Monsoon Session: જાસૂસી કાંડને લઈ આજે સંસદમાં હંગામાની શક્યતા, IT મંત્રી રાજ્યસભામાં આપશે જવાબ
રાજ્યસભામાં આજે જાસૂસી કાંડ મુદ્દે આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ નિવેદન આપશે. કોંગ્રેસે આ મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્લાન બનાવ્યો છે.

Background
નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રમાં આજે બંને ગૃહમાં હંગામો થઈ શકે છે. રાજ્યસભામાં આજે જાસૂસી કાંડ મુદ્દે આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ નિવેદન આપશે. કોંગ્રેસે આ મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્લાન બનાવ્યો છે.
કોંગ્રેસ નેતા શશિ થરૂરની અધ્યક્ષતાવાળી આઈટી મામલાની સંસદીય સમિતિ કરશે પૂછપરછ
પેગાસસ જાસૂસી કાંડ હવે રાજકીય સંગ્રામમાં બદલાઈ રહ્યો છે. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષોએ આ મુદ્દે મોટો સંગ્રામ કરવાનું મન બનાવી લીધું છે. આ મામલાને લઈ વિપક્ષ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી છે. આ દરમિયાન એવા અહેવાલ આવ્યા છે કે, કોંગ્રેસ નેતા શશિ થરૂરની અધ્યક્ષતાવાળી આઈટી મામલાની સંસદીય સમિતિ આ મુદ્દે ગૃહ મંત્રાલય સહિત અનેક સરકારી વિભાગોની પૂછપરછ કરશે. જાણકારી મુજબ આ સમિતિ 28 જુલાઈથી પેગાસસ સાથે જોડાયેલા નાગરિક ડેટા સુરક્ષા અને સિક્યોરિટી વિષયને લઈ બેઠક કરશે. આ બેઠકમાં આઈટી મંત્રાલય અને ગૃહ મંત્રાલયના સભ્યો પણ હિસ્સો લેશે.
કોણે બનાવ્યું છે પેગાસસ
પેગાસસને ઇઝરાયેલની સાયબર સુરક્ષા કંપની NSOએ તૈયાર કર્યું છે. બાંગ્લાદેશ સહિત અનેક દેશોએ પેગાસસ સ્પાયવેર ખરીદ્યું છે, જેને લઈને પહેલાં પણ વિવાદ થયો છે. મેક્સિકોથી લઈને સાઉદી આરબની સરકાર સુધી એના ઉપયોગને લઈને સવાલો ઉઠાવ્યા છે. વ્હોટ્સએપની માલિકીવાળી કંપની ફેસબુક સહિત અન્ય કંપનીઓએ પેગાસસ વિરુદ્ધ કેસ દાખલ કર્યા છે.
પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
પેગાસસ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. એડવોકેટ મનોહર લાલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં એસઆઈટી તપાસની માંગ કરવામાં આવી છે. ઉપરાંત ભારતમાં પેગાસસની ખરીદી પર રોક લગાવવાની માંગ કરાઈ છે.
મોદી સંસદ ભવન પહોંચ્યા
PM મોદી સંસદ ભવન પહોંચ્યા છે. ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ટોચના નેતાઓ સાથે બેઠક કરશે. કોંગ્રેસના લોકસભા નેતા મનીષ તિવારે પેગાસસ મામલે આક્રમક તેવર બતાવી રહ્યા છે.




















