઓછામાં ઓછા 20 વર્ષ લાગશે, આનો કોઈ ઉકેલ નથી." તેમણે સરકારને અપીલ કરી કે જેમણે આ ભૂલ કરી છે તેમને સજા મળવાની જરૂર છે. જો કોઈ બહારની વ્યક્તિ હોય તો તેના ઉપર પણ કડક કાર્યવાહી થવી જોઈએ.





















